Jamnagar: કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે આંગણવાડી અને તેડાગર બહેનોને નિમણૂક પત્રો એનાયત કરાયા
જામનગર (Jamnagar) જિલ્લાની 888 જેટલી આંગણવાડીના માધ્યમથી આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનો નવજાત શિશુઓ, સગર્ભાઓ તેમજ ધાત્રી માતાઓની આરોગ્ય વિષયક કાળજી લઇ છેવાડાના તેમજ કુપોષિત બાળકો માટે માતાની ભૂમિકા અદા કરી રહી છે.
જામનગર (Jamnagar)જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખાની સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર(Anganwadi Women)તેમજ તેડાગર બહેનોને નિમણુક પત્રો (Appointment Letter) એનાયત કરવાનું તથા જિલ્લા પંચાયતની સ્વ ભંડોળની ગ્રાન્ટમાંથી અતિ કુપોષિત બાળકો માટે પોષણ કીટ વિતરણનો કાર્યક્રમ રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ટાઉહોલ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ 60 આંગણવાડી કાર્યકર તેમજ 53 તેડાગર બહેનોને મંત્રીના હસ્તે નિમણુક પત્રો એનાયત કરાયા હતા.
આ પ્રસંગે કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, જિલ્લાની 888 જેટલી આંગણવાડીના માધ્યમથી આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનો નવજાત શિશુઓ, સગર્ભાઓ તેમજ ધાત્રી માતાઓની આરોગ્ય વિષયક કાળજી લઇ છેવાડાના તેમજ કુપોષિત બાળકો માટે માતાની ભૂમિકા અદા કરી રહી છે. કોરોના કાળમાં પણ જીવને હથેળીમાં લઇ આ બહેનોએ દર્દી નારાયણની સેવા કરી કર્તવ્ય નિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નવજાત શિશુઓ સશક્ત બને તેમજ સમાજ કુપોષણમુક્ત બને તે માટે સરકારે જિલ્લા અને બાલ કલ્યાણ વિભાગની રચના કરી કુપોષણમુક્ત ભારતની દિશામાં નક્કર પગલાં ભર્યા છે.
જન્મથી જ બાળકના પોષણની તમામ વ્યવસ્થાઓ સરકાર કરી રહી છે. તેમ જણાવી સરકાર તેમજ આઈ.સી.ડી.એસ.દ્વારા હાથ ધરાઈ રહેલી કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારીએ માતા અને બાળક બંને તંદુરસ્ત રહે અને સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તે માટે, આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોની કામગીરીની પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા હતા.
આ ઉપરાંત જામનગર તાલુકાના બેડ ગામે રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલ દ્વારા બેડ બંધારા અને સસોઈ નદીની વચ્ચે આવેલા ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ હનુમાન મંદિર પાસે આવેલ પાણીના ટાંકાથી વાકોલ માતાજીના મંદિર સુધી પાણીની પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. રબારી સમાજના આસ્થાના કેન્દ્ર એવા વાકોલ માતાજીના મંદિરે હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય પાણીની સુવિધા ઉપલબ્ધ થવાથી તેમની સુવિધામાં ઉમેરો થશે.
કૃષિમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આગામી ચોમાસા પહેલા ખાતમુહર્ત કરાયેલા આ ૨૦ મીટર લંબાઈ ધરાવતા ચેકડેમનું કાર્ય પૂર્ણ થઈ જવાથી પાણીનો સંગ્રહ થશે જેનાથી ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની મદદ મળી રહેશે તેમજ વાકોલ માતાજીનાં મંદિરે આવતા શ્રદ્ધાળુઓને પાણીની સુવિધા મળી રહેવાથી આસ્થાના કેન્દ્રની સાથે સાથે મંદિર પર્યટન સ્થળ તરીકે પણ વિકસશે.
(With Input, Divyesh Vayda, Jamnagar)