લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. બીજી તરફ ગુજરાતમાં ત્રીજા તબક્કા માટે પ્રચાર પ્રસાર થઇ રહ્યા છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં અમિત શાહનો મેગા રોડ-શો યોજાશે. તો રોડ શોની પૂર્વ સંધ્યાએ ઘાટલોડિયામાં યોજાઇ પદયાત્રા, તો શુક્રવારે અમિત શાહ ઉમેદવારી નોંધાવશે. ભરૂચમાં AAP ઉમેદવાર ચૈતર વસાવાનું ભવ્ય શક્તિ પ્રદર્શન જોવા મળ્યુ. જેમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન પણ જોડાયા હતા. પરશોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે હવે પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ પર નિશાન સાધ્યું. કોંગ્રેસને સમર્થનની વાત સામે સવાલ કર્યા અને કહ્યું, સમિતિ ગેરમાર્ગે દોરે છે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો…
આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. EDએ વક્ફ બોર્ડ નિમણૂક કૌભાંડના આરોપમાં ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ કરી છે. આ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે અમાનતુલ્લા ખાનની લગભગ સાડા નવ કલાક સુધી પૂછપરછ કરી હતી. અમાનતુલ્લા ખાન પર દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે 32 લોકોની ગેરકાયદે ભરતી કરવાનો આરોપ હતો. તેમના પર વક્ફ બોર્ડની મિલકતો ભાડે આપવા અને વક્ફ બોર્ડના ભંડોળનો દુરુપયોગ કરવાનો પણ આરોપ હતો.
આસામના મોરીગાંવ જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન સાંસદ પ્રદ્યુત બોરદોલોઈના બે કામચલાઉ ચૂંટણી પ્રચાર કાર્યાલયોને કથિત રીતે અજ્ઞાત લોકો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે FIR નોંધીને તપાસ શરૂ કરી છે.
સુરત શહેરના પોલીસ કમિશનરનો હોદ્દો સંભાળ્યા બાદ અનુપમ સિંહ ગેહલોતે ગુનેગારો સામે સપાટો બોલાવ્યો છે. એક જ દિવસમાં 17 હિસ્ટ્રી શીટરો ને પાસા કરાઈ છે. આ આરોપીઓમાં ચોરી, ઘાડ, લૂંટ સહિતના વિવિધ ગુનાઓ આચરતા ગુનેગારોને પાસા કરાઈ છે. સુરત શહેરમાં લાંબા સમયથી કોઈ આરોપીને પાસા થઈ નહોતી. છેલ્લે 30 જાન્યુઆરીએ પાસા થઈ હતી. જ્યારે 25 આરોપીઓ વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના મેગા રોડ શોનો પ્રારંભ થયો છે. રાણીપમાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી રોડ શોની શરૂઆત કરાઈ છે. રાણીપથી શરૂ થઈ વેજલપુર સુધી યોજાશે રોડ શો, ત્યાર બાદ વેજલપુરમાં જાહેર સભાને સંબોધશે. આ રોડ શો, સાબરમતી વિધાનસભા મતવિસ્તારમાં આવતા રાણીપમાં સરદાર પટેલ ચોકથી શરૂ થઈ નારણપુરાના કેકે નગર, વાળીનાથ ચોક થઈને વેજલપુર વિધાનસભા મતવિસ્તારના જીવરાજપાર્ક ચાર રસ્તા સુધીનો રોડ શો હશે. અમિત શાહ સાથે સીએમ ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ રોડ શોમાં જોડાયા છે.
DRDO એ ઓડિશાના દરિયાકાંઠે ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR), ચાંદીપુરથી સ્વદેશી ટેક્નોલોજી ક્રૂઝ મિસાઈલ (ITCM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. પરીક્ષણ દરમિયાન તમામ સબસિસ્ટમ્સ અપેક્ષિત છે. પરીક્ષણને સફળ માનવામાં આવે છે.
લોકસભાની નવસારી બેઠક પરથી ઉમેદવારીપત્ર નોંધાવવા મોટી સંખ્યામાં ટેકેદારો, કાર્યકરો, શુભેચ્છકો સાથે નીકળેલા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ, વિજય મુહુર્ત ચુકી ગયા હતા. આથી હવે સી આર પાટીલ 18મી એપ્રિલને બદલે, આવતીકાલ 19મી એપ્રિલના રોજ ઉમેદવારી નોંધાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલ 19મી એપ્રિલના રોજ, ગાંધીનગર મતવિસ્તારમાંથી અમિત શાહ પણ ઉમેદવારી નોંધાવવાના છે.
ચૂંટણી પૂર્વે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ હોદ્દેદાર અને આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવિયાએ પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધુ છે.
કચ્છના ખાવડા નજીક ભૂકંપનો ઝટકો અનુભવાયો છે. 1.36 મિનિટે 3.8 ની તીવ્રતાનો ઝટકો નોંધાયો છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ખાવડાથી 30 કિ.મી નોર્થ વેસ્ટ દુર હોવાનું સામે આવ્યુ છે.
અમદાવાદના દસક્રોઇ તાલુકાના કુબડથલ ગામે લાગી ભયંકર આગ લાગી છે. PVC પાઇપ બનાવતી દેવ ફેક્ટરીમાં આગ લાગી છે. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ઘટનાની જાણ થતા ઓઢવના 2 ફાયર ફાઇટર સ્થળ પર જવા રવાના થયા છે. નિકોલથી પણ 2 ગજરાજ ઘટનાસ્થળે રવાના થયા છે.
