આજે 24 માર્ચને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પેટ્રોલપંપ ઉપર વાહનચાલકોની લાગતી લાંબી લાંબી લાઈનને લઈને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યના તમામ જિલ્લા કલેકટરો સાથે સમિક્ષા બેઠક યોજી હતી. ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમિક્ષા બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને LPG જથ્થાની વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. સમગ્ર રાજ્યમાં હાલ LPG, PNG અને પેટ્રોલ-ડીઝલની સ્થિતિ સામાન્ય છે અને પુરવઠો પૂરતા પ્રમાણમાં છે.
રાજ્યના અમુક સ્થળોએ અફવાઓના કારણે વેચાણમાં થોડો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ઇંધણનો સમયસર પુનઃ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. દરેક જિલ્લામાં આવશ્યક ઈંધણનો પુરવઠો અવિરતપણે જળવાઈ રહે અને નાગરિકોને કોઈ પણ પ્રકારની હાલાકી ના પડે તે માટે વહીવટીતંત્રને સતત દેખરેખ રાખવા અને પૂરતું સંકલન સાધવા કલેક્ટરોને જરૂરી સૂચનાઓ આપી હતી.
રાજકોટ-પેટ્રોલ ડિઝલની અછતની અફવા અંગે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ પેટ્રોલ ડિઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા સામે નોંધાઇ ફરિયાદ. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમીટેડના સેલ્સ હેડ દ્રારા નોંધાવાઇ ફરિયાદ. ગોપાલ ચુડાસમાએ સોશિયલ મિડીયામાં પેટ્રોલનો જથ્થો ખૂટી ગયાની પોસ્ટ મૂકી હતી. IOC ની મંજુરી વગર પેટ્રોલ પંપ સંચાલકો અને મિડીયાને IOCની ઓફિસ ખાતે લઇ ગયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ. IOC પાસે પુરતો જથ્થો હોવા છતાં ખોટી અફવા ફેલાઇ હોવાનો દાવો.
મણિનગર ન્યૂ ક્લોથ માર્કેટમાં આગનો બનાવ બન્યો છે. સુમેળ 1 ના C બ્લોકમાં 10 દુકાનોમાં આગ લાગી છે. કાપડ માર્કેટ હોવાથી ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોચી છે. ફાયરના સિનિયર અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે ટેલિફોનીક વાતચીત થઈ છે.
President Donald Trump just spoke with Prime Minister Modi. They discussed the ongoing situation in the Middle East, including the importance of keeping the Strait of Hormuz open: US Ambassador to India, Sergio Gor pic.twitter.com/uqhTuLuO0x
— ANI (@ANI) March 24, 2026
રાજકોટમાં અનુભવાયો ભૂકંપનો આંચકો. આજે રાજકોટ શહેરમાં ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 3.2 ની નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 15 km દૂર નોંધાયું છે.
બનાસકાંઠામાં પેટ્રોલ અને ડીઝલને લઈને ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે કલેક્ટરે જિલ્લામાં પુરતો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવીને કોઈએ પેનિક બાય ના કરવા કહ્યું છે. બનાસકાંઠાજિલ્લામાં કુલ 199 પેટ્રોલ પંપ કાર્યરત છે. તમામ પંપ પર મળીને અંદાજે 31 લાખ લિટરથી વધુ પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક ઉપલબ્ધ છે. વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે પણ બેઠક યોજવામાં આવી છે જેથી સપ્લાય ચેઇન સુચારૂ રહે. છેલ્લા 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપાડ સામાન્ય દિવસોની સરખામણીએ લગભગ ત્રણ ગણો વધ્યો છે.
