વિશ્વામિત્રી નદીએ ચિંતા વધારી છે. ભયજનક સપાટીથી વિશ્વામિત્રી નદી માત્ર 4 ફૂટ દૂર છે. નદી કાંઠાના 1 હજાર લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યુ છે. આજવામાંથી પાણી છોડવાના નિર્ણયથી સંભવિત પૂરનું સંકટ સર્જાયું છે. તો સ્થિતિ વણસતા વડોદરામાં NDRFની વધુ એક ટીમ તૈનાત કરાઇ છે. વડોદરામાં NDRFની કુલ 3 ટીમોના ધામા છે. રાજ્યભરમાં NDRFની કુલ 14 ટીમોની તૈનાતી છે. અતિભારે વરસાદને પગલે ત્રણ જિલ્લાની શાળા કોલેજોમાં રજાની જાહેરાત કરવામાં આવી. સુરત, ભરૂચ અને વડોદરામાં આજે સ્કૂલમાં શિક્ષણ કાર્ય બંધ રહેશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ મેઘરાજા બોલાવશે ધડબડાટી. આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. વરસાદના કારણે 24 કલાકમાં આઠના મોત થયા છે. સિઝનમાં કુલ 61 લોકોના મૃત્યુ થયા. 24 કલાકમાં કુલ 826 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે.
દેવભૂમિ જિલ્લાના કલ્યાણપુર તાલુકાના વિવિધ ગામના સરપંચોએ કલેકટર કચેરીએ જઈને ભારે વરસાદને પગલે ખેતી અને જનજીવન ક્ષેત્રે થયેલા નુકસાન અંગે સર્વે કરાવવાની રજૂઆત કરી છે. અતિ ભારે વરસાદને પગલે, કલ્યાણપુર તાલુકાના વિવિધ ગામના રસ્તાઓ તુટી ગયા છે. અનેક ઘરને પણ પારાવાર નુકસાન થયું છે. ખેતી ક્ષેત્રે વ્યાપક નુકસાન થવા પામ્યુ છે. આવા સંજોગોમાં નુકસાનીનો સર્વે કરાવીને રાહત પેકેજની જાહેરાત થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી.
વડોદરામાં આવતીકાલ શુક્રવારને 26મી જુલાઈના રોજ પણ શાળા કોલેજો બંધ રહેશે. હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીને લઈ તેમજ વિશ્વામિત્રી નદીના જળસપાટીને ધ્યાને લઈને તંત્રે નિર્ણય કર્યો છે કે, વધુ એક દિવસ શાળા અને કોલેજ બંધ રાખવી.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. ગુજરાતમાં ઓફશોર ટર્ફ અને શિયર ઝોન જેવી વરસાદને વરસાવતી સિસ્ટમને કારણે, આણંદ અને વડોદરામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. ભરૂચ, સુરત, દાહોદ, મહીસાગરમાં પણ વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં અત્યાર સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેના કરતા 28 ટકા વધુ વરસાદ વરસ્યો હોવાનું હવામાન વિભાગનું કહેવું છે.
ચાંદીપુરા વાયરસને લઈ કેન્દ્રના 2 વૈજ્ઞાનિકો ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે. ગાંધીનગરમાં વાયરસ પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી છે. આ બન્ને વૈજ્ઞાનિકો ગઈકાલે ગાંધીનગર સેકટર 17માં ચાદીપુરા વાયરસ અંગે તપાસ કરી હતી. કેન્દ્રમાંથી આવેલા 2 વૈજ્ઞાનિકો એ તપાસ કરી રહ્યાં છે કે, ચાંદીપુરા વાયરસનું સંક્રમણ કઈ રીતે થયુ.
વડોદરા શહેરમાં છેલ્લા 12 કલાકથી વરસાદનો વિરામ છે પરંતુ ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે હાલ વિશ્વામિત્રી નદીનું જળસ્તર 29.06 ફૂટે પહોચ્યું છે. વિશ્વામિત્રી નદીનું જળસ્તર જાળવી રાખવા માટે આજવા ડેમના 62 દરવાજા ખોલવામાં આવ્યા આવ્યા છે. વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. વિશ્વામિત્રીના નીર અલકાપુરી ગરનાળામાં પહોંચતા ગરનાળું ફરીથી વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ કાલાઘોડા બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET UG 2024નું સુધારેલું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો NEET UG exam.nta.ac.in/NEET/ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પરિણામ ચકાસી શકે છે. ભૌતિકશાસ્ત્રના પ્રશ્નોના યોગ્ય વિકલ્પોને ધ્યાનમાં લીધા બાદ સુધારેલું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. હજુ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું નથી. ટોપર્સની યાદી થોડા સમય પછી જાહેર થઈ શકે છે.
