11 જાન્યુઆરીના મહત્વના સમાચાર : સૌરાષ્ટ્ર-કચ્છને પીએમ મોદીની ભેટ, 13 નવી GIDCની જાહેરાત, રિલાયન્સ 5 વર્ષમાં કરશે 7 લાખ કરોડનું રોકાણ તો કચ્છમાં 1.5 લાખ કરોડનું રોકાણ કરશે અદાણી

આજે 11 જાન્યુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

11 જાન્યુઆરીના મહત્વના સમાચાર : સૌરાષ્ટ્ર-કચ્છને પીએમ મોદીની ભેટ, 13 નવી GIDCની જાહેરાત, રિલાયન્સ 5 વર્ષમાં કરશે 7 લાખ કરોડનું રોકાણ તો કચ્છમાં 1.5 લાખ કરોડનું રોકાણ કરશે અદાણી
| Edited By: | Updated on: Jan 11, 2026 | 9:12 PM

આજે 11 જાન્યુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

 

 

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Jan 2026 08:23 PM (IST)

    પંચમહાલ: ચાઈનીઝ દોરીથી બાળકીને લાગ્યો વીજ કરંટ

    પંચમહાલ: ચાઈનીઝ દોરીથી બાળકીને વીજ કરંટ લાગતા  7 વર્ષીય બાળકી શરીરના ભાગે ગંભીર રીતે દાઝી ગઈ હતી. વીજ કરંટથી બાળકીના ડાબા હાથની આંગળી છૂટી પડી ગઈ. ગોધરાના સાંપા ગામે આ દુર્ઘટના સર્જાઈ.  ગોધરામાં પ્રાથમિક સારવાર બાદ બાળકીને વડોદરા રિફર કરાઈ છે.
    બાળકીના પિતાએ જણાવ્યું કે, 7 વર્ષીય કિંજલ ઘર આંગણે રમી રહી હતી, તે દરમિયાન ઘર નજીકથી પસાર થતાં હાઈ ટેન્શન વીજ વાયર સાથે ચાઈનીઝ દોરી લટકતી હતી. તેના સંપર્કમાં આવી જતા વીજ કરંટ લાગવાની ઘટના બની હોવાનું બાળકીના પિતાએ જણાવ્યું. ઉત્તરાયણ પર્વ પહેલા બનેલી આ ઘટના બાળકોના માતા-પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે. પતંગ ચગાવતા બાળકો વીજ વાયરના સંપર્કમાં ન આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.

  • 11 Jan 2026 08:08 PM (IST)

    ભાવનગરમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

    ભાવનગરમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો. પતંગ લૂંટવા જતા વીજ કરંટ લાગવાથી 12 વર્ષીય બાળકનું મોત થયુ. અન્ય બે બાળકીઓને પણ ઇજા પહોંચી. ખોડિયારનગર વિસ્તારમાં બાળકો પતંગ લૂંટી રહ્યા હતા ત્યારે ઘટના બની. વીજ કરંટ લાગ્યા બાદ ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાયો.


  • 11 Jan 2026 08:06 PM (IST)

    અમદાવાદ: મેમ્કો બ્રિજ પાસેના અંબિકા એસ્ટેટમાં આગ

    અમદાવાદ: મેમ્કો બ્રિજ પાસેના અંબિકા એસ્ટેટમાં આગ લાગવાની દુર્ઘટના સર્જાઈ. આગના બનાવમાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.  બંનેનું રેસ્ક્યૂ કરી ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે.
    લાકડાનો સંગ્રહ કરેલા ગોડાઉનમાં લાગી આગ હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી કુલીંગની કામગીરી હાથ ધરાઈ હતી.

