કારગિલ યુદ્ધ વિજયને આજે 25 વર્ષ પૂર્ણ થયા છે. વડાપ્રધાન મોદી આજે લદ્દાખના દ્રાસની મુલાકાત લેશે. શહીદોને અર્પણ શ્રદ્ધાંજલિ કરશે. ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે NIVની બે ટીમ ગુજરાતની મુલાકાતે છે. ટીમના સભ્યોએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. અરવલ્લીના ગ્રામીણ વિસ્તારોમાં તપાસ કરી. રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાતમાં ધોધમારની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જામશે. વડોદરામાં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીને પાર થઇ છે. નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. વડોદરામાં આજે પણ શાળાઓ બંધ રહેશે. સુરતમાં ખાડીના પૂરને કારણે તારાજી સર્જાઇ છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તો સરથાણા, સીમાડા ખાડીમાં પણ પાણીનું સામ્રાજ્ય છે. વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર સજ્જ છે. CMએ સ્ટેટ કંટ્રોલ રૂમ જઈ સ્થિતિની સમીક્ષા કરી. પ્રધાનોએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી.
ભાઇ ભાભીના ખબર અંતર પુછવા આવેલ બહેન પર સગા ભાઇ એ છરીના ઘા મારતા લોહીહાણ હાલતમાં સારવાર માટે ખસેડાઇ હતી.
ભાઇ ભાભી ઝગડો કરતા હોઇ બહેન એ વચ્ચે પડી સમજાવટ કરવાનો પ્રયાસ કરતા ભાઇ એ ઉશ્કેરાઇ બહેન પર છરીથી હુમલો કરી થયો હતો ફરાર. પોલીસે તાત્કાલિક આરોપી મુંજાભાઇ કટેશીયા ને ઝડપી પાડી છરી કબ્જે કરી પુછપરછ હાથ ધરી
NEET-UG 2024 ની અંતિમ મેરિટ યાદી બહાર પાડવામાં આવી છે. હવે નવી યાદીમાં 17 ટોપર્સ છે, અગાઉ 61 ટોપર્સ હતા. બેથી અઢી હજાર સુધીના રેન્કમાં ફેરફાર થયો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુરુવારે NEET-UG પરીક્ષાનું સુધારેલું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠાના અંબાજીમાં ગબ્બર ખાતે આવેલ રોપ-વે ચાર દિવસ માટે બંધ રહેશે. 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી રોપ વેની સેવાઓ બંધ રહેશે. ગબ્બર રોપવેને મેન્ટેનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. આ ચાર દિવસ ભાવિક ભક્તો, ગબ્બરના પગથિયા ચઢીને પગપાળા ગબ્બર ઉપર જઈ શકશે. ત્રીજી ઓગસ્ટથી રોપ વેની સેવાઓ ફરીવાર રાબેતા મુજબ શરૂ કરી દેવાશે.
અમરેલી જિલ્લાના ધારી ગીરના જળજીવડી ગામે દીપડાએ મહિલા-યુવક પર હુમલો કર્યો છે. દિવસ દરમ્યાન દીપડાએ ગામમાં આવી હુમલો કર્યો હતો. દિપડાએ યુવક પર હુમલો કર્યો હતો. જેને બચાવવા જતા મહિલા ઉપર પણ દિપડાએ હુમલો કરીને ઈજા પહોચાડી હતી. બન્ને ઈજાગ્રસ્તોને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામાએ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કમલા હેરિસને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે તે દેશના મહાન રાષ્ટ્રપતિ સાબિત થશે. બરાક ઓબામાએ કમલા હેરિસને કહ્યું કે, નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં તમને જીત અપાવવા માટે અમે શક્ય તમામ પ્રયાસો કરીશું.
રાજ્ય સરકારે માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશ્નર અને અન્ય ત્રણ માહિતી કમિશનરોની નિમણૂકના નોટીફિકેશન બહાર પાડ્યા છે. રાજ્યના મુખ્ય માહિતી કમિશ્નર તરીકે ડો. સુભાષ સોનીની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે માહિતી કમિશનરો તરીકે નિખિલ ભટ્ટ, મનોજ પટેલ અને સુબ્રમણ્યમ આર ઐયરની નિયુક્તિ કરવામાં આવી છે.
