અમરેલીના જાફરાબાદમાં નાગેશ્રી ચૌત્રા માર્ગ પર ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવકોના મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી IIMમાં MBA પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે. વિદ્યાર્થિનીએ ઓનલાઈન જમવાનું મંગાવ્યું હતું, ત્યારે પાર્સલ પહોંચાડવા આવેલા ડિલિવરી બોયે જમવાનું આપતી વખતે શારીરિક છેડતી કરી હોવાનો આરોપ છે. ઘટનાને પગલે વિદ્યાર્થિનીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વાડજના 37 વર્ષીય નિપમ ઠક્કરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના મણિનગરમાં રહેતા ઉત્પલ પટેલના ભાઈ અને ભાભી નેપાળમાં સર્જાયેલી પૂર અને ભારે વરસાદની ઘટનાના પગલે લાપતા થયા છે. ન્યૂઝીલેન્ડથી સિંગાપોર થઈ કાઠમંડુ પહોંચેલું દંપતિ 26 ઓગસ્ટે ચીન પ્રવેશ પૂર્વેના સરહદી વિસ્તારમાં હાજર હતું. ત્યારબાદથી પરિવારજનોનો દંપતિ સાથે કોઈ સંપર્ક થયો નથી. પરિવાર દ્વારા લાપતા દંપતિને શોધી કાઢવા સરકાર અને વહીવટી તંત્રને મદદ માટે અપીલ કરવામાં આવી છે તેમજ બંનેની સુરક્ષિત વાપસી માટે તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી રહી છે.
આજે 28 ઓગસ્ટને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:41 am, Fri, 28 August 26