    ઉલ્લેખનીય છે કે, અંબિકા એસ્ટેટમાં ત્રણ માળની ઈમારતમાં આગ લાગી હતી. જેને લઈ ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. સાથે ગોડાઉનની અંદર સૂતેલા બે લોકોને રેસ્ક્યૂ કર્યું અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. આગ લાગી તે યુનિટના માલિકે જણાવ્યું કે, ઘાયલ થયેલા બંને લોકો દિલ્લીના સહારનપુરથી શનિવારે અમદાવાદ આવ્યા હતા. વધુમાં જણાવ્યું કે, તેઓએ છેલ્લા 5 વર્ષથી આ એકમ ભાડે રાખ્યું હતું.

  • 11 Jan 2026 06:51 PM (IST)

    ગાંધીનગરઃ PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ

    અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ સેવાના ફેઝ 2 અંતર્ગત સચિવાલયથી મહાત્મા મંદીર સુધીના અંતિમ રૂટનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. જેનો લાભ હજારો મુસાફરોને મળી રહેશે.  5.36 કિલોમીટર લાંબા આ વિસ્તૃત કોરિડોર પર પાંચ નવા સ્ટેશનો પણ આજથી કાર્યરત થયા. જેમાં અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિરનો સમાવેશ થાય છે. આ વિસ્તરણને કારણે ગાંધીનગરના 20 જેટલા સેક્ટર અને આસપાસના ગામડાઓના રહીશોને જ નહીં, પરંતુ પ્રવાસીઓને પણ મોટો ફાયદો થશે. હવે અક્ષરધામ મંદિર અને દાંડી કુટીર જેવા મહત્વના પ્રવાસન સ્થળો સુધી મેટ્રો દ્વારા સરળતાથી પહોંચી શકાશે. આ લોકાર્પણ સાથે જ અમદાવાદ અને ગાંધીનગર એમ બંને શહેરો વચ્ચે જાહેર પરિવહન સેવા વધુ સુદ્રઢ અને ઝડપી બનશે.

  • 11 Jan 2026 06:17 PM (IST)

    સુરત: સતત ત્રીજા દિવસે પાણીપુરી વિક્રેતાઓને ત્યાં દરોડા

    સુરતમાં સતત ત્રીજા દિવસે પાણીપુરી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. પાંડેસરા અને રાંદેરમાં આરોગ્ય તંત્રએ કાર્યવાહી કરતા 20 જેટલા પાણીપુરી બનાવતા સ્થળો પર તપાસ હાથ ધરી. આરોગ્ય વિભાગની ટીમે પાણીપુરી, સડેલા બટાકા અને હાનિકારક સામગ્રીઓનો નાશ કર્યો. આરોગ્ય વિભાગે હજારો લિટર પાણીનો તાત્કાલિક નિકાલ કર્યો. આશાપુરી ગોવાલક નગર વિસ્તારમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી. ક્ષેત્રપાલ નગરમાં પાણીપુરી બનાવતી દુકાનોમાં પણ દરોડા કરાયા. આરોગ્ય ટીમ દ્વારા દરોડા પાડીને કામગીરી બંધ કરાવાઈ છે. સ્વચ્છતાના નિયમોનું પાલન નહીં થાય તો વધુ કડક પગલાંની ચીમકી આપી છે.

  • 11 Jan 2026 05:55 PM (IST)

    જામનગર: જાહેર માર્ગ પર સ્ટંટ કરનાર સામે પોલીસની તવાઈ

    જામનગર: જાહેર માર્ગ પર સ્ટંટ કરનાર સ્ટંટબાજને પોલીસે ઝડપી પાડ્યા. બાઈક સહિત 4 શખ્સો અને 2 કિશોરોને ઝડપી પાડ્યા. સ્ટંટબાજો પાસે માફી મગાવી પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા. ચીચીયારીઓ કરી શખ્સોએ જાહેરમાં બાઈકના સ્ટંટ કર્યા હતા. વાયરલ વીડિયોને આધારે પોલીસે તપાસ કરી શખ્સોને ઝડપ્યા. વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ કરી. જેમાં વીડિયો 26 ડિસેમ્બરે જામનગર શહેરના નાગનાથનું નાકુ વિસ્તારમાં બનાવવામાં આવ્યો હતો. વીડિયોને આધારે બાઇક સહીત કુલ 4 ઇસમો તથા 2 કિશોરોને ઝડપી પાડ્યા. સ્ટંટ કરનાર શખ્સો સામે BNS તેમજ મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ.

