Jamnagar : રાજ્યમાં (Gujarat)છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ અટકે તે માટે ઢોર નિયંત્રણ કાયદો (Cattle control bill)લાવવા ઘણી મથામણ ચાલી રહી છે.બીજી તરફ જામનગર સહિત ઘણા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે-દિવસે વધતો જોવા મળી રહ્યો છે. ફરી રખડતા ઢોરે જામનગરના મહેમાન બનેલા એક વૃધ્ધ મહિલાને હડફેટે લીધા હોવાના સમાચાર મળી રહ્યા છે.મળતી માહિતી મુજબ મનપાના(Jamnagar Muincipal Corporaion) દંડકના સંબંધી ઈન્દોરથી જામનગર આવ્યા હતા. આ દરમિયાન શહેરના કામદાર કોલોની, આદર્શ સોસાયટીમાં મહિલાને રખડતા ઢોરે હડફેટે લીધા હતા.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી આ વુદ્ધ મહિલાને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવી છે.62 વર્ષીય આ વૃદ્ધાનું નામ કાંતાબેન મનસુખલાલ માલદે છે અને તે મુળ ઈન્દોરના (Indore) રહેવાસી છે.તેઓ માંઢા અને હરિપરગામે ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી થવા પરિવાર સાથે જામનગર આવ્યા હતા.
બીજી તરફ તંત્ર પણ ઘોર નિંદ્રામાં હોય તેવુ લાગી રહ્યું છે.જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફીકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરનો ત્રાસ દૂર કરવા મનપાએ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ઢોર પકડવા માટે બે ટીમ તૈયાર કરીને કામગીરી શરૂ કરી છે. જેમાં સૌથી આશ્વર્યની વાત તો એ છે કે ચાલુ સપ્તાહ દરમિયાન માત્ર 45 ઢોર પકડવામાં આવ્યા છે.
જેને કારણે શહેરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. આ ઝુંબેશ આગામી દિવસોમાં વધુ સઘન બનાવામાં આવનાર હોય ખાનગી માલીકીના ઢોર પકડાશે તો તેવા કિસ્સામાં ઢોર માલીકો સામે દંડનીય તેમજ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.તેવી જોગવાઈ ઢોર નિયંત્રણ બિલમાં કરવામાં આવી છે.પરંતુ ઢોર નિયંત્રણ બિલ લાગુ કર્યા બાદ પણ સ્થિતિ ‘જૈસે થે’ જેવી જોવા મળી રહી છે.ત્યારે તંત્રની બેદરકારીને કારણે હાલ લોકોએ સહન કરવાનો વારો આવ્યો છે. રોજબરોજ થઈ રહેલી આવી ઘટનાને પગલે લોકોમાં પારાવાર રોષ જોવા મળી રહ્યો છે.