નવસારી શહેરના 40 ટકા જેટલા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. પૂરની સ્થિતિને પગલે એસડીઆરએફની એક ટીમ નવસારીમાં તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત વલસાડ ખાતેથી NDRFની ટીમને પણ નવસારીમાં ખસેડવામાં આવી છે.
નવસારીઃ અધિકારી અને નેતા વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ છે. આશ્રિતોને ફૂડ પેકેટના વિતરણને લઇને તૂતૂ-મેમે સર્જાઇ છે. નેતા પોતાના વિસ્તાર માટે વધુ ફૂડ પેકેટ માંગવા જતા બબાલ થઇ છે. ફૂડ વિતરણ કરતા પાલિકા કર્મચારીને ધમકાવા જતા મામલો ઉગ્ર બન્યો છે.
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ છે. દક્ષિણ ગુજરાતના કેટલાય વિસ્તારમાં વરસી અતિભારે વરસાદ શકે છે. કેટલાક વિસ્તારમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. ગુજરાતમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય છે. પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, બોટાદ, દીવમાં ભારે વરસાદની આગાહી છે. માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
સસ્પેન્ડે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની મુશ્કેલીમાં વધારો થયો છે. કોશિંગ પિટિશન પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ન થઈ. 6 ઓગસ્ટે હાઇકોર્ટમાં વિગતવાર સુનાવણી હાથ ધરાશે. નીતા ચૌધરીએ હાઇકોર્ટમાં રાહત માંગતી અરજી કરી છે. નીતા ચૌધરી પર બુટલેગર સાથે મિલીભગતનો આરોપ છે. નીતા ચૌધરી પર પોલીસ પર ગાડી ચડાવવાનો ગુનો નોંધાયો છે.
રાજ્ય આરોગ્ય સેવાઓ માટે એકસાથે 1110 જેટલા તબીબો ઉપલબ્ધ થયા છે. આ 1110 બોન્ડેડ તબીબો ગ્રામ્ય અને શહેરી આરોગ્ય સેવાઓમાં બેકબોન સાબિત થશે. રાજ્યના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ ESIC હોસ્પિટલમાં બોન્ડેડ તબીબોને મુકવામાં આવ્યા. રાજ્યની 31 ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 132, 51 સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 119 , 222 સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 310 , 495 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 430 અને રાજ્યની 57 ESIC હોસ્પિટલમાં 119 મળીને રાજ્યની 856 હોસ્પિટલમાં કુલ 1110 તબીબો ઉપલબ્ધ થયા છે. તબીબી અધિકારી વર્ગ-2 ની કુલ 1272 જગ્યાઓ પૈકી 1110 તબીબોને આજે નિમણૂંક આપવામા આવી છે. બાકી રહેતી જગ્યાઓ પણ સત્વરે ભરવામાં આવશે.
નવસારીઃ પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સપાટીમાં વધારો થયો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. હિદાયતનગર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે. લોકો અન્ય સુરક્ષિત જગ્યાએ જવા મજબૂર બન્યા છે.
વડાપ્રધાન મોદીએ કારગીલમાં શિંકુન લા ટનલનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ લેહને સર્વ-હવામાન કનેક્ટિવિટી પ્રદાન કરશે અને જ્યારે પૂર્ણ થશે, ત્યારે તે વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે.
25મા કારગિલ વિજય દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી.
#WATCH | Ladakh: Prime Minister Narendra Modi pays tribute to the heroes of the Kargil War at Kargil War Memorial on the occasion of 25th #KargilVijayDiwas2024 pic.twitter.com/one6GAoko3
— ANI (@ANI) July 26, 2024
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું આવ્યુ છે. તેઓ આજે રાત્રે દિલ્હી જવા રવાના થશે. આવતીકાલે દિલ્હી ખાતે નીતિ અયોગની બેઠક છે. PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. ચૂંટણી પરિણામો બાદ પ્રથમ નીતિ આયોગની બેઠક મળશે. તમામ રાજ્યના સીએમને બેઠકમાં હાજર રહેવા સૂચના છે. દેશની સામાન્ય જનતા સાથે જોડાયેલા મુદ્દા પર નીતિ આયોગમાં ચર્ચા થાય છે. બેઠક બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથે ચર્ચા કરી શકે છે. ગુજરાતના મુદ્દાઓને લઈને ચર્ચા કરી શકે છે.
