અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો આજે બીજો દિવસ છે, જોકે હડતાળને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. શહેરમાં મોટા ભાગના રિક્ષાચાલકો હડતાળમાં જોડાયા નથી અને રાબેતા મુજબ રિક્ષા સેવા ચાલુ જોવા મળી રહી છે. બીજી તરફ, સાબરમતી રેલવે સ્ટેશન પર કેટલાક રિક્ષાચાલકો પેસેન્જરો પાસેથી ચાર ગણું ભાડું વસૂલતા હોવાની ફરિયાદો સામે આવી છે. પેસેન્જરોને હેરાનગતિ ન થાય તે માટે પોલીસે વિવિધ સ્થળોએ પોલીસ પોઈન્ટ ગોઠવીને દેખરેખ વધારી છે. અગાઉ હડતાળના પ્રથમ દિવસે પેસેન્જરોને હેરાન કરતા 13 રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરમાં રિક્ષા સેવા અને મુસાફરોની સુવિધાને લઈને પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે
અમદાવાદમાં તહેવારોના સમયગાળા વચ્ચે AMCના ફૂડ વિભાગે ખાદ્ય પદાર્થો સામે મોટી કાર્યવાહી કરી છે. માધુપુરાના મહાવીર ઘી ભંડારમાંથી 1,140 કિલો ઘીનો જથ્થો સ્થગિત કરાયો છે, જ્યારે રામસન્સ અને નોવા ઘીના સેમ્પલ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. વટવા, વેજલપુર અને ચાંદલોડિયામાં કાર્યવાહી કરીને કુલ 3 એકમ સીલ કરવામાં આવ્યા છે. વટવાના એમ.એમ. ફૂડ પ્રોડક્ટ્સમાંથી લાઇસન્સ વગર અને અસ્વચ્છ સ્થિતિમાં ઉત્પાદિત 2,516 કિલો સોસ, ચટણી અને કોર્ન ફ્લોરનો જથ્થો અટકાવાયો છે. વેજલપુરના શ્રી માતેશ્વરી ચવાણા એન્ડ સ્વીટ માર્ટમાં નમકીનમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરનો ઉપયોગ સામે આવતા 150 કિલો નમકીન જપ્ત કરાયું છે. ચાંદલોડિયાના ગુજરાત ફ્રાય સેન્ટર સામે પણ લાઇસન્સ વગર અને અસ્વચ્છ સ્થિતિમાં ખાદ્ય વ્યવસાય કરવા બદલ કાર્યવાહી કરાઈ છે. સમગ્ર કાર્યવાહીમાં કુલ 3,806 કિલો ખાદ્ય જથ્થો વેચાણથી અટકાવવામાં આવ્યો છે, જેની કિંમત રૂ.9.22 લાખ હોવાનું સામે આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ બપોરે 12 વાગ્યે વડોદરા એરપોર્ટ પર પહોંચશે અને બપોરે 12થી 1:15 વાગ્યા સુધી કાર્યક્રમ સ્થળે હાજરી આપશે. ત્યારબાદ બપોરે 2 વાગ્યે નવસારી પહોંચશે, જ્યાં બપોરે 2:45થી 4 વાગ્યા સુધી ‘નમો કમલમ્’ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રવાસ પૂર્ણ કરીને સાંજે 4:30 વાગ્યે સુરત એરપોર્ટથી મુંબઈ જવા રવાના થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ વડોદરા અને નવસારીના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડોદરામાં PM મોદી ₹35 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે. આ ઉપરાંત વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદઘાટન તેમજ નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ કરશે. નવસારીમાં જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ્’નું ઉદઘાટન પણ વડાપ્રધાન કરશે. જ્યારે વડોદરામાં PM મોદી GEN Z સાથે સંવાદ કરીને યુવાનો સાથે સીધી વાતચીત કરશે.
આજે 08 સપ્ટેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:34 am, Tue, 8 September 26