મહિસાગર જિલ્લામાં 6 દિવસના નવજાત બાળકને જંગલમાં ત્યજી દેવાના ચકચારી કેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં બાળકની માતાને શોધી કાઢી છે. તપાસ દરમિયાન મહિલાએ જ નવજાતને જંગલમાં ત્યજી દીધો હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મહિલાએ રાજસ્થાનના ડુંગરપુરમાં બાળકને જન્મ આપ્યો હતો. વિવિધ ટીમોની સઘન તપાસ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે નવજાતની માતા સુધી પહોંચી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર જિલ્લાના કાલાવડ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી છે. ટોડાં ગામની સ્થાનિક નદીમાં પૂર આવતાં ગામ નજીક આવેલા ડાયવર્ઝનનું ધોવાણ થઈ ગયું છે. ડાયવર્ઝન ધોવાઈ જતાં કાલાવડ-ધોરાજી હાઈવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો છે. હાઈવેના બંને છેડે અનેક વાહનો અટવાઈ ગયા છે, જ્યારે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
નવી મુંબઈમાં ધોધમાર વરસાદ વચ્ચે હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. સ્કૂલેથી ઘરે પરત ફરી રહેલી બે વિદ્યાર્થીનીઓનું વરસાદી પાણીમાં કરંટ લાગતાં મોત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ વરસાદી પાણીમાં જીવતો વીજ વાયર પડી જતાં તેમાં કરંટ પ્રસરી ગયો હતો અને બંને છોકરીઓ તેના સંપર્કમાં આવતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે, જ્યારે વીજ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે.
ગીરસોમનાથ જિલ્લામાં અવિરત મેઘસવારીનો માહોલ યથાવત રહ્યો છે. સમગ્ર જિલ્લામાં ધીમીધારે સાર્વત્રિક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વેરાવળમાં છેલ્લા 24 કલાક દરમિયાન 3 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સૂત્રાપાડામાં માત્ર 2 કલાકમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત કોડિનાર, ઉના, ગીર-ગઢડા અને તાલાલા પંથકમાં પણ મેઘમહેર જોવા મળી છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે અને ખેતીના પાકોને પણ ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આજે 02 જુલાઇને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:42 am, Thu, 2 July 26