સુરતમાં પેટ્રોલ અને ડીઝલમાં અછતની અફવા ફેલાતા ઈલેક્ટ્રિક બાઇકની ડિમાન્ડ પણ વધી છે. છેલ્લા 5થી 7 દિવસથી ઇન્કવાયરી ડબલ થઈ હોવાનું ડિલર્સનું કહેવું છે. અગાઉ પ્રતિદિન 20થી 25 ઇન્કવાયરી આવતી હતી, હાલ તે વધીને 45થી 48 થઈ છે. 80 ટકા લોકો, લો સ્પીડ કોમર્શિયલ યુઝ માટેની ડિમાન્ડ વધી છે. ઉપરાંત હાઈ સ્પીડની ડિમાન્ડ કોમર્શિયલ કરતા ઓછી છે. લો સ્પીડ બાઇકમાં વિદ્યાર્થિઓની ડિમાન્ડમાં વધારો થયો છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ડિમાન્ડમાં પણ વધારો જોવા મળ્યો છે.
રાજકોટના સદર બજારમાં ઈગલના પંપ પર નિયમ વિરુદ્ધ પેટ્રોલ ડીઝલનું વિતરણ કરાયું હતું. એક તરફ લોકો પેનિક ખરીદી કરી રહ્યાં છે. પેટ્રોલ પુરાવવા લાંબી કતારોમાં ઊભા છે તો બીજી તરફ કેરબા અને તેલના ડબ્બામાં પેટ્રોલ અપાઈ રહ્યાના દ્રશ્યો સામે આવ્યા છે. વાહનો સિવાય પેટ્રોલ કે ડીઝલનું વિતરણ સંગ્રહ કરવાના હેતુથી કેરબા કે અન્ય સાધનોમાં કરવું એ પણ ગુનો બને છે. પેટ્રોલ પુરાવા આવેલ વ્યક્તિએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. પેટ્રોલ પંપ માલિકો નિયમોનું ઉલ્લંઘન કરી કેરબા અને તેલના ડબ્બામાં પેટ્રોલ ડીઝલ આપી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ પુરવઠા વિભાગ ના અધિકારીઓ પંપ માલિક વિરુદ્ધ કાર્યવાહી કરશે કે કેમ તે સૌથી મોટો સવાલ.
અમદાવાદમાં આવકવેરાના દરોડા દરમિયાન, મયુર ડાઈ કેમના ભાગીદાર સુજલ પટેલના બોપલમાં આવેલા નિવાસ સ્થાનેથી મોંધાદાટ ઈગ્લિંશ દારુનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે આવકવેરા અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી. બોપલ પોલીસે, મયુર ડાઈ કેમના ભાગીદાર સુજલ પટેલ ધરપકડ કરી હતી. જો કે, સુજલ પટેલનો પાછળથી જામીન પર છુટકારો થયો હતો. બોપલ ખાતેના નિવાસ્થાનમાંથી સવા લાખનો દારૂ ઝડપાયો હતો. ઇંગલિશ દારૂની મોંઘી દાટ બોટલો મળી આવી હતી. ઇન્કમટેક્સે પોલીસને જાણ કરતા ગુનો દાખલ કરાયો હતો. બોપલ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ નોંધાઈ હતી.
વિરમગામ નાયબ કલેકટરની અધ્યક્ષતામા પેટ્રોલ પંપ માલીકો અને ગેસ એજન્સી સાથે બેઠક યોજાઇ હતી. વર્તમાન પરિસ્થિતિને લઇ પેટ્રોલ ડિઝલ અને ગેસ બોટલો મુદ્દે લોકો પડાપડી કરી રહ્યા છે. વિરમગામ તાલુકા સેવાસદન ખાતે નાયબ કલેકટર વિરેન્દ્ર દેસાઇ અને PI કે.એસ.દવેની અધ્યક્ષાતામા વિરમગામ માંડલ દેત્રોજ તાલુકા પેટ્રોલ પંપ માલિકો અને ગેસ એજન્સી સાથે બેઠક યોજી. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલ યુદ્ધની અસર હવે અમદાવાદ ગ્રામ્યમાં વર્તાઈ રહી છે. પેટ્રોલ પંપ અને LPG સિલિન્ડર નો પુરતો જથ્થો છે લોકોએ ધીરજ રાખવી ઉપરાંત જરૂરીયાત મુજબ વપરાશ કરવો. સંગ્રહ કરવો નહી અને અફવા પર ધ્યાન ન આપવા ઉપરાંત લોકોને જરૂરી સુચનાઓ આપવી માર્ગદર્શન અપીલ આપવામા આવી.
