
રાજ્ય સરકારે પાંચ સેટેલાઇટ ટાઉન (ઉપગ્રહ નગરો) વચ્ચે સરસ કનેક્ટિવિટી પૂરી પાડવા અને વધુ પડતી વસ્તી ધરાવતા શહેરો પરનું દબાણ ઘટાડવા માટે રીજનલ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) ની યોજના તૈયાર કરી છે.શહેરી વિકાસ વિભાગ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ટેકનિકલ વિગતો તૈયાર કરી રહ્યું છે.
આ પ્રોજેક્ટ સાણંદને અમદાવાદ સાથે, સાવલીને વડોદરા સાથે, કલોલને ગાંધીનગર સાથે, બારડોલીને સુરત સાથે અને હીરાસરને રાજકોટ સાથે જોડશે. અમદાવાદ અને સાણંદ વચ્ચે પ્રથમ RRTS કોરિડોર વિકસાવવામાં આવશે. આ માટે ટૂંક સમયમાં ટેકનિકલ બિડ્સ આમંત્રિત કરવામાં આવે તેવી અપેક્ષા છે.
વસ્તી વિસ્ફોટને કારણે શહેરો પર બોજ વધ્યો છે. આ દબાણ ઘટાડવા માટે રાજ્ય સરકારે પાંચ સેટેલાઇટ ટાઉન બનાવવાનો નિર્ણય લીધો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “સરસ પરિવહન સુવિધાઓથી લોકોને તે સેટેલાઇટ ટાઉન્સમાં સ્થળાંતર કરવાનો વિકલ્પ મળશે, જ્યાં તેમને રોજગારી ઉપલબ્ધ છે.”
ભારતમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં RRTS વિકસાવવામાં આવી રહી છે અને મેરઠ માટેની પ્રથમ લાઇનનું ઉદઘાટન બે વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું. ગુજરાત આ નેટવર્ક ધરાવતું બીજું રાજ્ય બનશે. કેન્દ્ર સરકારે માળખાગત સુવિધાઓ અને બીજી સુવિધાઓના વિકાસ માટે રાજ્યોને ફંડ ફાળવ્યું છે, કારણ કે આ વર્ષને “શહેરી વર્ષ” તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જો કે, અમદાવાદ અને સુરતમાં મેટ્રો રેલ નેટવર્ક છે પરંતુ તે શહેરની સીમાઓની અંદર જ કાર્યરત છે.
RRTS નો ઉદ્દેશ્ય શહેરો અને ઉપનગરો વચ્ચે સરળ અવરજવર માટે શહેરની સરહદોથી આગળ કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે. ગુજરાત કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાનું લક્ષ્ય રાખી રહ્યું છે. RRTS નો ઉદ્દેશ્ય આર્થિક પ્રવૃત્તિઓ વધારવી, રોજગાર અને શિક્ષણ સુધીની પહોંચમાં સુધારો કરવો અને વાહનોથી થતા પ્રદૂષણને ઘટાડવાનો છે.