આજની મહત્વપૂર્ણ ખબરોની વાત કરીએ તો આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે, જ્યારે ખાદ્ય વસ્તુઓમાંથી જીવાત નીકળવાનો ક્રમ યથાવત છે અને ભુજમાં મોલમાંથી ખરીદેલી કેકમાંથી જીવાત નીકળતા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવ્યુ છે. આ તરફ સહકાર દિવસે મહાત્મા મંદિર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયુ છે. જેમા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ ખાસ હાજરી આપશે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવશે અને કોંગ્રેસના કાર્યકરોને મળશે. અમદાવાદમાં 7મી જૂલાઈએ ભગવાન જગ્ન્નાથજીની 147મી રથયાત્રા નીકળશે ત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામ મામાના ઘરેથી નિજ મંદિર પરત ફર્યા છે. મંદિરે પરત ફરતા આજે નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાના કેસમાં દોષિતની સજાની માફીની અરજી પર નિર્ણય લેવા રાજ્ય સરકારને નિર્દેશ આપવાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને ઉજ્જવલ ભૂયણની બેન્ચે એ હકીકતની નોંધ લીધી હતી કે તેમની અરજી 3 સપ્ટેમ્બર, 2024ના રોજ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સુનાવણી માટે આવી રહી છે અને તેમને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા છે.
કચ્છના નાવિનાર ગામની ગૌચરની જમીન સરકાર દ્વારા અન્ય હેતુ માટે આપવાનો મામલે ગુજરાત હાઇકોર્ટેનો મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે, ગૌચરની જમીન સરકારની નથી, લોકો તેના માલિક છે, અદાણીને આપેલી જમીન લોકોને પરત આપો. રાજ્ય સરકારે 231 એકર જમીન SEZ પાસેથી પરત લેવા કોર્ટ સમક્ષ કર્યો ઠરાવ. ગૌચરની જમીન તમે કેવી રીતે અન્ય હેતુ માટે આપી શકો, ગૌચરની જમીન આપો તો સામે વૈકલ્પિક ગૌચરની જમીન હોવી જોઈએ તેવું કોર્ટે કર્યું હતું અવલોકન.
રાજ્ય સરકારે 6-7 કિ.મી. દૂર વૈકલ્પિક ગૌચરની જમીન આપવાનું કહેતા હાઈકોર્ટે કાઢી હતી ઝાટકણી. પશુપાલકો ચાલીને 6-7 કિમી પશુઓને લઈને ત્યાં જશે ? હાઈકોર્ટે એવો પણ સવાલ કર્યો હતો. SEZ દ્વારા અરજીનો વિરોધ કરતા કોર્ટે કહ્યું કે, તમે સરકારનાં ઠરાવને અલગથી પડકારી શકો છો. મુંદ્રા તાલુકામાં મુંદ્રા પોર્ટ અને SEZ માટે ગામની ગૌચરની જમીન લઇને તેમને આપવામાં આવેલી વૈકલ્પિક જમીન સામે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી.
ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહેલા લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી, ગુજરાતની વિવિધ દુર્ઘટનામાં ભોગ બનેલા પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી શકે છે. ગુજરાતમાં મોરબી પુલ દુર્ઘટના, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિ કાંડ, સુરત તક્ષશિલા અગ્નિ કાંડ અને વડોદરા હરણી બોટ કાંડમાં ભોગ બનેલા પીડિત પરિવારો સાથે કરી શકે છે મુલાકાત. આ ઉપરાંત કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાની ઘટનામાં પોલીસ દ્વારા પકડવામાં આવેલા કોંગ્રેસના કાર્યકરોને મળવા પોલીસ સ્ટેશન જઈ શકે છે રાહુલ ગાંધી.
ભારતીય જનતા પાર્ટીએ આજે વિવિધ પ્રદેશના પ્રભારી અને સહ પ્રભારીના નામની જાહેરાત કરી છે. ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પંજાબના પ્રભારી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે ધારાસભ્ય દુષ્યંત પટેલને દાદરા નગર હવેલી અને દિવ દમણના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારે વધુ ત્રણ અધિકારીઓને સમય પૂર્વે જ સેવા નિવૃત કરી દીધા છે. રાજ્ય સરકારના નાણાં વિભાગ અંતર્ગતના નાયબ રાજ્ય વેરા કમિશનર વર્ગ 1 ના બે અધિકારીઓ ડી.પી.નેતા અને એસ.એચ. ગાંધીને તેમની સેવાઓમાંથી તાત્કાલિક અસરથી, આજરોજ તારીખ 5 જુલાઈ 2024 બપોર બાદ અપરિપક્વ નિવૃત એટલે કે premature retire કરવામાં આવ્યા છે. આ સિવાય, ગુજરાત વહીવટી સેવા સંવર્ગ GAS (સિનિયર સ્કેલ) અઘિકારી એસ જે પંડ્યાને પણ આજરોજ તા.5 જુલાઈ 2024 બપોર બાદ તાત્કાલિક અસરથી રાજ્ય સેવામાંથી જાહેર હિતમાં અપરિપક્વ નિવૃત કરવામાં આવ્યા છે.
