વડાપ્રધાન મોદી આજથી પોલેન્ડના બે દિવસીય પ્રવાસે જશે. પોલેન્ડ બાદ યુદ્ધગ્રસ્ત યુક્રેનની પણ PM મોદી મુલાકાત લેશે. SC-ST અનામતમાં ક્રીમી લેયર બનાવવાની મંજૂરીના સુપ્રીમકોર્ટના નિર્ણયનો વિરોધ થઇ રહ્યો છે. આજે દેશભરમાં બંધનું એલાન આપવામાં આવ્યુ છે. જેને લઇને પોલીસ અને વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે. મંકીપોક્સના ખતરાને લઈને સીરમ ઈન્સ્ટીટ્યૂટે જાહેરાત કરી છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ મંકીપોક્સની રસી બનાવશે. એક વર્ષમાં રસી તૈયાર થઈ શકે છે. આજથી વિધાનસભાનું ચોમાસુ સત્ર શરુ થશે. ત્રણ દિવસના ચોમાસું સત્રમાં પ્રશ્નોત્તરી કાળ નહીં હોય. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પ્રશ્નોત્તરી કાળ વગરના સત્રને ગેરવ્યાજબી ગણાવ્યું છે. રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. 63 તાલુકાઓમાં મેઘમહેર વરસી છે, ડાંગમાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ પડ્યો છે.
મહારાષ્ટ્રના બદલાપુર ઘટનાને લઈને મહાવિકાસ આઘાડી આક્રમક દેખાઈ રહી છે. વિપક્ષે 24મી ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે. મહાવિકાસ આઘાડીની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આજથી શરુ થયેલા ગુજરાત વિધાનસભાના ત્રિદીવસીય સત્રના પ્રથમ દિવસે, વિધાનસભા ગૃહના નેતા તરીકે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, અભિનંદન સંકલ્પ રજૂ કરતા જણાવ્યું કે, આઝાદી પછી જન્મેલા ભારતના પ્રથમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક દશકના સફળ અને નિર્ણાયક નેતૃત્વથી વિશ્વભરમાં ભારતની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 10 વર્ષના સુશાસનના ટ્રેક રેકોર્ડમાં બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેના કેપિટલ એક્સપેન્ડીચરની વાર્ષિક 18 ટકાના દરે વૃદ્ધિ થવા પામી છે. દેશની આઝાદીની શતાબ્દી સુધીમાં સ્વર્ણિમ ભારત બનાવવા માટે પંચ પ્રણશક્તિથી વિકાસની નવી ઊંચાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈનું નેતૃત્વ સર કરાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરીને અભિનંદન આપ્યા હતા.
ઝારખંડની રાજનીતિમાં ઉથલપાથલ વચ્ચે પૂર્વ સીએમ ચંપાઈ સોરેને એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે અમારી પાસે 30 થી 40 હજાર કામદારો છે. આવી સ્થિતિમાં, નવી પાર્ટીની રચનામાં શું જાય છે? એક અઠવાડિયામાં બધાને ખબર પડી જશે.
રાજકોટમાં દારુના દુષણથી કંટાળેલી પ્રજાએ, અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં જનતા રેડ પાડી છે. સ્થાનિક લોકો દ્વારા દારુના અડ્ડાઓ ઉપર જનતા રેડ કરવામાં આવી હતી. રાજકોટના પોશ વિસ્તારમાં ખુલ્લે આમ દેશી દારૂ વેચાતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
ગીર બરડા વિસ્તારમાં રબારી, ભરવાડ અને ચારણ સમાજને અનુસુચિત જનજાતિ પ્રમાણપત્રનો વિવાદ ઉકેલવા માટે રાજ્ય સરકારે રચેલ D G કારીયા કમિટીએ ગત 31 જુલાઈએ રિપોર્ટ સરકારને સુપરત કર્યો છે. આશરે 3 વર્ષ બાદ સોપાયેલા આ રિપોર્ટના અધ્યયન માટે હાઈકોર્ટ પાસે સરકારે 10 દિવસનો સમય માગ્યો છે. આ સમયગાળા દરમિયાન જો ગીર – બરડા – આલેચના રબારી, ભરવાડ, ચારણનાં જાતિ પ્રમાણપત્રની જરૂર હશે તો તેમને પ્રાથમિકતા આપવામા આવશે તેવી તૈયારી સરકારે કોર્ટમાં દર્શાવી છે.
