Jamnagar : ફરતા પશુ દવાખાનાને સારો પ્રતિસાદ મળતા, 6 મોબાઈલ યુનિટ વધારીને 12 કરાયા, બે વર્ષમાં એક લાખ પશુની કરાઈ સારવાર
જામનગરમાં (Jamnagar) 22 જૂન 2020ના રોજ 12 ફરતા પશુ દવાખાના (Veterinary clinic) શરૂ કરવામાં આવ્યા હતા. તેમજ 28 ડિસેમ્બર 2021 ના રોજ 6 વધારાના મોબાઈલ યુનિટનો ઉમેરો કરવામાં આવ્યો હતો.
ગુજરાત (Gujarat) રાજ્યના પશુપાલન વિભાગે (Department Animal Husbandry) પશુ આરોગ્યની રક્ષા માટે 108 જેવી સેવાઓ આપતાં ફરતા પશુ દવાખાના સમગ્ર રાજ્યમાં ચાલુ કર્યા છે. જેમાં એક મોબાઈલ એનિમલ ડિસ્પેન્સરી (Mobile Animal Dispensary) સાથે 10 ગામ જોડવામાં આવ્યા છે, જેની નિર્ધારિત સમય પ્રમાણે મુલાકાત લઈને આ દવાખાના પશુ આરોગ્ય રક્ષાની સેવા વિનામૂલ્યે આપે છે અને પશુપાલકો તાકીદના, કટોકટીના સંજોગોમાં 1962 પર કોલ કરી તેમના વિસ્તારના ફરતા પશુ દવાખાનાની આરોગ્ય સેવાઓ તેમના ગંભીર રીતે બીમાર કે ઇજાગ્રસ્ત પશુ માટે મેળવી શકે છે. જામનગરમાં આ પશુ દવાખાના દ્વારા બે વર્ષમાં 1,01,607 પશુઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી છે.
જામનગર જિલ્લામાં પશુઓની જીવાદોરી સમાન ફરતા પશુ દવાખાનાને (મોબાઈલ વેટરનરી ડીસ્પેન્સરી) બે વર્ષ પૂર્ણ થયા છે. આ બે વર્ષ દરમ્યાન અબોલ એવા 1,01,607 પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે. જામનગરમાં 22 જૂન 2020ના રોજ 12 ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવ્યા હતા. તેમજ 28 ડિસેમ્બર 2021 ના રોજ 6 વધારાના મોબાઈલ યુનિટનો ઉમેરો કરવામાં આવ્યો હતો.
બે વર્ષથી નિરંતર સેવા
આ સેવા શરૂ થયાના બે વર્ષ દરમિયાન 1 લાખથી વધુ પશુઓની સારવાર કરવામાં આવી છે, જેમાં 97,104 શિડ્યૂલ દરમિયાન અને ઇમરજન્સીમાં 4,503 પશુની સારવાર કરવામાં આવી હતી. ફરતા પશું દવાખાના દ્વારા છેલ્લા બે વર્ષમાં આપવામાં આવેલ પશુઓની વિગતો જોઈએ તો 46845 ભેંસ, 4560 ગાય, 4375 બકરી, 2989 ઘેટા, 1518 કુતરાઓની નિશુલ્ક સારવાર કરવામાં આવી હતી.
લોકો સેવાઓનો લઇ રહ્યા છે લાભ
જામનગર જિલ્લામાં જામનગર તાલુકામાં આમરા, ફલા, ચંદ્રગઢ, હર્ષદ પર, ધુતારપર, જાંબુડા, ઠેબા તેમજ જામજોધપુર તાલુકામાં તરસાઈ, મોટી ગોપ ઉપરાંત જોડિયા તાલુકામાં પીઠડ, ભાદરા, દુધઈ કાલાવડ તાલુકામાં આણંદપર, નવાગામ, ખરેડી લાલપુરમાં ધરમપુર, ખડખંભાળિયા અને ધ્રોલમાં નાથુવડલા સહિત 18 ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવ્યા છે. જે તે વિસ્તારના પશુ પાલકો અને લોકોમાં ફરતા પશુ દવાખાનાની સેવાઓની જાણકારી વધતી જાય છે તેમ તેમ લોકો પશુ આરોગ્યની રક્ષા માટે આ સેવાનો લાભ લઈ રહ્યા છે.
પ્રત્યેક વાનમાં એક પશુ ચિકિત્સક
આ ફરતા પશુ દવાખાનાનો આશય પશુપાલકોના દુધાળા અને ખેતી ઉપયોગી મોટા પશુઓના આરોગ્યની કાળજી લેવાનો છે. જીવદયાને વરેલી રાજ્ય સરકારનો ફરતાં પશુ દવાખાના શરૂ કરવાનો શુભ હેતુ સાચા અર્થમાં સાર્થક થઈ રહ્યો છે. આ દવાખાના માટે એવા વિસ્તારો પસંદ કરવામાં આવ્યાં છે. જ્યાં નજીકમાં પશુ સારવારની સેવાઓ ઉપલબ્ધ નથી. આ પ્રત્યેક વાનમાં એક પશુ ચિકિત્સક અને મદદનીશ કમ વાહન ચાલક સારવાર સેવાઓ આપે છે.