રથયાત્રાને લઈને ટ્રાફિક પોલીસની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે મુસાફરને રેલવે મારફતે બહારગામ જવાનું હશે તેમણે રેલવે ટિકિટ બતાવીને પોલીસની વાનમાં બેસીને રેલવે સ્ટેશને પહોચાડવામાં આવશે. કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે મુસાફરો પોલીસની બે વાનનો ઉપયોગ કરી શકશે. એક પોલીસ વાન સારંગપુરથી રેલવે સ્ટેશને જશે અને બીજી પોલીસ વાન દરિયાપુરથી મુસાફરોને બેસાડી રેલવે સ્ટેશન પહોંચાડશે. ટ્રેનની ટીકીટ બતાવીને મુસાફર રેલવે સ્ટેશને પહોચવા માટે ફ્રી પોલીસ વાનનો ઉપયોગ કરી શકશે. કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં મુસાફરી કરનારને ટ્રાફિક પોલીસે અપીલ કરી છે કે વધુને વધુ લોકો મેટ્રો રેલનો ઉપયોગ કરે તે ઈચ્છનીય છે.
પીએમ મોદીએ યુકેના કીર સ્ટારરને તેમની ભવ્ય જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. લેબર પાર્ટીના નેતા કીર સ્ટારમેરે 412 બેઠકો સાથે બમ્પર જીત મેળવી હતી. પીએમ મોદીએ એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં પણ યુકેના ભારત સાથે વધુ સારા સંબંધો રહેશે.
Heartiest congratulations and best wishes to @Keir_Starmer on the remarkable victory in the UK general elections. I look forward to our positive and constructive collaboration to further strengthen the India-UK Comprehensive Strategic Partnership in all areas, fostering mutual…
— Narendra Modi (@narendramodi) July 5, 2024
ભાવનગરના મહુવામાં બે દિવસના વિરામ બાદ ફરી શહેરમાં વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારમાં વરસાદ વરસવાથી નીચાણવાળા વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જવા પામ્યા છે. હોસ્પિટલ રોડ, ભદ્રોડ ગેટ, બગીચા ચોક, ખાર જાપા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.
સોશિયલ મીડિયામાં આરાધ્ય દેવી માં બહુચર વિશે અભદ્ર વાણી વિલાસ કરતી પોસ્ટ વાયરલ કરનારની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર વિરૂદ્ધ ફરિયાદની કાર્યવાહી કરાઈ હતી. રાજકોટ જિલ્લાના મનસુખ રાઠોડ નામના શખ્શની ધરપકડ કરવામાં આવી છે. કડી પોલીસ મથકે ફરિયાદ કરાયા બાદ આરોપીની તુરંત ધરપકડ કરવામાં આવી છે. માં બહુચરના ભક્તોમાં અશોભનીય પોસ્ટને લઈ ભારે રોષ વ્યાપ્યો હતો. પકડાયેલા આરોપી વિરૂદ્ધ અગાઉ 6 ગુનાઓ નોંધાયેલ હતા. પ્રિહિબિશન, રાયોટિંગ, મારામારી સહિતના અલગ અલગ 6 ગુનાનો આરોપી છે.
ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીમાં બોલતા કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, કેરળમાં ભાજપે ખાતુ ખોલાવી નાખ્યું છે. ભાજપ ક્યાય પહોચે છે તો પૂર્ણ બહુમત મેળવી લે છે. દક્ષિણ ભારતમાં ભાજપ હજુ વધુ વિસ્તરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હજુ 20 વર્ષ દેશની સેવા કરવાની છે.
