Surat : UAE માં અટવાયેલા ગુજરાતીઓને 4 ઓગષ્ટે સ્પેશ્યલ ફ્લાઈટથી સુરત લવાશે
કોરોનાની ગાઈડલાઈનને પગલે, યુએઈમાં અટવાયેલા ગુજરાતીઓને, લઈને વિશેષ ફ્લાઈટ આગામી 4 ઓગસ્ટે સુરત આવશે.
કોરોના વાયરસના કેસમાં વધારો અને સંભવિત ત્રીજી લહેરને પગલે ભારતથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરના પ્રતિબંધને કારણે સુરત, દક્ષિણ ગુજરાત અને રાજ્યના અન્ય ભાગોમાં રહેતા ગુજરાતીઓ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં અટવાઈ ગયા છે. જેમને 4 ઓગસ્ટે સ્પેશ્યલ ફ્લાઈટથી સુરત લાવવામાં આવશે.
કોરોના વાયરસ રોગચાળાને કારણે યુએઈના શારજહાં એરપોર્ટથી ખાસ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને અમીરાતમાં અટવાયેલા લોકો માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. જેની સીધી ફ્લાઇટ 4 ઓગસ્ટે સુરતમાં ઉતરશે અને હાલ તે માટેનું બુકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. ગયા અઠવાડિયે, લગભગ 97 લોકોને શારજહાંથી વિશેષ ફ્લાઇટમાં સુરત લાવવામાં આવ્યા હતા. યુએઈમાં અટવાયેલા લોકોની મુસાફરીની જરૂરિયાતો અને સગવડને ધ્યાનમાં રાખીને આ સતત બીજી ખાસ ફ્લાઇટ હશે.
યુએઈમાં અટવાયેલા સુરત, દક્ષિણ ગુજરાત અને રાજ્યના અન્ય ભાગોના લોકોને ખાસ ફ્લાઇટમાં પાછા આવવાની તક છે. ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે યુએઈએ ભારતથી આવતી કમર્શિયલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. યુએઈથી મુસાફરોનો સારો પ્રતિસાદ મળ્યો છે. યુએઈ સરકાર દ્વારા પ્રતિબંધને પગલે આ ખાસ ફ્લાઇટ કોઈપણ મુસાફરો વિના ખાલી પરત જશે.
નોંધનીય છે કે કોરોનાના કારણે હાલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર પ્રતિબંધ છે. જો કે તેના કારણે યુએઈમાં વસતા સુરત, સાઉથ ગુજરાત અને રાજ્યના અન્ય ભાગોમાં વસતા ગુજરાતીઓ ત્યાં ફસાઈ ગયા છે. સરકાર દ્વારા પણ યુએઈમાં ફસાયેલા ગુજરાતીઓને ભારત પરત લાવવા વંદે ભારત હેઠળ ખાસ ફ્લાઇટ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જ આ ફ્લાઇટ પણ સુરત આવી પહોંચશે. સુરતમાં 4 ઓગષ્ટે આ ફ્લાઇટ લેન્ડ કરશે. તેમજ અહીં મુસાફરોને ઉતાર્યા બાદ આ ફ્લાઇટ ખાલી જ પરત યુએઈ જશે.