એક માસ સુધી ચાલનાર મેઘ મલ્હાર પર્વમાં ડાંગની વિવિધ ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતા કાર્યક્રમો તેમજ ‘રેઇન રન મેરેથોન નું આયોજન કરાશે. સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓને મુખ્ય 18 જેટલા જોવાલાયક સ્થળોનો નજારો માણવા મળશે. ગુજરાત રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારાની વર્ષ 2022માં 8.16 લાખ તેમજ 2023માં 11.13 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનના બે હોલના નામ બદલી નાખ્યા છે. દરબાર હોલ અને અશોક હોલના નામ બદલવામાં આવ્યા છે. દરબાર હોલનું નામ ગણતંત્ર મંડપ અને અશોક હોલનું નામ અશોક મંડપ રાખવામાં આવ્યું છે.
સુરતના ઓલપાડના વડોલી ગામે NDRF અને કીમ પોલીસ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે. વડોલી ગામે ફાર્મ હાઉસમાં ફસાયેલા 4 લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે બહાર કાઢવામાં આવ્યા છે. વડોલી ગામે કીમ નદી કિનારે બનાવેલા ફાર્મ હાઉસમાં એક મહિલા સહીત ચાર લોકો ફસાયા હતા. સ્થાનિકો એ વહીવટી તંત્ર ને જાણ કરતા એન ડી આર એફ અને કિમ પોલીસ પહોંચીને રેસ્ક્યુ કર્યું હતું. ચાર ગાય તેમજ એક વાછરડાનું પણ રેસ્ક્યુ કરાયું હતું. જો કે હવે, કીમ નદીમાં પાણી ઓસરવાની શરૂઆત થઈ છે.
તાપીઃ ભારે વરસાદથી ઉકાઈ ડેમનું જળસ્તર વધ્યું છે. ઉકાઈ ડેમની સપાટી 316 ફૂટને પાર થઈ છે. હથનુર અને પ્રકાશા ડેમમાંથી પાણી આવી રહ્યું છે. ઉકાઈ ડેમનો નયનરમ્ય આકાશી નજારો સામે આવ્યો છે.
સુરતમાં વરસાદ બંધ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તંત્ર દ્વારા અત્યાર સુધી 300 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. ભારે વરસાદને કારણે માંડવી તાલુકામાં બે લોકોના તણાઈ જવાથી મોત થયા છે. SDRF, NDRF અને પોલીસની ટીમો લોકો માટે દેવદૂત બની છે. અસરગ્રસ્ત લોકોને સરકારની મદદ મળે તેવા તંત્રના પ્રયાસો છે.
તલાટી સહિતના અધિકારીઓને હજુ સ્થળ ન છોડવાના આદેશ છે.
પોરબંદર: ગોસબારામાં SDRFની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કર્યુ છે. 2 વ્યક્તિ અને 2 શ્વાનને સલામત બચાવી લેવાયા છે. SDRFની ટીમ સાથે પોલીસ જવાનો પણ જોડાયા છે. પાણી ભરેલા વિસ્તારમાં 5 કિ.મી. સુધી જઇ રેસ્ક્યુ ઓપરેશન કર્યુ.
વડોદરા: પાદરાના આમળામાં રહેણાંક વિસ્તારમાં મગર આવી ગયો હતો. પ્રાણી જીવ રક્ષક સંસ્થાએ મોડી રાતે મગરનું રેસ્ક્યુ કર્યું. વરસાદના કારણે નદી-નાળા છલકાતા મગર આવી ચઢ્યા. મગરને પાદરા વન વિભાગ ખાતે લઇ જવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તારમાં મગર આવી જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
વડોદરા : વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીને પાર છે. નદીનાં જળસ્તરમાં વધારો થતા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. વિશ્વામિત્રી નદીની સપાટી થઇ 27.75 ફૂટ પર પહોંચી છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. 28 ફુટ પર સપાટી પહોંચતા નદી પરના બ્રિજને બંધ કરાવાયો છે. આજવા સરોવરની જળસપાટી વધીને 212.20 ફૂટ થઇ છે.
આણંદ: બોરસદમાં ધોધમાર વરસાદ બાદ સ્થિતિ વણસી છે. કલાકો બાદ પણ અનેક વિસ્તારમાં ચિંતાજનક સ્થિતિ છે. અક્ષર નગર વિસ્તારમાં વરસાદી પાણી ઓસર્યા બાદ ગંદકી જોવા મળી રહી છે. ઘરોમાં ભારે ગંદકીને પગલે સ્થાનિકોએ સફાઈ હાથ ધરી છે. તંત્રની કામગીરી વિરુદ્ધ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દર વર્ષે એકની એક સમસ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
મુંબઇ અને ઉપનગરોમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. વિલે પાર્લે વિસ્તારમાં ભારે વરસાદથી ટ્રાફિક જામ થયો છે. મુંબઇના અનેક વિસ્તારના સબ વે બંધ કરાયા છે.
