VADODARA : કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વડોદરા નજીક દુમાડ ચોકડી ખાતે રૂ.34.50 કરોડના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 અને એક્સપ્રેસ વે પર વડોદરા-સાવલી જંક્શનના સુધારકામનું વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, સાંસદ રંજનબેન ભટ્ટની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કર્યુ હતુ. આ કામગીરી પૂર્ણ થતાં દુમાડ ચોકડી ઉપર ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યાનું કાયમી નિરાકરણ થશે.
કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું કે, દિલ્હી મુંબઈ ગ્રીન હાઈવે (Mumbai-Delhi Express Highway)ગુજરાતના વિકાસ માટે મહત્વપૂર્ણ હાઈ-વે છે. ગુજરાતમાં રૂ.36 હજાર કરોડના ખર્ચે 423 કિ.મી.ના આઠ લેનના પ્રથમ તબક્કામાં 132 કિ.મી.પૈકી 40 ટકા કામ પૂર્ણ થયું છે. વડોદરા અંકલેશ્વર 100 કિ.મી. માર્ગનું કામ વર્ષ 2022 સુધીમાં પૂર્ણ થશે.
આ માર્ગ પર યાત્રિકો માટે 33 સ્થળોએ વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. એટલું જ નહિ ભવિષ્યમાં આ માર્ગ પર લોકો અને માલ સામાનનું હેરફેર ડ્રોનથી થાય તેવી સુવિધા વિકસાવવામાં આવશે. તેમણે ઉમેર્યુ, ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વે રૂ.3 હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. ગુજરાત સહિત દેશભરમાં નિર્માણ થઇ રહેલ વિવિધ માર્ગોની વિગતો તેમણે આપી હતી.
કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતુ કે, દિલ્હી મુંબઈ ગ્રીન હાઈવે વિશ્વનો સૌથી મોટો હાઈવે છે. જેનું એક લાખ કરોડના ખર્ચે નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં રૂ.1.25 લાખ કરોડના માર્ગોના કામો ચાલી રહ્યા છે અને વધુ રૂ.1.25 લાખ કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે.
કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું કે, દિલ્હી મુંબઈ ગ્રીન હાઇવેનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં વડોદરાથી મુંબઈ માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી જવાશે. આ માર્ગને નરીમાન પોઈન્ટ સુધી લંબાવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે પ્રધાનમંત્રી મોદીના જન્મ દિવસે દુમાડ ચોકડી ખાતે બ્રીજના કામનું ખાતમુહૂર્ત થયું એ ગૌરવ અને આનંદની વાત છે એવી લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, દેણા અને છાણી બ્લેક સ્પોટનું કામ ટૂંક સમયમાં શરૂ કરવાની પણ નીતિન ગડકરીએ સૂચના આપી છે. પ્રારંભમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજરશ્રી દિગ્વિજય મિશ્રાએ સૌનો આવકાર કરતાં જણાવ્યું કે, દુમાડ ચોકડી જંકશનનું કામ પૂર્ણ થતાં ટ્રાફિકની સમસ્યા હલ થશે અને વાહન વ્યવહારને આવાગમનમાં સરળતા થશે. આ માર્ગ પરના બ્લેક સ્પોટ દુરસ્ત કરવા કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને સુચનાઓ આપી છે.
આ પણ વાંચો : પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણીનું કાર્યકર્તાઓને સંબોધન,”ઘડીના છઠ્ઠા ભાગમાં રાજીનામૂં આપ્યું”, અનેક કાર્યકર્તાઓ થયા ભાવુક
આ પણ વાંચો : PM Modi ના જન્મદિન નિમિત્તે રાજ્યમાં અનેક યોજનાઓથી આટલા કરોડનો લાભાર્થીઓને મળ્યો લાભ
Published On - 9:14 pm, Fri, 17 September 21