Jamnagarમાં માટીના પરંપરાગત ગરબાનું આકર્ષણ, મહિલા કલાકારે વિવિધ કલર અને ડીઝાઈનના ગરબા તૈયાર કર્યા
નવરાત્રીના (Navratri 2022) પર્વમાં માતાજીની પૂજા-આરાધના કરવામાં આવે છે. જેમાં ગરબાનો ઉપયોગ થાય છે. કલાકારો માટીના ગરબા તૈયાર કરવા માટે નવરાત્રીના 3 માસ પહેલાથી મહેનત શરૂ કરી દે છે.
નવરાત્રીનો (Navratri 2022) તહેવાર કોરોનાકાળના બે વર્ષ બાદ ધામધૂમથી ઉજવાવા જઇ રહ્યો છે. આ ગુજરાતી પરંપરાનો સૌથી લાંબો પર્વ માનવામાં આવે છે. ત્યારે આ ધાર્મિક પર્વની ઉજવણી કરવા માટે ભકતો (Devotees) અને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પરંપરા પરંપરાગત માટીના બનાવેલા ગરબા સાથે જોડાયેલી છે. નવરાત્રીના નવ દિવસ માટીના ગરબામાં (Garba) દીવો કરીને મા શક્તિની આરાધના કરવામાં આવે છે. ત્યારે બજારમાં અવનવા માટીના ગરબાઓએ આકર્ષણ જમાવ્યુ છે.
અલગ-અલગ કલર અને ડીઝાઈનના ગરબા
નવરાત્રીના પર્વમાં માતાજીની પૂજા-આરાધના કરવામાં આવે છે. જેમાં ગરબાનો ઉપયોગ થાય છે. કલાકારો માટીના ગરબા તૈયાર કરવા માટે નવરાત્રીના 3 માસ પહેલાથી મહેનત શરૂ કરી દે છે. જામનગરના એક કલાકારે અલગ-અલગ કલર અને ડીઝાઈનના ગરબા તૈયાર કર્યા છે. ગરબા તૈયાર કરવા માટે દૈનિક તે 10થી 12 કલાક મહેનત કરે છે. સામાન્ય રીતે એક ગરબાને તૈયાર કરતા 3 દિવસ જેવો સમય લાગે છે. અને ત્રણ દિવસે બંન્નેની 10થી 12 કલાકની મહેનતથી આશરે 70 થી 80 ગરબા તૈયાર થાય છે. અગાઉ માત્ર ગરબાને સાદા કલર જ કરાતા. હવે તેમાં અવનવી ડીઝાઈન, પેન્ડીંગ કરવામાં આવે છે.
મુખ્યમંત્રી માટે તૈયાર કરે છે ખાસ ગરબો
આ વખતે તો ગરબામાં આભુષણથી સુશોભિત કરવામાં આવેલા છે. જામનગરના મહિલા કલાકાર ગરબા તૈયાર કરનાર નયનાબેન સચાણીયા દ્વારા આવા ગરબાની સાથે દર વર્ષે એક ખાસ ગુજરાતના મુખ્યમંત્રી માટે ગરબો તૈયાર કરવામાં આવે છે. જેમાં કમળના નિશાન સાથેનો આકર્ષક ગરબો બનાવવામાં આવે છે. જે મુખ્યમંત્રીને આપે છે.
પહેલા માત્ર માટીના બનતા ગરબામાં લાલ કે ગેરૂ રંગના જોવા મળતા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગરબામાં વિવિધ રંગોનો ઉપયોગ કરીને તેને સુશોભિત કરવામાં આવે છે. તો આ વખતે તેમાં આંભલા, ટીકી, સિતારા, મોતી સહીતના આભુષણોથી ગરબાને તૈયાર કરવામાં આવ્યા છે. જામનગરના આ ગરબા ન માત્ર જામનગર પરંતુ રાજયભરના અનેક શહેરમાં વેચાય છે. આ ગરબા રૂપિયા 50થી લઈને 1500 રૂપિયા સુધીના વેચાય છે. અગાઉ માત્ર માટીના એક જ પ્રકારના ગરબા બજારમાં મળતા. તેથી નવરાત્રીના એકાદ દિવસ પહેલા ખરીદી થતી. પરંતુ નવી પેઢી પોતાના ગરબાને બીજા કરતા અલગ તેમજ પોતાની પસંદગી મુજબ ગરબા લેવાનુ પસંદ કરતા હોય તેથી નવરાત્રી પહેલા ઓર્ડર આપતા હોય છે. અથવા બજાર મળતા નવી ડીઝાઈન અને અલગ કલરના ગરબા ખરીદતા હોય છે.
નવરાત્રી પર્વમાં ગરબાનુ વેચાણ તો થાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રંગબેરંગી ગરબાની માગ વધી છે. અને કલાકારો પણ દર વખતે ગરબામાં નવીનિકરણ કરીને નવા ડીઝાઈન રાખે ગરબા તૈયાર કરે છે.