લોકસભાના વિશેષ સત્રમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કરેલા સંબોધન અંગે પિયુષ ગોયલે રાહુલનુ નામ લીધા વિના કહ્યું કે, રાષ્ટ્રપતિના સંબોધન પરના આભાર પ્રસ્તાવમાં એક બાળક બુદ્ધિના વ્યક્તિએ તેની બુદ્ધિનું પ્રદર્શન સસંદમાં કર્યું છે. તેઓ એ નથી સમજતા કે, દેશની જનતાએ તેમને ત્રીજી વખત હરાવ્યા છે. પરિવારવાદમાં તેઓ ખતમ થઈ ગયા છે. દેશના 13 રાજ્યમાં કોંગ્રેસનું ખાતું નથી ખોલી શક્યા. લોકસભાની ચૂંટણીની સાથેસાથે યોજાયેલ 4 રાજયની વિધાનસભાની ચૂંટણીમાં પણ નથી જીતી શક્યા.
આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોને પણ તેઓ મળવાના છે. અમદાવાદ ખાતે પીડિત પરિવારોને રાહુલ ગાંધી મળશે. આ અગાઉ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પરિવાર સાથે વાત કરી હતી.
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયુ છે. જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો અલર્ટ છે. અમદાવાદ, પાટણ, મહેસાણા, આણંદ અને વડોદરામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે. આ તરફ સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજકોટ, મોરબી અને અમરેલીમાં ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિલ સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની સંભાવના છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં રથયાત્રાના દિવસે હળવા અમીછાંટણા થવાની સંભાવના છે.
રાજકોટ: ત્રંબા ગામે વિદ્યાર્થીઓ અને વાલીઓએ રોડ રોકો આંદોલન કર્યુ. રાજકોટ- ભાવનગર હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. સ્કૂલમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ અને વર્ગખંડોની ઘટથી રોષ ફેલાયો છે. 2 વર્ષથી કુમારશાળા પાજી નાખી નવા વર્ગખંડો ન બનતા ગામલોકોમાં રોષ ફેલાયો છે. પ્રાથમિક શિક્ષણ અધિકારી અને DDOને અનેકવાર રજૂઆત કરવા છતા નિરાકરણ નહીં આવતા ગામલોકોએ રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો.
અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાની ઘટના બાદ પ્રભારી મુકુલ વાસનિક આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આવતીકાલે રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે છે આવવાના છે એ પહેલા વાસનિક આજે અમદાવાદ પહોંચ્યા છે. કોંગ્રેસ કાર્યાલય બહાર કરાયેલા પથ્થરમારાને વાસનિકે કાયરતાપૂર્ણ હુમલો ગણાવ્યો. વાસનિકે જણાવ્યુ કે લોકસભા ચૂંટણી બાદ ભાજપના કામ કરવામાં બદલાવ આવશે પરંતુ ભાજપની કાર્યપદ્ધતિમાં કોઈ બદલાવ થયો નથી. જ્યાંથી ગાંધીજીનો અહિંસાનો સંદેશ પુરી દુનિયામાં ગયો ત્યાં હિંસાની રાજનીતિ થઈ રહી છે. રાહુલ ગાંધીના ગુજરાત આવવા અંગે વાસનિકે જણાવ્યુ કે આજની બેઠકમાં રાહુલ ગાંધીના પ્રવાસની રૂપરેખા નક્કી થશે. વાસનિકે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા કે અમારા કાર્યાલય પર હુમલો કરનારાની ફરિયાદ લેવાઈ છે અને અમારી નથી લેવાઈ રહી. કોંગ્રેસની ફરિયાદ ન લેવી એ બાબત જ સ્પષ્ટ કરે છે કે સત્તાપક્ષ સાથ આપી રહ્યો છે. સત્તાધારી દળ કોંગ્રેસને દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
જુનાગઢ શહેરને વરસાદી પાણીથી ડૂબતું બચાવવા માટે તંત્રએ એવો ખેલ ખેલ્યો છે જેનાં કારણે ખેડૂતોમાં ભારોભાર આક્રોશ છે. વિલીંગ્ડન ડેમનુ પાણી જંગલમાંથી શહેર તરફ આવતું હતું તેને વહેણને ડાયવર્ટ કરતા જુનાગઢની આસપાસના છ ગામોમાં તારાજી સર્જાઇ છે. 5000 વીઘા જેટલી જમીન પાણીમાં ગરકાવ થઇ ગઇ છે. આ ગામોમાં પણ ઘેડ પંથક જેવી સ્થિતિ સર્જાઇ છે. જુનાગઢના 6 ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે આ વરસાદે સર્જેલી તારાજી નથી, પરંતુ માનવસર્જિત આફત છે. જુનાગઢ શહેરને પૂરના પ્રકોપથી બચાવવા માટે કુદરતી પાણીના વહેણને જંગલમાંથી ગામડાઓ તરફ વાળી દેવામાં આવતા જુનાગઢના છ ગામોમાં ભયાનક જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઇ છે અને ખેડૂતો આને માનવસર્જિત હોનારત કહી રહ્યા છે.
