Iran Israel US War: યુદ્ધગ્રસ્ત સ્થિતિને કારણે મિડલ ઈસ્ટના દેશોમાં ફસાયા હજારો ગુજરાતી પરિવારો, મોટાભાગના દુબઈમાં ફસાયા

ઈરાન-ઈઝરાયેલ યુએસ વોરને કારણે મધ્ય પૂર્વમાં ભયાનક સ્થિતિ છે, જેમાં હજારો ગુજરાતી પરિવારો દુબઈ, અબુધાબી સહિતના દેશોમાં ફસાયા છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ થતાં તેમની મુશ્કેલી વધી છે. ભારત સરકાર દ્વારા યાત્રા પ્રતિબંધો જારી કરાયા છે. ફસાયેલા ભારતીયોની સલામતી અને પરત લાવવા માટે સરકાર સતત પ્રયાસરત છે.

| Edited By: | Updated on: Mar 01, 2026 | 4:28 PM

ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા સંયુક્ત હુમલાથી આખે આખા મધ્યપૂર્વમાં યુદ્ધની સ્થિતિ છે. સંપૂર્ણ મિડલ ઈસ્ટ ભડકે બળી રહ્યુ છે. જેના કારણે મિડલ ઈસ્ટના દેશોએ એડવાઈઝરી જારી કરીને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ રદ કરવી પડી છે. બહરીન, હોય મક્કા મદિના હોય, દુબઈ હોય કે કતર સંપૂર્ણ મિડલ ઈસ્ટમાં અમેરિકી બેસ કેમ્પ પર ઈરાન ભીષણ હુમલા કરી રહ્યુ છે. ઈરાનના સર્વેસર્વા સર્વોચ્ચ લીડર અલી આયાતોલા ખોમેનીની હત્યા બાદ ઈરાન જાણે રઘવાયુ બન્યુ છે અને કોઈને છોડશે નહીં તેવી ચેતવણી પણ આપી ચુક્યુ છે. આ ભયંકર યુદ્ધની સ્થિતિ વચ્ચે મિડલ ઈસ્ટના દેશોમાં અનેક ભારતીયોના જીવ પર આવી બની છે. તેઓ ત્યાં 48 કલાકથી ફસાયેલા છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ કેન્સલ થવાને કારણે હજારો ભારતીયોની સ્થિતિ કફોડી બની છે.

એક્લા ગુજરાતના જ 3000થી વધુ પ્રવાસીઓ દુબઈ ઍરપોર્ટ પર અટવાયા

ગુજરાતના ટુરીઝમ ડેવલપમેન્ટ સોસાયટી ચેરમેન મનિષ શર્માનો દાવો છે કે આ યુદ્ધની કારણે અંદાજે 3000 જેટલા ગુજરાતીઓ દુબઈ અને અબુધાબીમાં ફસાયેલા છે. યુદ્ધને કારણે પરિસ્થિતિ અત્યંત તણાવગ્રસ્ત બની છે. જેના કારણે 1500 થી વધુ મુસાફરોએ તેમની બુકિંગ રદ કરી છે. ઈન્ડિયા અને દુબઈ વચ્ચે અઢી કલાકનું અંતર હોવાથી હજારો પર્યટકો ત્યા ફરવા માટે જાય છે. પ્રતિ દિવસ 16 થી વધુ ફ્લાઈટ ગુજરાત અને દુબઈ વચ્ચે કનેક્ટીંગ છે. યુએસ, કેનેડા જનારા પ્રવાસીઓની કનેક્ટિંગ ફ્લાઈટ્સ પણ દુબઈ થઈને જાય છે. જેના કારણે દુબઈ જનારા પ્રવાસીઓની સંખ્યા અનેકગણી વધી જાય છે.

મોટાભાગના પ્રવાસીઓ દુબઈ, અબુધાબી, શારજાહમાં ફસાયા

જો કે હાલ પ્રાપ્ત વિગતો અનુસાર દુબઈમાં ફસાયેલા તમામ ગુજરાતીઓ સુરક્ષિત છે. હાલની સ્થિતિને જોતા પરિસ્થિતિ સામાન્ય ક્યારે થશે તે કહેવુ અઘરુ છે. મિડલ ઈસ્ટના દેશોની જો વાત કરવામાં આવે તો મક્કા મદિના જનારા શ્રદ્ધાળુઓની સંખ્યા વધુ હોય છે .હાલ ત્યાંથી સરકાર પ્રવાસીઓને સુરક્ષા અને સુવિધા પુરી પાડી રહી છે. અબુધાબી અને શારજાહમાં મોટાભાગે પ્રવાસીઓ ફસાયા છે.
જો કે ભારત સરકાર દ્વારા એડવાઈઝરી જારી કરી લોકોને પ્રવાસ ન કરવા સૂચના અપાઈ હતી. પરંતુ યુદ્ધ ભડકે એ પહેલા જ આ પ્રવાસીઓ નીકળેલા હતા અને હાલ દુબઈ, અબુધાબીમાં ફસાયેલા છે.

ઈન્ડિગો (Indigo) ફ્લાઈટ્સની એડવાઈઝરી

ઈન્ડિગોએ મધ્ય પૂર્વના એરસ્પેસનો ઉપયોગ કરતી ફ્લાઈટ્સને 2 માર્ચ 2026, રાત્રે 11:59 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. કતાર એરવેઝ (Qatar Airways): કતારનું એરસ્પેસ બંધ થવાને કારણે તમામ સેવાઓ કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી છે.

ઍર ઈન્ડિયાની ટ્રાવેલ એડવાઈઝરી

આ તરફ ઍર ઈન્ડિયાએ પણ તેની અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરી છે. ઍરલાઈન દ્વારા એડવાઈઝરી જારી કરીને કહેવાયુ છે કે મુસાફરો અને ક્રુ ની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિક્તા છે. 1 માર્ચે જનારી અનેક ફ્લાઈટ્સ રદ કરાઈ છે.

રદ કરાઈયેલી ફ્લાઈટ્

  • મુંબઈ-લંડન હીથ્રો, દિલ્હી-બર્મિંગહામ, દિલ્હી-એમ્સ્ટર્ડમ.
  • દિલ્હી-ઝ્યુરિચ, દિલ્હી-મિલાન, દિલ્હી-વિયેના.
  • બેંગલુરુ-લંડન હીથ્રો, દિલ્હી-કોપનહેગન વગેરે.

ઈરાન પર યુએસ ઈઝરાયેલના હુમલાને કારણે શનિવારે 410 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. રવિવારે સ્થિતિ વધુ તંગ બનતા 444 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરી શકે છે. DGCA એ સ્થિતિ પર દેખરેખ વધારી દીધી છે અને ઍરલાઇન કંપનીઓ સાથે સતત સંપર્કમાં છે. મધ્ય પૂર્વમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. જેઓ એરસ્પેસ બંધ થવાને કારણે ત્યાં ફસાઈ ગયા છે. દુબઈ,અબુ ધાબી, કત્તર હોય કે શારજાહ ફસાયેલા ભારતીયો સોશિયલ મીડિયા પર તેમની પીડા વ્યક્ત કરી રહ્યા છે.

Input Credit- Narendra Rathod- Ahmedabad

 

પાકિસ્તાનને અફઘાનિસ્તાન સામેનો હુમલો ભારે પડ્યો, તાલિબાની સેનાએ વળતો પ્રહાર કરી પાકિસ્તાની સેનાને લાવી દીધી ઘૂંટણીઓ- વાંચો

Published On - 3:26 pm, Sun, 1 March 26