કલ્યાણ ડોમ્બિવલી વિસ્તારમાં મધરાતથી ભારે વરસાદ છે.
સાબરકાંઠા: હિંમતનગરના રાજપુર પાસે દીવાલ પડતા માતા-પુત્રનું મોત થયુ છે. રાત્રી દરમિયાન કાચા મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. ભારે વરસાદને લીધે કાચા મકાનની દીવાલ પડી ભાંગી. દીવાલ પડતા માતા-પુત્ર કાટમાળ નીચે દબાતા મોત થયુ છે. મૃતકોને પીએમ માટે ગાંભોઈ સરકારી દવાખાને ખસેડાયા છે. ગાંભોઈ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદઃ બાવળામાં જિલ્લા આરોગ્ય વિભાગે વધુ એક રેડ પાડી છે. જક્ષીણી હોસ્પીટલ પર બનાવટી ગ્રાહક મોકલી રેડ કરવામાં આવી. નોંધાયેલા ડોક્ટરના નામે અન્ય વ્યક્તિ સોનોગ્રાફી કરતા હોવાનું સામે આવ્યુ છે. સોનોગ્રાફી કરાયેલા દર્દીઓનો કોઇ પણ પ્રકારનો રેકોર્ડ રખાયો ન હતો. કાયદાના ઉલ્લંઘન બદલ સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યુ છે.
પોરબંદર કુતિયાણા કડેગી ગામ પાણી-પાણી થયુ છે. ઉપરવાસમાં વરસાદથી કડેગી ગામ પાણીમાં ગરકાવ થયુ છે. ગામ અને ખેતરો બેટમાં ફેરવાયા છે.
વલસાડ: ઔરંગા નદીના પાણી પહોંચ્યા ભયજનક સપાટી નજીક છે. ઔરંગા નદીની સતત વધતી જળ સપાટીને વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે. લાઉડ સ્પીકરથી અનાઉન્સમેન્ટ કરી લોકોને જાગૃત કરાઇ રહ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં ઔરંગાના પાણી ભરાવાના પણ શરૂ થઈ ગયા છે. લોકો પણ પોતાનો વિસ્તાર છોડી સામાન લઈ અન્ય વિસ્તાર તરફ જઇ રહ્યા છે. નવસારી જિલ્લામાં NDRFને પણ તૈનાત કરી દેવાઈ છે.
સુરત: ઓલપાડ તાલુકાનું કઠોદરા ગામ સંપર્ક વિહોણું થયુ છે. ગામમાં જવાના બંને માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યાં છે. કઠોદરા ગામમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી થયા છે. કીમ નદીની ભયજનક સપાટી 13 મીટર છે. હાલ કીમ નદીનું જળસ્તર 12.75 મીટર પર છે. વરસાદ બંધ થયો છતાં નદીનું લેવલ સતત વધી રહ્યું છે.
ઉપરવાસમાં ભારે વરસાદ અને સુરત ગ્રામ્યમાં ભારે વરસાદને કારણે કીમ નદીમાં ભરપૂર પાણી આવ્યું છે.
વલસાડ: ઔરંગા નદી ભયજનક સપાટી નજીક વહેતી થઈ છે. વલસાડ શહેર અને ભાગડાખુર્દને જોડચા પુલ પર નદીના પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારઓમાં પાણી ભરાવાની શરૂઆત થતા વહીવટી તંત્ર એલર્ટ પર છે. પોલીસ સતત નીચાણવાળઆ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યું છે.
પોરબંદર: ઘેડ પંથકના કડછ ગામમાં યુવકનું રેસ્ક્યૂ કરાયું. યુવકને સાપ કરડતા તાત્કાલિક રેસ્ક્યૂ કરાયું. NDRFની ટીમે ફસાયેલા લોકોને ખાદ્ય સામગ્રી પણ પહોંચાડી હતી.ઘેડના કડછમા સૌથી વધુ પાણી હોવાથી રેસ્ક્યૂ ટીમે અનેક લોકોના રેસ્ક્યૂ કર્યા.વૃદ્ધ લોકોને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.
વલસાડ: જ્વેલપાર્ક સોસાયટીમાં પાણી ભરાયા બાદ કરંટ લાગતા વૃદ્ધાનું મોત થયુ છે. જવેલપાર્ક સોસાયટીમાં વરસાદી પાણી અનેક ઘરોમાં ડૂબ્યા છે. ઘરની અંદર શોર્ટ સર્કિટના કારણે મહિલાને કરંટ લાગતા નીપજ્યું મોત. સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી છતાં પાણી નિકાલની સમસ્ય હલ ના થઈ.
Published On - 7:31 am, Thu, 25 July 24