Breaking News : હાથણી ‘માધુરી’ એટલે કે મહાદેવી અંગે ‘વનતારા’નું નિવેદન, જાણો શું કહ્યું
કોલ્હાપુરમાં 'મહાદેવી' તરીકે જાણીતી અને લોકપ્રિય એવી માધુરી, હાઈ-પાવર્ડ કમિટી (HPC)ના નિર્દેશોના પાલનરૂપે જામનગર સ્થિત વનતારા ખાતે આવી હતી ત્યારે હવે માધુરીએ અંગે 'વનતારા'નું નિવેદન સામે આવ્યું છે.

કોલ્હાપુરમાં ‘મહાદેવી’ તરીકે જાણીતી અને લોકપ્રિય એવી માધુરી 30 જુલાઈ 2025ના રોજ જામનગર સ્થિત ‘વનતારા’માં આવી હતી. આ પગલું હાઈ-પાવર્ડ કમિટી (HPC) ના નિર્દેશોના પાલનરૂપે લેવામાં આવ્યું હતું, જે નિર્દેશોને માનનીય બોમ્બે હાઈકોર્ટ અને માનનીય સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખ્યા હતા. ‘વનતારા’એ તેની કસ્ટડી માંગી ન હતી. માત્ર નિર્દેશ મળવાને કારણે જ તેને સ્વીકારવામાં આવી હતી અને તેની સંભાળ રાખવામાં આવી હતી.
કોલ્હાપુરમાં માધુરી સાથે જોડાયેલી લોકોની ઊંડી લાગણીઓને અમે સંપૂર્ણપણે સમજીએ છીએ. મહારાષ્ટ્ર સરકાર, તેના અધિકારીઓ, સંબંધિત પક્ષકારો અને સમુદાયના સભ્યો સાથેની ચર્ચા બાદ, ‘વનતારા’એ 6 ઓગસ્ટ 2025ના રોજ જણાવ્યું હતું કે, તે આ લાગણીઓનું સન્માન કરે છે અને સક્ષમ સત્તાવાળાઓના નિર્દેશોનું પાલન કરશે.
દર પખવાડિયે તેની તબીબી તપાસ
ત્યારબાદ માનનીય સુપ્રીમ કોર્ટે સંબંધિત પક્ષોને તેમના દાવા HPC સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પક્ષોની રજૂઆતો સાંભળ્યા પછી, અહેવાલો મંગાવ્યા પછી અને નંદની (Nandani) ખાતેની સુવિધાનું નિરીક્ષણ કર્યા પછી, HPCએ 9 સપ્ટેમ્બર 2026ના રોજ એક સવિસ્તાર આદેશ પસાર કર્યો હતો. આ આદેશ દ્વારા માધુરીને કડક શરતોને આધીન કોલ્હાપુર પરત ફરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ શરતોમાં સામેલ છે કે, તેનો ઉપયોગ સરઘસો કે અન્ય કોઈ હેતુ માટે કરવામાં આવશે નહીં, તેને ચોવીસ કલાક સંભાળ પૂરી પાડવામાં આવશે અને દર પખવાડિયે તેની તબીબી તપાસ કરવામાં આવશે.
View this post on Instagram
‘વનતારા’ HPCના અધિકારક્ષેત્રનું સન્માન કરે છે અને તેના નિર્દેશોનું સંપૂર્ણ પાલન કરશે.માધુરી અંગેની અમારી ભૂમિકા હંમેશા પશુચિકિત્સા વિજ્ઞાન અને તેના કલ્યાણ પર આધારિત રહી છે. સતત પશુચિકિત્સીય સંભાળ દ્વારા તેની સ્થિતિ સ્થિર થઈ છે, પરંતુ તેની જૂની (ક્રોનિક) બીમારીઓ સંપૂર્ણપણે દૂર થઈ નથી. તેને હજુ પણ યોગ્ય સંભાળ, સહાયક વ્યવસ્થાપન અને નિયમિત પશુચિકિત્સીય દેખરેખની જરૂરિયાત છે.