અમદાવાદમાં બોપલની ઈન્દ્રપ્રસ્થ શિવાન્તાની કન્સ્ટ્રક્શન સાઈટ પર આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કામગીરી કરી ચેકિંગ હાથ ધરાયુ . આ દરમિયાન સાઈટ પરથી મચ્છરના બ્રિડીંગ મળી આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં મનપાએ ઈન્દ્રપ્રસ્થ શિવાન્તાને 10 નોટિસ ફટકારી છે. અનેક નોટિસો બાદ પણ બેદરકારી દાખવતા આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યુ છે. સાઈટ પરથી ચેકિંગ દરમિયાન ડેન્ગ્યુ અને મેલેરિયાના બ્રિડીંગ મળ્યા છે.
સાળંગપુરમાં ચાલી રહેલી ભાજપ પ્રદેશ કારોબારીમાં CR પાટીલે મોટુ નિવેદન આપ્યુ છે. પાટીલે કહ્યુ પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરવા હાઈકમાન્ડને રજૂઆત કરી છે. હાઈ કમાન્ડને વિનંતિ કરી છે અને તમને પણ વિનંતિ કરું છું કે મને આ જવાબદારીમાંથી મુક્ત કરો અને અન્ય કોઈને જવાબદારી સોંપો જે બધાને સાથે રાખીને ચાલે. પાટીલે કહ્યુ આપણે નિર્ણય કર્યો હતો કે એક વ્યક્તિ એક હોદ્દો.
રાજકોટ: NEETની પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિરોધ થઈ રહ્યો છે. MBBSમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. GMERSમાં ગવર્મેન્ટ ક્વોટા તથા મેનેજમેન્ટ ક્વોટામાં ફી વધારા અંગે વિરોધ કરવામાં આવ્યો છે. “અમને ડૉક્ટર બનવા દો” ના સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો છે. સરકાર ફી વધારો પાછો ખેંચે તેવી વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગ છે.
દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના 50 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
નવસારીના ખેરગામમાં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વાંસદા અને વલસાડના કપરાડામાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડા અને કામરેજમાં પણ બે ઈંચ વરસાદ થયો છે. 12 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
મહેસાણા: બહુચર માતાજી વિશે અભદ્ર વાણી વિલાસનો કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર મનસુખ રાઠોડ નામના શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કડી પોલીસ મથકે આ ફરિયાદ નોંધાઈ છે. બહુચર માતાજી વિશે અભદ્ર નિવેદનનો વીડિયો સામે આવતા ભાવિકોમાં રોષ ફેલાયો છે.
સુરતમાં પાંડેસરામાં કન્સ્ટ્રક્શન સાઈટ પર કરંટ લાગતા યુવકનું મોત થયુ છે. તિરુપતિ સર્કલ પાસે આવેલી સાઈટ પર આ દુર્ઘટના સર્જાઈ હતી, રાતના સમયે કામ કરતા યુવકને કરંટ લાગતા મોત થયુ છે.
્બ્રિટનમાં 14 વર્ષ બાદ ફરી લેબર પાર્ટી સત્તા પર આવશે. આ ચૂંટણીમાં ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને મોટી પછડાટ મળી છે. અત્યાર સુધીમાં લેબર પાર્ટીને 346 તો કન્ઝર્વેટિવ પાર્ટીને 76 સીટ મળી છે, લેબર પાર્ટીના કેર સ્ટાર્મરનુ પીએમ બનવાનું નક્કી છે. સુનકે આવતીકાલે રાજીનામુ આપવાની જાહેરાત કરી છે.