કાળા જાદુ સામેના બિલ ઉપરની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે, 2008 માં આ પ્રકારનું પ્રાઈવેટ બિલ લઈને કોંગ્રેસ આવી હતી. એ સમયે સત્તામાં ભાજપની સરકાર હતી. પરંતુ ભાજપની સરકારે કોંગ્રેસનુ પ્રાઈવેટ બિલ પાસ ના કર્યું. એ વખતે કોંગ્રેસ તરફથી પ્રસ્તાવ મુક્યો હતો અને આ વખતે સરકારે મુક્યો છે. 2008 ના બિલનો મેં અભ્યાસ કર્યો છે. એ પ્રાઇવેટ બિલ અને અત્યારે સરકાર જે બિલ લાવ્યા છે લગભગ એક સમાન છે.
ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અધોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને (તેનું) નિર્મૂલન કરવા બાબત વિધેયક, 2024, નામથી ગૃહવિભાગ દ્વારા તૈયાર કરાયેલ બિલને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું હતું.
મહેસાણા જિલ્લાના સરકારી અનાજના ગોડાઉનમાં અનાજ સડી ગયું હોવાનું સામે આવતા, જિલ્લામાં આવેલા 10 સરકારી ગોડાઉનમાં સરકારી અનાજનો જથ્થાની તપાસના આદેશ કરવામાં આવ્યા છે. મહેસાણાના ગોડાઉનમાં બે માસ પૂર્વે 53 ટન તુવર દાળનો જથ્થો આવેલો જેમાંથી 47 ટન તુવેરદાળ સડેલી, પાવડર વાળી, જીવાતવાળી નીકળતા તપાસનો આદેશ આપવામાં આવ્યા છે. બગડેલી દાળ મિલરને પાછી મોકલીને તાજી દાળનો જથ્થો મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદના વાતાવરણમાં પલટો આવ્યો. કેશોદના અનેક વિસ્તારમાં લાંબા વિરામ બાદ પડ્યો વરસાદ.બસ સ્ટેન્ડ, ચાર ચોક, જૂનાગઢ રોડ, માંગરોળ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્ય દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓ તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં છેલ્લાં છ માસમાં કેટલાં શિક્ષકો વિદેશમાં રહીને પગાર મેળવે છે તે અંગે પૂછાયેલા ટૂંકી મુદતના પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળામાં કુલ 12 શિક્ષકો તથા પાટણમાં 7 શિક્ષકો છે. જેમાંથી કોઈપણ શિક્ષક પગાર મેળવતાં નથી.
બનાસકાંઠા જિલ્લાના 12 ગેરહાજર શિક્ષકો પૈકી છ શિક્ષકો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરી ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા છે. બે શિક્ષકો દ્વારા રાજીનામાં મંજૂરી અર્થે રજૂ થતા રાજીનામું મંજૂર કરવામાં આવ્યાં છે બાકીના ચાર શિક્ષકો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાટણના બન્ને શિક્ષકો NOC મેળવીને વિદેશ ગયાં હોવાથી કોઈ કાર્યવાહી કરી નથી.
આ અંગે પૂછાયેલા પેટા પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ જણાવ્યુ હતું કે, વર્ષ 2019 થી 2022 દરમિયાન વિધા સમીક્ષા કેંદ્ર દ્વારા મળતી ઓનલાઇન હાજરીની વિગતો પરથી બિન અધિકૃત ગેરહાજર શિક્ષકો માહિતીનું એનાલીસીસ કરી તેમના વિરુદ્ધ નિયમાનુસારનીકાર્યવાહી કરાઇ છે. જેમાંથી બિન અધિકૃત ગેરહાજર અને વિદેશ પ્રવાસના કારણે ગેરહાજર રહેલા 134 શિક્ષકોને ફરજમાંથી બરતરફ કરવામાં આવ્યાં છે.