  • 11 Jan 2026 05:51 PM (IST)

    રાજ્યના 5 શહેરોમાં તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં

    સૌથી પહેલાં વાત કરીએ ગુજરાતની તો રાજ્યના 5 શહેરોમાં તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં પહોંચી ગયો છે અને લોકો ગાત્રો થીજાવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. 3.8 ડિગ્રી સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ સ્થળ બન્યું છે. અમરેલીમાં 7.6 ડિગ્રી તો રાજકોટમાં 8.9 ડિગ્રી તાપમાન નોંધાયું. તો ભુજમાં 9 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 9.5 ડિગ્રી સાથે ઠંડો દિવસ જોવા મળ્યો. મેટ્રોસિટી અમદાવાદમાં પણ તાપમાન ગગડીને 11.6 ડિગ્રીએ પહોંચ્યું હતું તો નખત્રાણા અને અબડાસાના કેટલાંક વિસ્તારોમાં બર્ફિલી ચાદર જોવા મળતા કુતૂહલ સર્જાયું.

  • 11 Jan 2026 05:49 PM (IST)

    મહેસાણામાં હવે વસ્તી વધારવાનું પણ અભિયાન શરૂ

    મહેસાણામાં હવે વસ્તી વધારવાનું પણ અભિયાન શરૂ કરાયુ છે. પંચાલ સમાજની અનોખી પહેલ, બીજું સંતાન લાવનારને ઇનામની જાહેરાત કરી. વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા મોઢેરા રોડ પર  મહાસંમેલન યોજાયું. ઘટતી વસ્તી અને ‘એક બાળકની માનસિકતા’ સામે લાલબત્તી છે. બીજું સંતાન લાવનાર દંપતીને માતાના નામે અપાશે 25 હજારનો ચેક. સંયુક્ત પરિવારમાં રહેતી બહેનોનું કરાયું વિશેષ સન્માન. પાટણવાડા અને બાવીસી પંચાલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

  • 11 Jan 2026 05:47 PM (IST)

    વડાપ્રધાન મોદી થોડીવારમાં પહોંચશે ગાંધીનગર

    વડાપ્રધાન મોદી થોડીવારમાં ગાંધીનગર પહોંચશે, PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. મેટ્રો ફેઝ 2 અંતર્ગત મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરશે, ગાંધીનગરના 5 નવા મેટ્રો સ્ટેશન આજથી કાર્યરત થશે, મહાત્મા મંદિર સ્ટેશન પાસે વિશેષ સ્ટેજ તૈયાર કરાયુ છે.

  • 11 Jan 2026 05:37 PM (IST)

    રિજનલ વાઈબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન મોદીની જાહેરાત

    રિજનલ વાઈબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન મોદીએ વર્ષો પહેલા કહેલી વાતને વાગોળી PMએ તેમનુ વિઝન જણાવ્યુ, એક સમય એવો આવશે જ્યારે મોરબી, જામનગર, રાજકોટનું ત્રિકોણ મિની જાપાન બનશે. તે સમયે મારી મજાક કરી હતી, આજે હું તે સાકાર થતાં જોઈ રહ્યો છું.

  • 11 Jan 2026 05:35 PM (IST)

    રાજકોટઃ રિજનલ વાઈબ્રન્ટ સમિટનો PM મોદીએ કરાવ્યો પ્રારંભ

    રાજકોટઃ રિજનલ વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન મોદી સોમનાથથી સીધા રાજકોટ વાઈબ્રન્ટ સમિટમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. આ સમિટમાં અગ્રણીઓ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા છે. મારવાડી યુનિવર્સિટી ખાતે સમિટનું ભવ્ય આયોજન થવાનું છે. 1 હજાર કરોડના 1500 જેટલા MOU થવાની શક્યતા છે. કચ્ચ, સૌરાષ્ટ્ર  રિજનલ સમિટથી MSME ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. ગુજરાતમાં તમામ સુવિધાના કારણે રોકાણકારો માટે ગુજરાત શ્રેષ્ઠ છે.