અમદાવાદ: રથયાત્રા અગાઉ જગન્નાથ મંદિરે આજે નેત્રોત્સવની ઉજવણી થશે. પારંપરિક વિધિ અને મંત્રોચ્ચાર સાથે અનુષ્ઠાન કરાશે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની આંખો પર પાટા બાંધવામાં આવશે, કેરી અને જાંબુ ખાવાને કારણે ભગવાનને આંખો આવે છે તેવી માન્યતા છે. મામાના ઘેરથી પરત ફરેલી ભગવાનની ભગવાનની મૂર્તિઓનું રત્નવેદી પર આજે સ્થાપન કરવામાં આવશે. નિજ મંદિરમાં મૂર્તિઓના સ્થાપન બાદ નેત્રોત્સવની વિધિ કરવામાં આવશે. રથયાત્રાનું આમંત્રણ આપવા ગણેશજીના સ્વરૂપ ગજરાજનું પૂજન કરવામાં આવશે. સાધુ-સંતોને સન્માનિત કરાશે, મંદિરમાં ભંડારાનું આયોજન
સુરત: શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અઠવા લાઇન્સ, ઉધના, સચિન, પાંડેસરા, અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. ગઈકાલે છૂટાછવાયા વરસાદ બાદ આજે ધોધમાર વરસાદ પડ્યો. સુરત શહેરમાં મોડી રાતથી ફરી વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત થઈ છે.
હાથરસમાં સત્સંગમાં થયેલી ભાગદોડમાં 121થી વધુ લોકોના મોત થયા છે, આ મામલે હવે રાજનીતિ પણ ગરમાઈ છે. આજે રાહુલ ગાંધી હાથરસની મુલાકાતે છે અને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિજનોને મળ્યા હતા અને તેમને સાંત્વના પાઠવી હતી.
સુરતના બારડોલીમાં ફાયર વિભાગની બેધારી નીતિ સામે આવી છે. મોટા બાંધકામો પર આશીર્વાદ રાખી નાના દુકાનદારોને રંઝાડતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજકોટ ગેમ ઝોનની ઘટના બાદ વહીવટી તંત્ર ઊંઘમાંથી સફાળું જાગ્યું છે અને અરિહંત કોમ્પલેક્ષ તેમજ અનેક જગ્યાએ ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો. જ્યારકે ફાયર વિભાગ અલંકાર રોડ પર અરિહંત કોમ્પલેક્ષમાં કાર્યવાહી કરવા ગયું તો સ્થાનિકોએ ફાયર અધિકારીઓનો લીધો ઉધડો. જો કે ફાયરવિભાગના કર્મચારીઓએ પોલીસને સાથે રાખી દુકાનો સીલ કરતા ફાયરના કર્મીઓ અને દુકાનદારો વચ્ચે ઘર્ષણના દૃશ્યો સામે આવ્યા છે.
ભાવનગરના કુંભારવાડામાં રહેતા એક શખ્સે જ્વલનશીલ પદાર્થ છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનુ સામે આવ્યુ છે. શરીર પર આગ ચાંપીને શખ્સ બહાર આવતા આસપાસના લોકોએ 108ને ફોન કરીને જાણ કરી હતી. યુવકને તાત્કાલિક સર ટી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો કેમ કર્યો તેનુ કોઈ નક્કર કારણ જાણવા મળી શક્યુ નથી.
રાજ્યમાં ખાદ્યચીજોમાંથી જીવાત નીકળવાનો ક્રમ યથાવત છે. વધુ એક આ પ્રકારની ઘટના કચ્છના ભુજમાંથી સામે આવી છે. જ્યા મોલમાંથી ખરીદવામાં આવેલી કેકમાંથી જીવાત નીકળી છે. ઘટનાની જાણ થતા જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરી કાર્યવાહી કરી મોલમાંથી બિસ્કીટ-કેકના નમુના લીધા અને તપાસ અર્થે મોકલ્યા
મહીસાગર જિલ્લાના ખાનપુર, લુણાવાડા, બાલાસિનોરમાં ગઇકાલે મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતા ઓછી થઈ છે. વીરપુર, કડાણા, સંતરામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો.
ગાંધીનગર: આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની ઉજવણી કરવામાં આવનાર છે. આ નિમીત્તે મહાત્મા મંદિરમાં યોજાશે રાષ્ટ્રીય કક્ષાનો ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાશે. જેને લઈને તૈયારીઓની રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ સમીક્ષા કરી હતી.
ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી અને GSCના ચેરમેન અજય પટેલ પણ હાજર રહ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમા સૌથી વધારે બનાસકાંઠાના દાંતામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો જ્યારે વડગામમાં 4 ઈંચ વરસાદ, મહીસાગરના કડાણામાં 3.6 ઈંચ વરસાદ, પંચમહાલના શહેરામાં 3 ઈંચ, તિલકવાડામાં 2.6 ઈંચ વરસાદ, ખાનપુર, કઠલાલ, ગલતેશ્વર, પાલનપુર, કુકરમુંડામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.
Published On - 8:31 am, Fri, 5 July 24