આજથી શરૂ થયેલા ત્રિદિવસીય વિધાનસભાના સત્રના પહેલા દિવસે, જાહેર અગત્યની બાબતોને લઈને નિયમ 116 હેઠળ, ગુજરાતમાં તાજેતરમાં જૂનાગઢમાં વરસેલા ભારે વરસાદને પગલે ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન અંગેની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ સંબંધે કૃષિ પ્રધાન રાધવજી પટેલે, વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં પાક નુકસાની માટેના સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. કામગીરી પૂર્ણ થયે, નુકસાનના પ્રમાણમાં આર્થિક વળતરની જાહેરાત કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભામાં ચાંદીપુરા વાયરસ અને વાયરલ એન્કેફેલાઇટીસની સ્થિતિ અંગે ટુંકી મુદ્દતના પ્રશ્નનો જવાબ આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં 12 દિવસમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાથી સંક્રમિત એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી.
ATMમાંથી રૂપિયા ઉપાડી બેંક સાથે છેતરપિંડી કરનારો આરોપી ઝડપાયો છે. પકડાયેલ આરોપી હરિયાણાનો છે. જે વ્યવસાયે એન્જિનીયર છે. પોલીસે પકડાયેલા આરોપી પાસેથી 33 એટીએમ કાર્ડ અને એટીએમ મશીનની બે ચાવી મળી આવી છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપીએ કબુલ્યુ છે કે, અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, નડિયાદ, કચ્છ ગાંધીધામના એટીએમમાંથી રૂપિયા ઉપાડી ચાવીથી ડિસ્પ્લે ખોલીને એરર ઊભી કરી બેંક પાસેથી રૂપિયા લેતો હતો.
રાજકોટ: જન્માષ્ટમી પર્વ પર ST વિભાગની વિશેષ વ્યવસ્થા કરાઇ છે. ST વિભાગ દ્વારા 50 એકસ્ટ્રા બસો શરૂ કરવામાં આવી છે. જુનાગઢ, જામનગર, મોરબી, સુરત, અમદાવાદ રૂટ પર બસો શરૂ થઇ છે. વિદ્યાનગર, બોટાદ, ભાવનગર રુટ પર પણ બસો શરૂ કરાઇ છે. 50 વ્યક્તિઓ એકસાથે ટિકીટ બુક કરાવે તો એકસ્ટ્રા બસની પણ ફાળવણી કરવામાં આવી છે.
ગુજસેલના તત્કાલીન કેપ્ટન અજય ચૌહાણ હાઇકોર્ટના શરણે છે. અજય ચૌહાણે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. અગાઉ સિટી સેશન્સ કોર્ટે આગોતરા જામીન નામંજૂર કર્યા હતા.
પરવાનગી વગર એરક્રાફ્ટનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે. પરિવારજનોને મુસાફરી કરાવી સરકારી તિજોરીને નુકસાન કર્યાનો આરોપ છે. સમગ્ર મામલે અમદાવાદ ACB પોલીસે ફરિયાદ નોંધાઈ હતી.
સૌરાષ્ટ્રના જન્માષ્ટમીના લોકમેળાને લઇને TV9 પર સૌથી મોટો ખુલાસો થયો છે. SOPની રચના બાદ પણ મેળામાં લોકસુરક્ષા મુદ્દે આંખ આડા કાન કર્યા છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાના આયોજન પહેલા નવો વિવાદ શરુ થયો છે. રાજકોટના જન્માષ્ટમીના લોકમેળામાં સુરક્ષાને લઇને સવાલો સર્જાયા છે. ફાઉન્ડેશન વગર જ લોકમેળામાં તોતીંગ રાઇડ્સ ખડકી દેવામાં આવી છે. SOPની કડક અમલવારીના દાવાઓ વચ્ચે ફાઉન્ડેશનને લઇને સવાલ ઉઠ્યા છે. પથ્થરો અને લાકડાના ટેકા પર વિશાળ રાઇડ્સ ઉભી કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા ખાતે ટૂંકી મુદતના પ્રશ્નમાં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી અંગેની સ્થિતિના પ્રત્યુતરમાં શહેરી વિકાસ વિભાગ વતી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ,વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક રીતે નબળા વર્ગોના લોકોને આવાસની સુવિધા મળી રહે એ માટે હાઉસિંગ ફોર ઓલનો સંકલ્પ કર્યો છે.
જામનગર: 19 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. MBBSમાં અભ્યાસ કરતા યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. કિશન માણેક નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. MBBSના પ્રથમ વર્ષમાં યુવક અભ્યાસ કરતો હતો.
