1.જુનાગઢમાં AAP પાર્ટીના નેતાઓ વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ નોંધાયો ગુનો
આમ આદમી પાર્ટીના નેતાઓ વિરૂધ્ધ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ઈસુદાન ગઢવી, પ્રવિણ રામ, મહેશ સવાણી અને લલિત પટોડીયા સહિતના નેતાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 30 જૂનના રોજ પટેલ સમાજ ખાતે પૂર્વ મંજૂરી વગર એકત્રીત થઈ જાહેરનામાના ભંગ બદલ પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે.
2.રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળ્યું હોવાનો શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યો સ્વીકાર
GLS યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમમાં આવેલા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અત્યારે એકપણ પરીક્ષા આપ્યા વિના વિદ્યાર્થીઓ ધોરણ 11માં પહોંચી ગયા છે. વધુમાં તેમણે કહ્યું કે, ધો 10 અને 11માં કોરોનાના કારણે માસ પ્રમોશન અપાયું હોવાથી ,નિષ્ણાતો શિક્ષણનું સ્તર કથળ્યું છે, જેથી વિદ્યાર્થીઓની ગુણવત્તા જાણવા નિદાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે.
3.દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ જુલાઈમાં ઑફલાઈન પરીક્ષા લેવાનો કર્યો નિર્ણય
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા રાજ્ય સરકારના પરિપત્ર મુજબ જુલાઈમાં ઑફલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં પરીક્ષાના આયોજન અંગે વિચારણા કરવામાં આવી હતી.
4.અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફૂટ ઓવરબ્રિજનું ડિસેમ્બરમાં થશે લોકાર્પણ
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફૂટ ઓવરબ્રિજનું ડિસેમ્બરમાં લોકાર્પણ કરવામાં આવશે. ઓવરબ્રિજ માટેનું સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું કામ પૂર્ણતાના આરે છે. મહત્વનું છે કે, 92 મીટર ઊંચા ત્રણ સ્કાયસ્ક્રેપર બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે.
5.સુરતમાં એક હજાર કરોડથી વધુ પ્રોજેકટના લોકાર્પણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આમંત્રણ
મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત મહાનગર પાલિકાના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ કરવા માટે સુરત આવી શકે છે. 1072.85 કરોડના અલગ-અલગ 12 પ્રોજેક્ટના લોકાર્પણ માટે આગામી અઠવાડિયામાં વિજય રૂપાણી સુરત આવે તેવી સંભાવના હાલ સેવાઈ રહી છે.
6.ટોકિયો ઓલમ્પિક્સમાં જતા પહેલા સ્વીમર માના પટેલે લીધી કોરોના વેક્સિન
ટોકિયો ઓલમ્પિક્સની બેકસ્ટ્રોક તરણ સ્પર્ધામાં અમદાવાદની માના પટેલ દેશનું પ્રતિનિધિત્વ કરવા જઇ રહી છે. ત્યારે ટોકિયો ઓલમ્પિક્સમાં જતા પહેલા સ્વીમર માના પટેલે અમદાવાદના ગોતા ખાતે કોરોના વેક્સિન લીધી હતી.
7.કચ્છમાં ટ્રક અને એસટી બસ વચ્ચે થયો અકસ્માત, બેના મોત
કચ્છમાં નખત્રાણાના રતડીયા ફાટક નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે મોત થયા છે, જ્યારે 8 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.
8.અમદાવાદના લાંભા AMC વોર્ડ ખાતે સ્થાનિકોએ કર્યો હોબાળો
અમદાવાદના દક્ષિણ ઝોનમાં પાયાની સુવિધાને લઈ નારોલ સબઝોનલ ઓફિસ ખાતે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. પાણી, રસ્તા, ડ્રેનેજ લાઈનની સુવિધા ન મળતા મોટી સંખ્યામાં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક કોર્પોરેટર કાળુભાઈ ભરવાડની આગેવાનીમાં લોકોએ સૂત્રોચ્ચાર સાથે હોબાળો કર્યો હતો.
9.રાજકોટ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો બન્યા ચિંતિત
રાજકોટ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. 10થી 15 દિવસ પહેલા વાવણી લાયક વરસાદ થતાં જીલ્લામાં અંદાજીત 65થી 70 ટકા ખેડૂતોએ વાવણી કરી દીધી છે. પરંતુ વાવણી બાદ વરસાદ ન થતા ખેડુતો હાલ ચિંતિત બન્યા છે. કેટલાક વિસ્તારોમાં કપાસ, મગફળી કે અન્ય પાક સુકાવાની તૈયારીમાં છે.
10.બોટાદ જિલ્લામાં ગૌચરની જમીન બાબતે સર્જાયો વિવાદ
બોટાદના રાણપુર તાલુકામાં આવેલા ધારપીપળા ગામે ગૌચરની જમીન બાબતે વિવાદ સર્જાયો છે. જમીનની હદ બાબતના વિવાદમાં ગ્રામ પંચાયત અને ફોરેસ્ટ વિભાગ આમને સામને આવી ગયા છે. ફોરેસ્ટ વિભાગ દાવો છે કે, આ જમીન વિભાગ હસ્તકની છે.જ્યારે, ગ્રામજનો પણ એવો દાવો કરી રહ્યા છે કે આ જમીન ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી છે.