     

  • 11 Jan 2026 05:29 PM (IST)

    વડાપ્રધાન મોદી થોડીવારમાં પહોંચશે ગાંધીનગર

    વડાપ્રધાન મોદી થોડીવારમાં ગાંધીનગર પહોંચશે. PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ થશે . મેટ્રો ફેઝ 2 અંતર્ગત મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરશે.ગાંધીનગરના 5 નવા મેટ્રો સ્ટેશન આજથી કાર્યરત થશે. મહાત્મા મંદિર સ્ટેશન પાસે વિશેષ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યુ છે.

  • 11 Jan 2026 02:49 PM (IST)

    જૂનાગઢઃ ફટાકડાનું ગેરકાયદે ગોડાઉન ઝડપાયું

    જૂનાગઢમાં ફટાકડાના ગેરકાયદે સંગ્રહ સામે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. શહેરના પોસ્ટ ઓફિસ રોડ પર આવેલા એક ગોડાઉનમાં ગેરકાયદે રીતે ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમીના આધારે તંત્રએ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ગોડાઉનમાંથી ફટાકડાનો મોટો જથ્થો ઝડપાયો છે. અંદાજે રૂ. 32 લાખ 63 હજાર 673 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ગોડાઉન માલિક નયન ભાયાણીની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.

  • 11 Jan 2026 02:47 PM (IST)

    રાજકોટઃ રિજનલ વાઈબ્રન્ટ સમિટમાં પહોંચ્યા PM મોદી

    રાજકોટઃ રિજનલ વાઈબ્રન્ટ સમિટમાં PM મોદી પહોંચ્યા. PM મોદીએ રિજનલ વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ધાટન કર્યું. વાઈબ્રન્ટ સમિટમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિઓની હાજરી છે. મારવાડી યુનિવર્સિટી ખાતે સમિટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. 1 હજાર કરોડના MOU થાય તેવી શક્યતા છે.

  • 11 Jan 2026 02:27 PM (IST)

    પોરબંદરઃ ધારાસભ્ય કાંધલ જાડેજાએ ખેડૂતો માટે છોડાવ્યું પાણી

    પોરબંદરના રાણાવવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ફરી એકવાર ખેડૂતો માટે ઉમદા કાર્ય કર્યું છે. કાંધલ જાડેજાએ પોતાના સ્વખર્ચે બાંટવા ખારો સિંચાઈ યોજનામાંથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડાવ્યું છે કાંધલ જાડેજા જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી સતત દરવર્ષે શિયાળુ પાક માટે પોતાના ખર્ચે ખેડૂતો માટે પાણી છોડાવે છે. બાંટવા ખારા ડેમમાંથી 80 MCFT પાણી ખેડૂતો માટે છોડવામાં આવ્યું છે. કુતિયાણા તાલુકાના રેવદ્રા, તરખાઈ, ધરશન , ગઢવાણા અને મહિયારી સહિતના ગામના ખેડૂતોને આ પાણીનો લાભ મળશે.

  • 11 Jan 2026 02:08 PM (IST)

    સોમનાથથી રાજકોટ પહોંચ્યા વડાપ્રધાન મોદી

    વડાપ્રધાન મોદી સોમનાથથી રાજકોટ પહોંચ્યા. PM મોદી થોડીવારમાં રિજનલ વાઈબ્રન્ટ સમિટમાં પહોંચશે. વાઈબ્રન્ટ સમિટમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિઓની હાજરી. મારવાડી યુનિવર્સિટી ખાતે સમિટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. અનેક કંપનીઓ મહત્વપૂર્ણ MOU કરે તેવી શક્યતા છે.