રાજકોટ: જન્માષ્ટમી પર્વ પર ST વિભાગની વિશેષ વ્યવસ્થા છે. ST વિભાગ દ્વારા 50 એકસ્ટ્રા બસો શરૂ કરવામાં આવી છે. જુનાગઢ,જામનગર.મોરબી,સુરત,અમદાવાદ રૂટ પર બસો શરૂ થઇ છે. વિદ્યાનગર,બોટાદ,ભાવનગર રૂટ પર પણ બસો શરૂ કરાઇ છે. 50 વ્યક્તિઓ એકસાથે ટિકીટ બુક કરાવે તો એકસ્ટ્રા બસની પણ ફાળવણી થશે.
ગાંધીનગર: કાળા જાદૂ સામે આજે ગૃહમાં બિલ રજૂ થશે. અંધશ્રદ્ધા, કાળા જાદૂને રોકવા માટે કાયદો લાવવા બિલ રજૂ થશે. છેલ્લા ઘણાં સમયથી અંધશ્રદ્ધા વિરોધી કાયદાની માંગ ઉઠી હતી.
સાબરકાંઠા: ભારત બંધના એલાનને લઈ વિજયનગર સજ્જડ બંધ છે. વિજયનગર તાલુકામાં સજ્જડ બંધની અસર જોવા મળી છે. વિજયનગર, ચિઠોડા, અંદ્રોખા અને આંતરસુંબા આશ્રમમાં બજારો બંધ
SC, ST અનામતમાં ક્રિમિલેયર અંગેના સુપ્રીમના નિર્ણયના વિરોધમાં સજ્જડ બંધ છે. બંધના એલાનને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોલેન્ડ જવા રવાના થશે. પીએમ મોદી 21-22 ઓગસ્ટે પોલેન્ડ અને 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લેશે. 45 વર્ષ બાદ પોલેન્ડની મુલાકાત લેનારા તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન હશે.
ઝારખંડના જમશેદપુરથી ઉડેલું એક પ્રશિક્ષણ વિમાન ગુમ થઈ ગયું છે, તેને શોધવા માટે સરાઈકેલા જિલ્લામાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જમશેદપુર પ્રશાસન પણ સર્ચ ઓપરેશનમાં સામેલ છે. ડીસી સરાઈકેલા રવિશંકર શુક્લાએ કહ્યું કે અમે પડોશી જિલ્લા પુરુલિયા, પશ્ચિમ બંગાળને પણ જાણ કરી છે. આ સંબંધિત દરેક માહિતીની ચકાસણી કરવામાં આવી રહી છે અને તેના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વેસ્ટ ટેક્સાસના એક વિસ્તારમાં એક નાનું પ્લેન ક્રેશ થયું છે, જેમાં પ્લેનમાં આગ લાગતાં પાયલોટ અને એક મુસાફરનું મોત થયું છે અને એક મહિલાને ઈજા થઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાક્ષીઓએ જણાવ્યું હતું કે ઓડેસા એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી વિમાનને ઊંચાઈ મેળવવામાં મુશ્કેલી પડી હતી અને પછી સવારે એક શેરીમાં ક્રેશ થતાં પહેલાં પાવર લાઇન સાથે અથડાયું હતું. વિમાનમાં સવાર બંને લોકોના મોત થયા હતા.
જૂનાગઢ: વિસાવદરના રહેણાંક વિસ્તારમાં બે સિંહોએ મારણ કર્યું છે. લોકોએ મિજબાની માણી રહેલા સિંહોના વીડિયો વાયરલ કર્યા છે. રહેણાંક વિસ્તારમાં બે સિંહોએ ગદર્ભનું મારણ કર્યું. સિંહો જંગલ બાદ રેવન્યુ અને હવે ગામમાં ઘૂસી શિકાર કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ધારી રોડ તરફના રેલવે અંડર બ્રિજ નજીકની સોસાયટીમાં ઘટના બની છે. વનવિભાગને જાણ થતા તુરંત જ શિકાર લઈ સિંહોને રહેણાંક વિસ્તાર દૂર ખદેડાયા છે. રહેણાક વિસ્તારમાં સિંહોએ શિકાર કર્યો હોવાની જાણ થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા.
Published On - 7:30 am, Wed, 21 August 24