વનતારા’એ તેના સ્થળાંતરની પ્રક્રિયામાં સહયોગ
કોલ્હાપુર પરત ફરવાથી અમારી જવાબદારી પૂરી થતી નથી. ‘વનતારા’એ તેના સ્થળાંતરની પ્રક્રિયામાં સહયોગ આપ્યો છે અને સુનિશ્ચિત કર્યું છે કે ત્યાં રહેઠાણની યોગ્ય પરિસ્થિતિઓ, પશુચિકિત્સા માટેનું માળખું, તબીબી સાધનો, દવાઓ અને અન્ય જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ હોય. HPCના નિર્દેશ મુજબ, ‘વનતારા’ના પશુચિકિત્સકો દર પખવાડિયે કોલ્હાપુરમાં માધુરીની મુલાકાત લેશે, તેની તબીબી તપાસ કરશે અને સક્ષમ સત્તાવાળાઓને અહેવાલ સુપરત કરશે. આ બાબત સંભાળની સાતત્યતા જાળવવા અને તે જ્યાં પણ રહે ત્યાં તેના કલ્યાણની સુરક્ષા કરવા વિશે છે.
‘વનતારા’એ નંદની ખાતેના તે વાડા (એન્ક્લોઝર) અને સુવિધા પર પણ કામ કર્યું છે. જ્યાં માધુરી હવે પરત ફરી રહી છે. ઉપલબ્ધ માળખાગત સુવિધાઓના દાયરામાં રહીને, તેના માટે શક્ય શ્રેષ્ઠ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ટાઉન પ્લાનિંગ (નગર આયોજન) સંબંધી મર્યાદાઓને કારણે આ તબક્કે માળખાગત સુવિધાઓમાં વધુ સુધારા કરી શકાયા નથી, કારણ કે ટ્રસ્ટની જમીનમાંથી પસાર થતા રસ્તાને લીધે વિકાસ માટે ઉપલબ્ધ જમીન મર્યાદિત બની છે. માધુરી ત્યાં સ્થાયી થઈ જાય પછી પણ, સુવિધાના અપગ્રેડેશન (સુધારણા) માટે ‘વનતારા’ મઠને સહયોગ આપવા માટે તૈયાર રહેશે. જો અદાલતો અથવા સક્ષમ સત્તાવાળાઓ દ્વારા નિર્દેશ આપવામાં આવે, તો ‘વનતારા’ આવા અપગ્રેડેશનમાં પણ સમાન રીતે સહાય કરશે.
‘વનતારા’ માને છે કે પ્રાણીઓના સાચા કલ્યાણ માટે તથ્યો, પશુચિકિત્સા વિજ્ઞાન, જવાબદારીપૂર્વકની સંભાળ, નિયત પ્રક્રિયાનું સન્માન અને જીવનના કાયમી રક્ષણ માટેની અતૂટ પ્રતિબદ્ધતા આવશ્યક છે.
સહયોગ બદલ આભાર
‘વનતારા’ માનનીય સુપ્રીમ કોર્ટ, માનનીય બોમ્બે હાઈકોર્ટ અને HPC (હાઈ પાવર્ડ કમિટી) ના નિર્દેશો બદલ તેમનો આભાર માને છે. અમે મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારો તથા તેમના અધિકારીઓનો તેમના સહયોગ બદલ આભાર માનીએ છીએ. માધુરી પ્રત્યેની ચિંતા અને સંવેદના બદલ અમે મઠ અને કોલ્હાપુરના લોકોના પણ એટલા જ આભારી છીએ. HPC સમક્ષ માધુરીની સ્થિતિ રજૂ કરવામાં PETA ઈન્ડિયાની ભૂમિકાને પણ અમે સ્વીકારીએ છીએ અને પ્રાણી કલ્યાણના કાર્યમાં તેમના સાથેના અમારા લાંબા ગાળાના સહયોગનું મૂલ્ય સમજીએ છીએ.
માધુરીનું કલ્યાણ એ ‘વનતારા’ માટે સર્વોપરી છે. તેના સ્વાસ્થ્ય, કલ્યાણ અને ગરિમા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા તે ક્યાં રહે છે. તેના પર નિર્ભર નથી. અમે તેના સારા સ્વાસ્થ્ય અને લાંબા, સુરક્ષિત તથા સુખી જીવનની કામના કરીએ છીએ.