  • 11 Jan 2026 02:04 PM (IST)

    ભાવનગર: અકવાડામાં યુવકની હત્યા

    ભાવનગર: અકવાડામાં યુવકની હત્યા થઇ છે. યુવતીને મેસેજ કરતો હોવાથી બબાલ થઈ હતી. સમાધાન કરવા બોલાવી જીવલેણ હુમલો થયો. 2 ગાડીમાં આવેલા લોકોએ હુમલો કર્યો. ગંભીર રીતે ઈજા થતા સારવાર દરમિયાન યુવકનું મોત થયુ. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.

  • 11 Jan 2026 01:10 PM (IST)

    ગીર-સોમનાથઃ દીપડાના હુમલામાં મજૂરનું મોત

    ગીર-સોમનાથ જિલ્લામાં માનવભક્ષી દીપડાના હુમલામાં 45 વર્ષીય ખેત મજૂરનું મોત થયું છે. તાલાલા ના રસુલપરા ગામે ખેતરમાં શેરડીની કાપણી વખતે..અચાનક દીપડાએ મજૂર પર હુમલો કર્યો હતો. દીપડા 45 વર્ષીય મજૂરને ફાડી ખાતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે. મૃતક મજૂરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયો છે..જ્યારે વન વિભાગે ગણતરીના કલાકોમાં જ માનવભક્ષી દીપડાને પાંજરે પુર્યો છે..

  • 11 Jan 2026 12:44 PM (IST)

    સરદાર પટેલ અને રાજેન્દ્ર પ્રસાદને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા: પીએમ મોદી

    સોમનાથ સ્વાભિમાન પર્વને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે સોમનાથ મંદિરને નષ્ટ કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ભારતની સ્વતંત્રતા પછી પણ સોમનાથ પરના હુમલાને આર્થિક લૂંટ તરીકે વર્ણવવામાં આવ્યો હતો. જો એવું હોત તો પહેલા હુમલા પછી તેને નષ્ટ કરવાનો કોઈ પ્રયાસ થયો ન હોત. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે સરદાર પટેલે પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો ત્યારે તેમને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જ્યારે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે મંદિરની મુલાકાત લેવાની યોજના બનાવી ત્યારે પણ તેમને રોકવામાં આવ્યા હતા.

  • 11 Jan 2026 12:20 PM (IST)

    આજે સોમનાથ મંદિરના પુનર્નિર્માણને 75 વર્ષ પૂર્ણ થયા-PM મોદી

    સંબોધનમાં PM મોદીએ કહ્યુ- આજે સોમનાથ મંદિરના પુનર્નિર્માણને 75 વર્ષ પૂર્ણ થયા છે. સોમનાથ સ્વાભિમાન પર્વ વિનાશનો ઉત્સવ નથી, પરંતુ 1,000 વર્ષની યાત્રાનો ઉત્સવ છે. સોમનાથનો નાશ કરવાના એક નહીં પરંતુ અસંખ્ય પ્રયાસો થયા હતા. તેવી જ રીતે, વિદેશી આક્રમણકારોએ સદીઓથી ભારતનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સોમનાથ કે ભારતનો નાશ થયો ન હતો. કારણ કે ભારત અને તેના શ્રદ્ધાના કેન્દ્રો એકબીજા સાથે જોડાયેલા છે.

  • 11 Jan 2026 12:12 PM (IST)

    PM મોદીનું સોમનાથ મંદિરમાં સંબોધન, કહ્યુ- આ આપણા અસ્તિત્વ અને અભિમાનનું પર્વ

    સોમનાથ સ્વાભિમાન પર્વ કાર્યક્રમને સંબોધતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું ભાગ્યશાળી છું કે મને સોમનાથ મંદિર ટ્રસ્ટના વડા તરીકે આ કાર્યક્રમમાં સેવા આપવાની તક મળી.” પીએમ મોદીએ કહ્યું, “બરાબર 1,000 વર્ષ પહેલાં, આ જ જગ્યાએ જ્યાં તમે બેઠા છો, તે વાતાવરણ કેવું હશે. તમે અને અમારા પૂર્વજોએ અમારી શ્રદ્ધા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.”