ગુજરાત વિધાનસભામાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રજૂ કરેલા UCC BIL ઉપર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાગ લેતા સરકાર ઉપર વાકપ્રહારો કર્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે, રામ મંદિરના ઉદ્ઘાટન રાષ્ટ્રપતિને ના બોલાવીને આદીવાસી મહિલા અગ્રણીનું અપમાન કર્યું છે. મણિપુર ઘટનાનો ઉલ્લેખ કરાયો છે. પરંતુ મણિપુરની હિંસા ઉપર વડાપ્રધાન એક શબ્દ બોલ્યા નથી. આ બિલ લઘુમતી વર્ગને ટાર્ગેટ કરવાની વાત છે અને એક સમુદાયને છૂટછાટ આપવાની વાત છે. બે મોંઢા ની વાત ના થાય. ઝવેરી કમિશન નો રિપોર્ટ આજદિન સુધી ઉપલબ્ધ નથી. સરકાર જે કમિટીના રિપોર્ટ ના અધારે બિલ લાવે છે એ રિપોર્ટ ક્યારેય આપતી નથી. અમિત ચાવડાએ એવો આક્ષેપ કર્યો કે, સરકાર કોઈને ફાયદો કરવાનો કોઈને હક્ક છીંનવાનો બહુમતીના જોરે પ્રયાસ કરે છે.
નવસારી જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને કોંગી આગેવાનો સામે 2 હજાર પાનાનું તહોમતનામું ફરમાવવામાં આવ્યું છે. ડિસેમ્બર 2022 માં ધારાસભ્ય અનંત પટેલ ઉપર હુમલો થયા બાદ તેમના સમર્થકોએ ખેરગામમાં કરી હતી તોડફોડ. ધારાસભ્ય અનંત પટેલના સમર્થકોએ પોલીસ જીપ, દુકાનો અને ફાયરની ગાડીઓમાં કરી હતી તોડફોડ. સમગ્ર ઘટનામાં પોલીસે હત્યાનો પ્રયાસ, ધાડ, લૂટ, રાયોટિંગ, ડેમેજ ટૂ પબ્લિક પ્રોપર્ટી સહિતની કલમો હેઠળ નોંધ્યા હતા ત્રણ ગુનાઓ. ત્રણમાંથી બે પોલીસે અને એક ખાનગી વ્યક્તિએ નોંધાવી હતી ફરિયાદ.
ધારાસભ્ય અનંત પટેલ સાથે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ, ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સશીન પટેલ, ખેરગામના સરપંચ ઝરણાં પટેલ, આગેવાન ડૉ. નીરવ પટેલ, રમેશ પટેલ સહિતના 23 થી વધુ ટોળાઓ સામે નોંધાઈ હતી ફરિયાદ. જિલ્લા પોલીસે ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં તહોમતનામુ રજૂ કર્યું, ત્યારે આરોપીઓ હાજર ન રહ્યા. આરોપીઓએ પોતે નિર્દોષ હોવા સાથે ખોટા કેસો કર્યા હોવાની કરી ડિસ્ચાર્જ અરજી. કોર્ટમાં ધારાસભ્ય અનંત પટેલ, સરપંચ ઝરણાં પટેલ સહિતના આરોપીઓની ભૂમિકા રજૂ કરી, સરકાર તરફે ધારાસભ્ય અનંત પટેલ સહિત આરોપીઓ સામે વોરંટ અરજી દાખલ કરતા આગલી સુનવણી પર તમામ આરોપીઓને હાજર રહેવા કર્યો આદેશ. પોલીસે સમગ્ર પ્રકરણમાં તટસ્થ તપાસ કરી, ફરિયાદ, પંચનામા, નિવેદનો, નુકસાની રિપોર્ટ સહિતના દસ્તાવેજી પુરાવાઓ સાથે 2000 પાનાંનું તહોમતનામું કોર્ટમાં રજૂ કર્યું. આગામી 9 એપ્રિલે સમગ્ર પ્રકરણમાં હાથ ધરાશે વધુ સુનવણી
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક ધારા અંગેનું બિલ રજૂ કર્યું છે. આ બિલ ઉપર ગુજરાત વિધાનસભામાં ચર્ચા કરાશે.
બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારના ધરણીધર તાલુકોમાં તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. આછુવા ગામ નજીક રોડ પર બાળકો અને સગર્ભા-ધાત્રી માતાઓ માટે આપવામાં આવતી સંજીવની દૂધની થેલીઓ ફેંકાયેલી હાલતમાં મળી આવી હતી. આ દૂધ ખાસ કરીને પોષણ માટે આપવામાં આવે છે, છતાં આવી રીતે રોડ પર પડેલી થેલીઓ જોવા મળતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે. દૂધ સંજીવનીની થેલીઓ રોડ પર કોણે અને શા માટે ફેંકી તે મોટો સવાલ ઉભો થયો છે, જેને લઈને તંત્રની કામગીરી પર પ્રશ્નચિન્હ ઊભા થયા છે.
PM મોદીએ રાજયસભામાં જણાવ્યુ કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ યુદ્ધ ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી ચાલુ છે. તેણે સમગ્ર વિશ્વને ગંભીર ઉર્જા સંકટમાં ધકેલી દીધું છે. તેની અસર ભારત પર પણ પડી રહી છે. લગભગ એક કરોડ ભારતીયો ખાડી દેશોમાં રહે છે અને કામ કરે છે; તેમના જીવનનું રક્ષણ કરવું એ ભારત માટે ચિંતાનો વિષય છે. હાલમાં મોટી સંખ્યામાં જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા છે, અને તેમના મોટાભાગના ક્રૂ સભ્યો ભારતીય નાગરિકો છે. આ પણ ભારત માટે ચિંતાનો વિષય છે. આ પરિસ્થિતિઓમાં, ભારતીય સંસદના આ ઉપલા ગૃહ તરફથી વિશ્વને સંવાદનો સંદેશ પહોંચાડવો આવશ્યક છે. અમે ખાડી દેશો સાથે સતત સંપર્કમાં રહીએ છીએ. અમે ઈરાન, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે પણ સંપર્કમાં છીએ. અમે સતત તણાવ ઓછો કરવા અને હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો રાખવાની હિમાયત કરી છે. ભારતે નાગરિકો, નાગરિક માળખાગત સુવિધાઓ તેમજ ઊર્જા અને પરિવહન માળખાગત સુવિધાઓને નિશાન બનાવીને હુમલાઓની નિંદા કરી છે. આવા સમયે આપણે આત્મનિર્ભર થઇએ એ જ વિકલ્પ છે.
મધ્ય-પૂર્વની સ્થિતિને લઇને વડાપ્રધાન મોદી રાજ્યસભામાં સંબોધન કરી રહ્યા છે. તેમણે કહ્યુ આ યુદ્ધે સમગ્ર વિશ્વમાં ગંભીર ઊર્જા સંકટ ઊભુ કર્યુ છે. ભારત માટે પણ સ્થિતિ ચિંતાજનક છે. મિડલ ઇસ્ટમાં વસતા ભારતીયોની સુરક્ષા અંગે અમે ચિંતિત છીએ. અમારી સરકાર સંવેદનશીલતાથી આ સમયમાં કામ કરી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા પર વાતચીત કરી છે.
વડોદરાના ભાયલી વિસ્તારમાં માર્ગ ધસી પડવાની ઘટના સામે આવી છે, જ્યાં ડ્રેનેજ કામગીરી બાદ યોગ્ય રીતે પુરાણ ન થતા રોડ પર ભુવો પડી ગયો હતો. આ દરમિયાન પસાર થતી એક બાઈક તેમાં ખાબકતા બાઈકસવાર ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને સ્થાનિકોએ દોરડાની મદદથી બાઈકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તંત્રની બેદરકારીને લઈને રાહદારીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
વડોદરામાં સરદાર એસ્ટેટ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે એક બાઈકમાં અચાનક ભભૂકી આગ લાગી હતી. મળતી માહિતી મુજબ બાઈકચાલક પેટ્રોલ ભરાવી બહાર નીકળતા સમયે જ બાઈકમાં આગ લાગી ગઈ, જેને કારણે થોડા જ સમયમાં વિકરાળ આગ ભભૂકી ઊઠી અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ આગમાં બાઈક સંપૂર્ણપણે બળી ને ખાખ થઈ ગઈ હતી.
