કોરોનાકાળમાં જો તમે ઈજિપ્ત થઈને કેનેડા જવાનું વિચારતા હોવ તો માંડી વાળજો, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
સર્બિયા થઈને કેનેડા જઈ રહેલા ભારતીય મુસાફરોને સર્બિયન ગવર્નમેન્ટ દ્વારા ઈન્ટરનેશનલ ટુરિસ્ટો માટેનો નિયમ રાતોરાત બદલી દેતા 250 ભારતીય વિદ્યાર્થીઓને સર્બિયાના બેલગ્રેડ એરપોર્ટ પર ફસાવવાનો વારો આવ્યો હતો.
કોરોના (Corona)ની બીજી લહેર દરમ્યાન ભારતમાં કોરોનાના કેસો વધતા કેનેડા (Canada)માં ભારતીય મુસાફરોને તેમજ ફ્લાઈટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જો કે જે વિદ્યાર્થીઓ (Students)એ કેનેડામાં ભણવા માટે વિઝા મેળવી લીધા હોય તેમણે તેમની કોલેજ કે યુનિવર્સિટીમાં નિયત સમયમાં હાજર થવું જરૂરી હોય જેને કારણે વિદ્યાર્થીઓ ભારતથી કેનેડાની સીધી ફ્લાઈટ પર પ્રતિબંધ હોવાના કારણે અન્ય દેશોમાં થઈને કેનેડા જવાના નુસખા અપનાવી રહ્યા છે, જે આગામી દિવસોમાં મુસાફરી કરનાર મુસાફરોને ભારે પડી શકે છે.
તાજેતરમાં જ આવી રીતે સર્બિયા થઈને કેનેડા જઈ રહેલા ભારતીય મુસાફરોને સર્બિયન ગવર્નમેન્ટ દ્વારા ઈન્ટરનેશનલ ટુરિસ્ટો માટેનો નિયમ રાતોરાત બદલી દેતા 250 ભારતીય વિદ્યાર્થીઓને સર્બિયાના બેલગ્રેડ એરપોર્ટ પર ફસાવવાનો વારો આવ્યો હતો. જો કે ભારતીય દુતાવાસે ફસાયેલા વિદ્યાર્થીઓની સમયસર મદદ કરીને તેમને એરપોર્ટથી બહાર કાઢ્યા હતા, જેને કારણે વિદ્યાર્થીઓની મુશ્કેલી ઓછી થઈ હતી. પરંતુ આવા વિદ્યાર્થીઓને 7 દિવસ સર્બિયામાં જ ક્વોરોન્ટાઈન રહેવું પડશે, જેને કારણે આ વિદ્યાર્થીઓના ખર્ચમાં વધારો થશે.
સર્બિયા થઈને કેનેડા જતા વિદ્યાર્થીઓ હજુ મુશ્કેલીમાંથી બહાર આવ્યા નથી, ત્યાં જ કેટલાક વિદ્યાર્થીઓ હવે ઈજિપ્ત થઈને કેનેડા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે અને કેટલાક વિદ્યાર્થીઓ તો ઈજિપ્ત થઈને કેનેડા પહોંચી પણ ગયા છે, પરંતુ આ વાતની જાણ હવે ઈજિપ્ત સરકારને થઈ ગઈ છે. જેને લઈને ઈજિપ્ત સરકાર પણ ગમે ત્યારે ઈન્ટરનેશનલ ટુરિસ્ટ માટેના નિયમો કડક કરી શકે છે, જેનાથી ઈજિપ્ત થઈને કેનેડા જવા ઈચ્છતા મુસાફરોને ભવિષ્યમાં નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.
મહત્વનું છે કે કોરોનાકાળમાં ભારતમાં કોરોનાના કેસો વધતા કેટલાક દેશો દ્વારા ભારતીય દેશમાંથી આવતા મુસાફરો તેમજ ફ્લાઈટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, આવા દેશોમાં ન્યુઝીલેન્ડ, કેનેડા , યુનાઈટેડ કિંગડમ, જાપાન, ઈટલી સહિત અનેક દેશોનો સમાવેશ થાય છે. જો કે આ તમામ દેશોમાંથી સૌથી વધુ કેનેડા દેશમાં વિદ્યાર્થીઓ જવાનું પસંદ કરતા હોય છે. શહેરના જાણીતા કન્સલ્ટન્ટ હિતેશ પટેલ આ પ્રકારે કેનેડા જવાની પ્રક્રિયાને જોખમી ગણાવી રહ્યા છે અને માને છે કે થોડા સમય માટે જ કેનેડાની સીધી ફ્લાઈટ પર પ્રતિબંધ છે પણ આ પ્રતિબંધ ટૂંક જ સમયમાં હટી જશે.
જેથી વિદ્યાર્થીઓએ અને વાલીઓએ આવી રીતે રિસ્ક લઈને કેનેડા જવાનું ટાળવું જોઈએ, સાથે જ હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ ઈજિપ્ત થઈને કેનેડા જવાનું વિચારી રહ્યા છે આવા વિદ્યાર્થીઓએ આવી પદ્ધતિ ન અપનાવવી જોઈએ. તેનાથી વિદ્યાર્થીઓનો સમય અને નાણાંનો વેડફાટ થાય છે. જે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસની ચિંતા છે, તે વિદ્યાર્થીઓએ થોડા સમય માટે ઓનલાઈન અભ્યાસ કરવો જોઈએ અથવા તેમનું ઈન્ટેક બદલાવી દેવું જોઈએ, જેથી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
આ પણ વાંચો: Ahmedabad : “આ રીતે મહિલાઓની સંખ્યા ઘટશે તો બહેનોએ ઘરે તાળું મારીને બેસવું પડશે” : પાટીલ