  • 11 Jan 2026 11:34 AM (IST)

    અમદાવાદઃ ભીમજીપુરા વિસ્તારમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ

    અમદાવાદઃ ભીમજીપુરા વિસ્તારમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. પુરુષોત્તમનગરના મકાનમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં.

  • 11 Jan 2026 11:25 AM (IST)

    મોરબી: સ્પીડ બ્રેકરને કારણે અકસ્માત થતા યુવકનું મોત

    મોરબીના લીલાપર રોડ પર ગેરકાયદે બનાવાયેલા સ્પીડ બ્રેકરના કારણે થયેલા અકસ્માતમાં ટુ વ્હીલર ચાલક યુવકનું મોત નિપજ્યું છે. અચાનક આવેલા સ્પીડ બ્રેકરને કારણે યુવકનું વાહન અણિયંત્રિત બનતા ગંભીર અકસ્માત થયો હતો. ચોંકાવનારી બાબત એ છે કે ગેરકાયદે સ્પીડ બ્રેકર અંગે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જ્યારે મૃતક યુવક વિરુદ્ધ જ બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. સ્પીડ બ્રેકર કોની મંજૂરીથી બનાવવામાં આવ્યા હતા તે હજુ તપાસનો વિષય બન્યો છે. અકસ્માત બાદ સ્પીડ બ્રેકર તાત્કાલિક કાઢી નાખવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે તંત્રની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે.

  • 11 Jan 2026 11:11 AM (IST)

    મોરબી હળવદની મહર્ષિ ટાઉનશીપમાં તસ્કરોએ ફરી એક વખત ધામા નાખ્યા

    મોરબી જિલ્લાના હળવદમાં તસ્કરોએ ધામા નાખ્યા છે. હળવદની મહર્ષિ ટાઉનશીપમાં ત્રણ તસ્કરો સીસીસીટવીમાં કેદ થયા હતા. તસ્કરોએ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યા હોવાનો ચર્ચા છે પરંતુ હજુ સુધી મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નથી નોંધાઈ.

  • 11 Jan 2026 11:01 AM (IST)

    સુરતઃ સમરસ હોસ્ટેલના ભોજનમાં ઈયળ નીકળતા વિરોધ

    સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં ગત રાત્રીએ ભોજનમાં ઈયળ, વાળ અને જીવાત નીકળતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે હોસ્ટેલની બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. ABVPનો આક્ષેપ છે કે સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને અપાતા ભોજનમાં સ્વચ્છતાનું ધ્યાન નથી રખાતુ. ભોજનમાંથી અવારનવાર વાળ અને ઈયળો નીકળે છે. વિદ્યાર્થીઓને સ્વસ્થ અને પોષણયુક્ત આહાર આપવાના માંગ સાથે ABVPના કાર્યકરોએ હોસ્ટેલના ગેટ પર સુઈ જઈ વિરોધ નોંધાવ્યો હતો.

  • 11 Jan 2026 10:54 AM (IST)

    સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી રહ્યા છે PM મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથની મુલાકાતે છે. સોમનાથમાં આયોજિત શૌર્ય યાર્રામાં જોડાયા બાદ PM મોદીએ સોમનાથ મંદિરમાં પહોંચીને મહાદેવના દર્શન કર્યા હતા. સાથે જ મંદિરમાં પૂજા-અર્ચના કરી.

