
ઈઝરાયેલ અને અમેરિકાએ ભેગા થઈને ઈરાન ઉપર કરેલા હુમલાને કારણે, ભારત આવતો ઈંધણ અને અન્ય મહત્વની કાચી સામગ્રીનો પુરવઠો ખોરવાઈ ગયો છે. ખાસ કરીને ક્રુડમાંથી ઊપજ થતી વસ્તુઓને અસર થવા પામી છે. તો આડકતરી રીતે નિકાસ સંબંધિત ઉદ્યોગો ઉપર પણ યુદ્ધની અસર જોવા મળે છે. એક તરફ યુદ્ધને પગલે, ગેસનો પુરવઠો ખોરવાઈ જતા, ઉદ્યોગોને પુરો પાડવામાં આવતા ગેસ ઉપર કાપ લાદી દેવામાં આવ્યો છે. જેની સીધી જ અસર જે તે ઉદ્યોગ પર જોવા મળ છે. ગુજરાતમાં સુરતના કાપડ ઉદ્યોગે તો આ અસરને ખાળવા માટે ખાસ જાહેર સભા યોજવા અને તેમાં ઉત્પાદન ઉપર કાપ મુકવા કેટલાક મહત્વના નિર્ણયો લોવાની જાહેરાત કરી છે.
ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિયન, કે જે ટૂંકમાં ફોગવાના નામે પ્રચલિત છે. ફોગવાએ યુદ્ધને પગલે સર્જાયેલ વૈશ્વિક સ્થિતિની અસર કાપડ ઉદ્યોગ પરથી હળવી કરવા માટે કેટલાક સમય માટે પ્રોડકશનમાં કાપ મુકવાનો નિર્ણય કર્યો છે. આના માટે તમામ વિવર્સની મંજૂરી જરૂરી હોવાથી, ફોગવાએ Google ફોર્મ દ્વારા પ્રોડકશનમાં કાપ મુકવો જોઈએ કે નહીં તે અંગે સર્વે કરાવ્યો છે. આ સર્વેમાં બહોળો પ્રતિસાદ મળતા હવે, ફોગવા આ અંગે એક જાહેરસભા યોજવાનું આયોજન કરી રહ્યું છે.
સર્વેમાં 85% વીવર્સ દ્વારા પ્રોડક્શન કાપ બાબતે સહમતી દર્શાવવામાં આવી છે. જે સર્વેમાં 2800 જેટલા લોકોએ પ્રોડક્શન કાપ મુકવા અંગેનો નિર્ણય કર્યો હતો. જે સહમતિ બાદ ફોગવા દ્વારા જાહેર સભા કરવાનો નિર્ણય કર્યો છે. ફોગવાના ઉપક્રમે યોજાનારા જાહેરસભામાં સર્વાનુમતે પ્રોડક્શન કાપનો અંતિમ નિર્ણય લેવાશે. વૈશ્વિક સ્તરે યુદ્ધની પરિસ્થિતિને લઈ વિવર્સ પર તેની અસર વર્તાઈ રહી છે. ગેસની કમઠાણ સહિત વિવિધ ખર્ચાઓને પહોંચી વળવા વિવર્સ દ્વારા નિર્ણય કરાશે.