કહેવાય છે કે, ધૂમાડો છે તો આગ લાગી હશે. આ વાતના તર્ક પર જોઈએ તો, છેલ્લી બે સિઝનથી ગુજરાતના ખેડૂતો પાક વિમાના રૂપિયા માટે ચોધાર આંસૂએ રડી રહ્યા છે. સરકાર દોષનો ટોપલો વીમા કંપનીઓ પર ઠાલવી રહી છે. તો વીમા કંપનીઓએ સરકારથી એક કદમ આગળ ચાલીને સરકાર પાસે જ એફિડેવીટ કરવાની માગ કરી છે. આ બધુ થાય તે પહેલા સરકારે જાહેરાત કરી દેવી પડી કે, તાત્કાલીક સર્વે થશે અને જે ખેડૂતોએ વીમો નથી લીધો તેને પણ સરકાર મદદ કરશે.
સરકાર ખેડૂતોને રાજી કરવા પગલાં તો ભર્યા છે. પરંતુ જરૂરીયાતમંદ ખેડૂતો આજે પણ સહાયની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. રાજકોટ હોય કે રાધનપુર અને સાવલી હોય કે સાતલપુર. ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધી રાજયભરમાં કમોસમી વરસાદે પાકનું અનહદ નુકસાન કર્યુ છે. ખેડૂતની કમર તૂટી ગઈ છે. આ તમામની વચ્ચે NCBRનો ચોંકાવનારો રીપોર્ટ પણ સામે આવ્યો છે. જેમાં દેશના ખેડૂતોનો આપઘાત કરવામાં ગુજરાત ત્રીજા ક્રમે છે. 2015ની સરખામણીમાં 2016માં આત્મહત્યાની ઘટનામાં 36 ટકાનો વધારો થયો છે. જો કે 2018-19ની પરિસ્થિતિનો ચિતાર હજુ સ્પષ્ટ થયો નથી. પરંતુ હાલમાં ખેડૂતોને પડી રહેલી હાલાકી મામલે અને વધતી આત્મહત્યાના કેસમાં ભાજપે જાણે અકળ મૌન સેવી લીધું છે.
રાજ્ય સરકાર હોય કે, કેન્દ્ર સરકારના નિર્ણયો પર જે સંગઠન વાહવાહી કરવા નિવેદનોની હારમાળા સર્જી દે છે. એ સંગઠનના એકપણ પદાધિકારી હાલમાં આ અંગે કંઈ પણ બોલવા તૈયાર નથી. જો કે ખેડૂતોની ખસ્તા હાલત માટે કુદરતનો કહેર તો છે. પરંતુ ગુજરાતનું રાજકારણ પણ એટલુ જ જવાબદાર છે. તો બીજી તરફ ખેડૂતોની તકલીફ વિપક્ષ માટે એક રાજનૈતિક મુદ્દાથી વધુ કંઈ નથી. ગુજરાતમાં કોંગ્રેસ લગભગ નિવેદનોથી વધીને કોઈ એકશનમાં હોય એવુ લાગતું નથી. ખેડૂતોનો મુદ્દો હાર્દિક પટેલે ઉઠાવવાની વાત કરી, તે પછી સ્થાનિક કોંગ્રેસના નેતાઓએ ખેડૂત સત્યાગ્રહ આંદોલન પર પ્રતિક ઉપવાસની વાત કરી હતી. ગાંધીનગરમાં કેબિનેટની મહત્વની બેઠક હાથ ધરાઈ હતી. ત્યારે કોંગેસે પોતાના વિરોધ પ્રદર્શન માટે વડોદરા અને રાજકોટની પસંદગી કરી હતી. અને હાર્દિક પટેલે ખેડૂતો માટે રાજકોટમાં ઉપવાસ પર બેઠો છે. આમ તો હાર્દિક કોંગ્રેસ એક જ છે. પરંતુ આંદોલન કોંગ્રેસ નહીં હાર્દિક કરી રહ્યો હોઈ તેવું લાગે છે.
સરકારે પાક વીમાની રકમ પહેલા સર્વે કરવા નિર્ણય લીધો. પણ ખેડૂતો રાજી થવાની જગ્યાએ કેટલાક જાગૃત ખેડૂતોએ પોલ ખોલ કરતા આંકડા જાહેર કર્યા કે, ગુજરાતમાં ત્રણ વર્ષમાં 9 હજાર કરોડથી વધુનું વીમાનું પ્રિમિયમ ભરાયું છે. જેની સામે ત્રણ વર્ષમાં માત્ર 3 હજાર કરોડનું વળતર આપવામાં આવ્યું છે. એટલે કે, 6 હજાર કરોડ રૂપિયાનો વીમા કંપનીઓને સીધો ફાયદો. હવે એ કહો કે, આ તો માવઠું થયું એટલે સરકાર જાગી અને ખેડૂતોના આંસુનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો. જેના કારણે વીમા કંપનીઓ માટે જાતે સર્વે કરાવ્યો. બાકી અત્યાર સુધીમા આ છ હજાર કરોડનો હિસાબ માંગવામા આવ્યો જ નથી. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, તે વીમા પ્રીમયમાં દસ વર્ષ જૂના બિહારના ઘાસચારા કૌભાંડ જેવું જ છે? આખરે સતત સંવદેનશીલ અને પારદર્શક વહીવટના દાવા વચ્ચે કેમ ખેડૂતોની સમસ્યાનું કોઈ સમાધાન આવી રહ્યું નથી.
Published On - 10:51 am, Wed, 13 November 19