  • 11 Jan 2026 10:48 AM (IST)

    સોમનાથ મંદિર પર આક્રમણને એક હજાર વર્ષ પૂરા થયા

    સોમનાથ મંદિર પર આક્રમણને એક હજાર વર્ષ પૂરા થયા છે. આક્રમણકારી મહમદ ગજનવીએ વર્ષ 1026માં સોમનાથ મંદિર ને તોડી પાડ્યું હતું. જે મંદિરના અવશેષો આજે પણ જોઈ શકાય છે. આ અવશેષો જોઈ એક હજાર વર્ષ પહેલા થયેલા હુમલાની યાદ તાજી કરાવી રહ્યા છે. જ્યારે સરદાર પટેલે પ્રણ લીધું કે સોમનાથને ફરી નિર્માણ કરાશે. ત્યારબાદ વર્ષ 1947માં ખોદકામ કરવામાં આવ્યું અને સોમનાથ મંદિરની ધરતીમાં દટાયેલા એક હજાર વર્ષ પહેલાના અવશેષો મળી આવ્યા. જે આજે પણ સોમનાથ ડોરમેટરી અને જૂના સૂર્યમંદિર પર સંગ્રહિત કરી રાખવામાં આવ્યા છે.

  • 11 Jan 2026 10:09 AM (IST)

    માઉન્ટ આબુમાં હાલ હાડ થીજવતી ઠંડી

    ‘રાજસ્થાનના કાશ્મીર’ તરીકે ઓળખાતા માઉન્ટ આબુમાં હાલ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ અહીં ઠંડીનો પ્રકોપ એટલો વધ્યો છે કે સતત 11મા દિવસે તાપમાનનો પારો ગગડીને શૂન્યની નીચે પહોંચ્યો હતો..આજે માઉન્ટ આબુનું તાપમાન શૂન્યથી 4.4 ડિગ્રી નીચે એટલે કે માઈનસ 4.4 નોંધાયું છે. શનિવારની સરખામણીએ આજે તાપમાનમાં વધુ 1.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. મુખ્ય બજારમાં પણ તાપમાન માઈનસ 3.3 ડિગ્રીની આસપાસ રહેતા જનજીવન પ્રભાવિત થયું હતું.માઉન્ટ આબુના ચાંદમારી અને સાલગામ જેવા વિસ્તારોમાં કુદરતનો અદભૂત નજારો જોવા મળ્યો હતો.મેદાનો અને વાહનો પર સવારમાં બરફ જામેલો જોવા મળ્યો હતો..બરફનો નજારો અને શીતલહેરના કારણે આબુમાં પ્રવાસીઓ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

  • 11 Jan 2026 10:00 AM (IST)

    108 અશ્વસવાર સાથે PM મોદીની ભવ્ય સ્વાભિમાન શૌર્ય યાત્રા નીકળી

    સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી થઇ રહી છે.સોમનાથના ઈતિહાસમાં પ્રથમવાર PM મોદીનો 2 કિ.મી. લાંબો રોડ શો નીકળી રહ્યો છે. જ્યાં જ્યાંથી PM મોદી પસાર થઇ રહ્યા છે, ત્યાં ડમરુ વગાડીને, શંખ વગાડીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યુ છે.

  • 11 Jan 2026 09:53 AM (IST)

    નલિયામાં આજે ઠંડીનો પારો ઘટીને 3.8 ડિગ્રી સુધી પહોંચી ગયો

    કચ્છમાં શીતલહેરે કડાકો બોલાવ્યો છે, જેમાં નલિયામાં કાતિલ ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. નલિયામાં આજે ઠંડીનો પારો ઘટીને 3.8 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. કચ્છના અનેક વિસ્તારોમાં શીતલહેરના કારણે વહેલી સવારે બરફની ચાદર છવાઈ ગઈ હતી. ભુજનું તાપમાન પણ સિંગલ ડિજિટમાં ઉતરી 9 ડિગ્રી નોંધાયું છે. અબડાસા અને નખત્રાણા પંથકમાં કડક ઠંડી પડી રહી છે, જેમાં નખત્રાણાના રણકાંધી વિસ્તાર તેમજ મંજલ-તરા ગામે બરફની ચાદર જોવા મળી. નખત્રાણાના વેડહાર મોટીના વાડી વિસ્તારમાં બાઈક પર બરફ જામેલો જોવા મળ્યો હતો, જ્યારે અબડાસાના સુડધ્રો મોટીમાં બાઈકની સીટ પર બરફ જોવા મળ્યો. અબડાસાના વમોટી નાની ગામના સીમાડામાં ઓઢવાની ચાદર પર પણ બરફ જામતા કડક ઠંડીનો અહેસાસ થયો હતો.

