
સમગ્ર ગુજરાતમાં હાલમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં ગત 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા સંપૂર્ણ ચોક્કસાઈ સાથે તબક્કાવાર ચાલી રહી છે.
આ સમગ્ર પ્રક્રિયામાં મતદારને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના સર્જાય તથા ગેરસમજ ઉભી ના થાય તે માટે ભારતના ચૂંટણી પંચે ટેક્નોલોજીનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને વિવિધ પહેલોને અમલમાં મૂકી છે. આ પહેલ પૈકીની એક પહેલ એટલે ‘બુક અ કોલ વિથ BLO’. આ સુવિધા એટલે મતદારોને SIR વિષયક મૂંઝવતા કોઈપણ પ્રશ્નનો ઘરે બેઠા જવાબ મેળવવાનો સૌથી સરળ માર્ગ છે.
ગુજરાત રાજ્યનો પાત્રતા ધરાવતો કોઈ પણ મતદાર યાદીમાં સમાવેશ વગરનો રહી ના જાય અને પાત્રતા ના ધરાવતો મતદાર, મતદારયાદીમાં સામેલ ન રહે તેવા ધ્યેય સાથે હાલ, રાજ્યભરમાં બુથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે-ઘરે પહોંચીને ખૂબ જહેમત ઉઠાવી રહ્યાં છે. બુથ લેવલ ઓફિસર્સ (BLO) ગણતરી ફોર્મ (એન્યુમરેશન ફોર્મ)નું વિતરણ કરી મતદારોને આ ફોર્મ ભરવામાં મદદરૂપ બની રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયામાં મતદારોને ‘બુક અ કોલ વિથ BLO’ સુવિધા પણ ખૂબ મદદરૂપ સાબિત થઈ રહી છે.
ગુજરાતમાં ગઈકાલ સુધીમાં રાજ્યના ખૂણે-ખૂણેથી કુલ 10,204 નાગરિકોએ ‘ecinet’ વેબસાઈટ પર જઈને ‘બુક અ કોલ વિથ BLO’ સુવિધાનો લાભ મેળવ્યો છે. જે પૈકી 6,239 નાગરિકોનો બુથ લેવલ ઓફિસર દ્વારા માત્ર 48 કલાકના ટૂંકાગાળામાં સંપર્ક કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું છે. જ્યારે અન્ય નાગરિકોનો સંપર્ક સાધવા માટેનો પ્રયાસ ચાલી રહ્યો છે.
તદુપરાંત એન્યુમરેશન ફોર્મ પર બુથ લેવલ ઓફિસરનો નંબર પણ આપવામાં આવે છે. જેના પર તમે સંપર્ક કરીને મતદાર જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.
આ પણ વાંચોઃ 2027માં ભાજપ સરકારનુ ફિંડલુ વળી જશે, દિલ્હીમાં ગુજરાતના પ્રધાનો નક્કી કરાય છેઃ AAP