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. ચૂંટણીની જાહેરાત પહેલાં જ AAPએ 460 ઉમેદવારોના નામની યાદી તૈયાર કરી હતી, જેમાં તાલુકા અને જિલ્લા પંચાયત માટે ઉમેદવારોના નામ સામેલ છે. પાલિકા અને મહાનગર પાલિકાની ચૂંટણી માટે પણ ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ નિર્ણયો સ્કિનિંગ કમિટી અને કેન્દ્રીય નેતૃત્વની સહમતિથી લેવામાં આવ્યા છે. AAPના નેતા અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન બીજી યાદી જાહેર કરવાની સંભાવના છે. પાર્ટીના નેતા ઈસુદાન દ્વારા જણાવ્યું કે, આ વખતે નેતાઓના દીકરાઓને નહીં, પરંતુ સામાન્ય જનતાને ટિકિટ આપવામાં આવશે અને “હવે સામાન્ય લોકોની રાજનીતિની શરૂઆત થશે.”
રાજકોટમાં પેટ્રોલ અંગે સરકાર દ્વારા અફરાતફરી ન મચાવવા કરવામાં આવેલી અપીલનો ખાસ અસરકારક પ્રભાવ જોવા મળ્યો નથી. બીજા દિવસે પણ શહેરના રૈયા સર્કલ, 150 ફૂટ રિંગ રોડ અને નાના મૌવા સહિતના વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી હતી. કેટલીક જગ્યાએ હજીપણ પેટ્રોલ ઉપલબ્ધ ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે. સરકારની અપીલ છતાં લોકોમાં ભયનો માહોલ યથાવત રહેતા પેટ્રોલ ભરાવવા માટે ભારે ભીડ અને અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલા પોર્ટ આર્થર શહેરની એક તેલ રિફાઈનરીમાં પ્રચંડ વિસ્ફોટ થતા ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. વિસ્ફોટ બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા અને તેની અસર આસપાસના ગ્રોવ્સ અને નેધરલેન્ડ વિસ્તારોમાં પણ જોવા મળી હતી. આ રિફાઈનરી વાલેરો એનર્જીની છે, જેની દૈનિક ક્ષમતા આશરે 3.8 લાખ બેરલ છે. ઘટનાને કારણે વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને તંત્ર દ્વારા પરિસ્થિતિ કાબૂમાં લેવા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા.
તાજેતરમાં LPG સિલિન્ડરનું વજન 14.2 કિલોથી ઘટાડીને 10 કિલો કરવામાં આવશે તેવી અફવાઓ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી હતી. આ મુદ્દે પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ યોજના નથી અને આ માત્ર અફવા છે. મંત્રાલયે જણાવ્યું કે હાલ જે 14.2 કિલોનું સિલિન્ડર આપવામાં આવે છે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. સાથે જ લોકોએ આવી ભ્રામક માહિતીથી ગેરમાર્ગે દોરાવું નહીં અને અફવાઓથી દૂર રહેવાની અપીલ પણ કરવામાં આવી છે.
વડોદરા નજીક દામાપુરા ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પર આજે નાના વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આરોપ મુજબ પંપ સંચાલકો મોટા વાહનો તેમજ ડ્રમ અને કેરેબામાં મોટી માત્રામાં પેટ્રોલ-ડિઝલ આપી રહ્યા છે, જેના કારણે સામાન્ય ટુ-વ્હિલર ચાલકોને ઇંધણ મળવામાં મુશ્કેલી પડી રહી છે. ડ્રમ અને કેરેબામાં ઇંધણ ભરાવવા પડાપડી થતાં પંપ પર જલ્દી ઇંધણ ખૂટી જવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે નાના વાહનચાલકોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે અને નિયમોનો ભંગ કરીને બોટલ, ડ્રમ અને કેરેબામાં ઇંધણ આપવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
Published On - 7:24 am, Tue, 24 March 26