  • 11 Jan 2026 09:01 AM (IST)

    સુરેન્દ્રનગર: ચોટીલામાં ગેરકાયદે બાંધકામ પર ફર્યું બુલડોઝર

    યાત્રાધામ ચોટીલા ખાતે વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડુંગરની તળેટી વિસ્તારમાં નડતરરૂપ દબાણો દૂર કરી અંદાજે 17 એકર જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. 105 કરોડની કિંમતની જમીન પરથી દબાણો જમીનદોસ્ત કરાયા છે. ચોટીલાના મહંતના પરિવારે દબાણ મામલે વિરોધ નોંધાવતા પોલીસ દ્વારા મહંત સહિત પરિવારજનોને પોલીસ મથકે લઈ જવાયા હતા. મહંતના પરીવારજનોનો આરોપ છે કે વગર નોટિસે ટ્રસ્ટનું બાંધકામ તોડી નાખી મહંતને પોલીસ મથકે લઇ ગયા જેનાથી સંધ્યા આરતી ન થઈ શકી

  • 11 Jan 2026 07:50 AM (IST)

    દિલ્હીમાં બે દિવસ ગાઢ ધુમ્મસ અને શીત લહેરની ચેતવણી

    રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હાલમાં તીવ્ર ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ ગાઢ ધુમ્મસ અને શીત લહેર રહેશે.

  • 11 Jan 2026 07:48 AM (IST)

    દિલ્હીના ઘણા વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખરાબ, AQI 300 ને વટાવી ગયો

    દિલ્હીના ઘણા વિસ્તારોમાં હવાની ગુણવત્તા ફરી એકવાર ખરાબ શ્રેણીમાં આવી ગઈ છે. આનંદ વિહારમાં સવારે 5 વાગ્યે AQI 341 નોંધાયું હતું. દરમિયાન, દિલ્હી એરપોર્ટ પર 214 AQI નોંધાયું હતું.

  • 11 Jan 2026 07:40 AM (IST)

    રાજકોટઃ ઉપલેટામાં વહેલી સવારે ફરી ભૂકંપનો આંચકો

    રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વહેલી સવારે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 2.7ની તીવ્રતાવાળો આ ભૂકંપ નોંધાયો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી અંદાજે 26 કિલોમીટર દૂર નોંધાયું છે. આ આંચકાથી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી મળ્યા, પરંતુ અચાનક આવેલા કંપનને કારણે ઉપલેટાવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા.

  • 11 Jan 2026 07:39 AM (IST)

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કેરળની મુલાકાતે

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે કેરળની મુલાકાત લે તેવી શક્યતા છે, જ્યાં તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપશે અને ભાજપના નેતાઓ સાથે બેઠક કરશે.

  • 11 Jan 2026 07:27 AM (IST)

    ગીર સોમનાથ: સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી

    ગીર સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી થવાની છે, જેમાં સોમનાથ દાદાના સાનિધ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. આ અવસરે PM મોદી સોમનાથ ધામમાં વિશેષ પૂજા-અર્ચના કરશે. સોમનાથના ઈતિહાસમાં પ્રથમવાર વડાપ્રધાનનો 2 કિ.મી. લાંબો રોડ શો યોજાશે, જે શંખ સર્કલથી હમીરજી ગોહિલની પ્રતિમા સુધી યોજાશે. 108 અશ્વસવારો સાથે યોજાનારી આ ભવ્ય સ્વાભિમાન યાત્રા આકર્ષણનું કેન્દ્ર રહેશે. બાદમાં વડાપ્રધાન સદભાવના ગ્રાઉન્ડમાં આયોજિત સભામાં આશરે 1 લાખની જનમેદનીને સંબોધશે. PM મોદીના સભા સ્થળ તેમજ સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Published On - 7:26 am, Sun, 11 January 26