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી છે. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં રાજ કુન્દ્રા વિરુદ્ધ કાર્યવાહી કરીને મોટું પગલું ભર્યું છે. EDએ શિલ્પા અને રાજની 97 કરોડ 79 લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં શિલ્પા શેટ્ટીનો જુહુ ફ્લેટ સહિત EDએ પુણેનો બંગલો અને ઈક્વિટી શેર પણ જપ્ત કર્યા છે.
ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ ભરતી મેળો જોવા મળી રહ્યો છે. રૂપાલાના નિવેદનથી નારાજ મહેસાણાના ક્ષત્રિય આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. વિજાપુર પેટા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલની સભામાં કોંગ્રેસમાં જોડાયા છે. વિજાપુરના ડાભલા વિસ્તારના ક્ષત્રિય આગેવાનો અને યુવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે.
વલસાડના વેલવાચ ગામે ગરમીને કારણે મરઘાના મોત થયા છે. અસહ્ય ગરમીને કારણે 800 થી 1000 મરઘાના મોત થયા છે. હેલ્થ વિભાગે ઘટનાને લઇને કામગીરી શરૂ કરી છે.
18 એપ્રિલે ભારતીય સૂચકાંકો સકારાત્મક વલણ સાથે ખુલ્યા હતા. નિફ્ટી 22,200ની ઉપર રહ્યો હતો. સેન્સેક્સ 271.72 પોઈન્ટ અથવા 0.37 ટકા વધીને 73,215.40 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 104.60 પોઈન્ટ અથવા 0.47 ટકા વધીને 22,252.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો. માર્કેટ ડેબ્યૂમાં લગભગ 1843 શેરો વધ્યા. જ્યારે 432 શેર ઘટ્યા હતા. જ્યારે 118 શેર યથાવત રહ્યા હતા. પાવર ગ્રીડ કોર્પ, બીપીસીએલ, એચડીએફસી લાઇફ, ટાટા સ્ટીલ અને અદાણી પોર્ટ્સ નિફ્ટીમાં મુખ્ય ગેનર હતા. જ્યારે નેસ્લે, એચસીએલ ટેક્નોલોજીસ, એક્સિસ બેંક, એપોલો હોસ્પિટલ અને સન ફાર્માના શેરો મોટા પ્રમાણમાં ઘટ્યા હતા.
ગુજરાતમાં રેકોર્ડ બ્રેક કાળઝાળ ગરમી પડી રહી છે. પાંચ શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમરેલીમાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં સામાન્ય કરતા 2.6 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 43.8, વડોદરામાં 43.6 ડિગ્રી મહત્તમ તાપમાન, સુરેન્દ્રનગરમાં 43.4, અમદાવાદમાં 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
નવસારી લોકસભા બેઠક પરથી સી.આર.પાટીલ આજે ચૂંટણી ફોર્મ ભરશે. વાજતે ગાજતે શક્તિ પ્રદર્શન સાથે પાટીલ પોતાની ઉમેદવારી નોંધાવશે. પાટીલની ઉમેદવારી જરાય કચાસ ન રહે તે માટે જિલ્લા ભાજપ દ્વારા તનતોડ પ્રયાસો કરવામાં આવ્યા. ઉલ્લેખનિય છે કે નવસારી લોકસભા બેઠકમાં સુરતની ચાર અને નવસારીની 3 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, ત્યારે પાટીલની ઉમેદવારી રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાશે.
લોકસભાની ચૂંટણી માટે આવતીકાલે પ્રથમ તબક્કાનુ મતદાન થશે. 21 રાજ્યની 102 બેઠક પર આવતીકાલે મતદાન થશે. પ્રથમ તબક્કામાં 102 બેઠક પર 1625 ઉમેદવારો મેદાનમાં છે.
ભાવનગરના માઢીયા રોડ પર જૂથ અથડામણની ઘટના સામે આવી છે. રૂપિયાની લેવડદેવડ મામલે બે જૂથ આમને સામને આવી ગયા હતા. જૂથ અથડામણને પગલે 2 લોકોને ઇજાગ્રસ્ત થયા છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
જૂનાગઢના ચોરવાડ ખાતે રામ નવમીના દિવસે કૉંગ્રેસના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ થયો છે. દેવીના ઉપાસકો ભુવા આતાઓના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું છે.
ચોરવાડના લીમડા ચોક ખાતે કાર્યાલય શરુ કરાયું. જૂનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર હીરા જોટવા હાજર રહ્યાં હતા. ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા હાજર રહ્યા હતા.
જો અમિત શાહના આજના રોડ શોના રૂટની વાત કરીએ તો સાણંદના APMC સર્કલથી રોડ શોની શરૂઆત થશે. ત્યારબાદ સાણંદ તાલુકા પંચાયત કચેરી થઇને ડો બાબાસાહેબ આંબેડકર પ્રતિમા સુધી રોડ શો આગળ વધશે. સાણંદ બસ સ્ટેન્ડ પછી સાણંદ-નળ સરોવર ચોકડી પાસે રોડ શોનું સમાપન થશે.
ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 19 એપ્રિલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના છે પણ તે પહેલા આજે તે 6 વિધાનસભા બેઠકોને આવરી લેતો મેરેથોન રોડ શો કરશે. સાણંદથી રોડ શૉ ની શરૂઆત થશે ત્યારબાદ કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને છેલ્લે વેજલપુરમાં રોડ શો યોજાશે. વેજલપુરમાં રોડ શો ના સમાપન બાદ અમિત શાહ જાહેરસભાને પણ સંબોધિત કરશે.
Published On - 7:17 am, Thu, 18 April 24