વડોદરા: વિશ્વામિત્રીમાં પૂર બાદ શહેરમાં મગરના આંટાફેરા જોવા મળી રહ્યા છે. પૂરના પાણી સાથે મગર માનવ વસાહતમાં પહોંચ્યા. બીલ ગામે મગર નદીના પાણીમાંથી બહાર આવી ગયો હતો. શ્રીહરિ રેસીડેન્સીના ગેટ પાસે મગરના આંટાફેરા જોવા મળ્યા, મગર રસ્તા પર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. મગરને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો છે.
ભરૂચઃ દહેજ રોડ પર ખાનગી કંપનીની શિફ્ટ બસ પલટી ગઇ છે. કંપનીના કર્મચારીઓને બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા. બિસ્માર રસ્તાના કારણે અકસ્માત સર્જાયાનું અનુમાન છે. બસ ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી.
રાજ્યમાં હજુ 5 દિવસ રહેશે વરસાદી માહોલ છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ માછીમારોએ દરિયો ન ખેડવાની સુચના આપી છે.
તાપી: વ્યારા તાલુકામાંથી પસાર થતી ઝાંઝરી નદી બે કાંઠે થઇ છે. વ્યારામાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે પર ઝાંઝરીના પાણી ફરી વળ્યા છે. ટિચકિયા ગામે સ્ટેટ હાઈવે પરના પુલ સુધી પાણી પહોંચ્યા છે. પુલ પરથી પસાર થવામાં વાહન ચાલકોને મુશ્કેલી થઇ રહી છે. આંબાપાણી થઈ ડાંગ તરફ જવાનો રસ્તો બંધ કરાયો છે.
બનાસકાંઠા: સુઝુકી કંપની અને બનાસ ડેરીના નવા પ્રોજક્ટની શરૂઆત થઇ છે. ગોબર ગેસના નવા પાંચ બાયો CNG પ્લાન્ટની ગુજરાતમાં શરૂઆત થશે. બનાસ ડેરી, સુઝુકી અને NDDB કંપની સાથે મળી પ્લાન્ટ શરૂ કરશે. 250 કરોડના ખર્ચે નવીન બાયો CNG પ્લાન્ટ તૈયાર કરાશે. આવતીકાલે દિયોદરના સણાદર ખાતેથી પ્લાન્ટની શરૂઆત કરાશે. પાંચ વર્ષથી ગોબરમાંથી બનાસ ડેરી ગેસ બનાવે છે.
ભારતીય યુદ્ધોની તવારિખમાં શિરમોર સમાન એવા કારગિલ યુદ્ધને આજે 25 વર્ષ પૂર્ણ થયા છે.ત્યારે વડાપ્રધાન મોદી આજે લદ્દાખના દ્રાસની મુલાકાત લેશે.PM મોદી દ્રાસમાં કારગિલ વોર મેમોરિયલ પર સેનાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. સાથે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં દ્રાસ જિલ્લામાં કારગિલ વિજયની 25 વર્ષ નિમિત્તે કારગિલ વિજયની રજત જયંતી પર ભવ્ય ઉજવણી થશે. વડાપ્રધાન મોદી સવારે 9:20 વાગ્યે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લેશે. જ્યાં તેઓ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. વડાપ્રધાન મોદી શિંકુન લા ટનલ પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે.
બનાસકાંઠાના અંબાજીમાં અસામાજીક તત્વો બેફામ થયા છે. હિન્દુ હિત રક્ષા સમિતિના પ્રમુખ લોકેશ જૈને કાયદાના ધજાગરા ઉડાવ્યા છે. જાહેર રસ્તા પર જન્મ દિવસની ઉજવણી કરી. તલવાર વડે કેક કટિંગ કરી જાહેરમાં ઉજવણી કરી. ઉજવણીમાં બુટલેગર પણ હાજર હતા. અંબાજી પોલીસે બર્થડે ઉજવનાર લોકેશ જૈન સામે ગુનો નોંધ્યો છે.
Published On - 7:25 am, Fri, 26 July 24