સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા બંને આરોપી સકંજામાં આવી ગયા છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતના ભુજમાંથી બંનેને દબોચ્યા છે. આજે મુંબઇ લાવીને બંનેની પૂછપરછ થશે. બીજી તરફ ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનનો અંત લાવવાનો પ્રયાસ નિષ્ફળ જતો જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય આગેવાનોની CMના નિવાસસ્થાને બેઠક કરી, તો રૂપાલાએ રાજસ્થાનના રાજવી પરિવાર સાથે મુલાકાત કરી હતી. લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે ભાજપ કોંગ્રેસના 25 જેટલા ઉમેદવારો નામાંકન ભર્યા. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો…
સુરેન્દ્રનગરના ખેરાળી નજીક આવેલી નર્મદા કેનાલમાં એક ટ્રેક્ટર ખાબકતા, તેમા સવાર પતિ-પત્નીના મોત થયા છે. ખેતરેથી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ટ્રેકટરનું સ્ટીયરિગ લોક થઈ જવા પામ્યું હતું. જેના પગલે ટ્રેકટર કેનાલમાં ખાબક્યું હતું. બનાવની જાણ થતા, નર્મદા વિભાગ દ્વારા કેનાલમાં તાત્કાલિક પાણી બંધ કરવામાં આવ્યું હતું. સ્થાનિક તરવૈયાની મદદથી બન્નેની ડેડબોડીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં મંગળવારે એક મોટી નક્સલવાદી અથડામણ થવા પામી હતી. આ એન્કાઉન્ટરમાં 29 નક્સલવાદીઓ માર્યા ગયા છે જ્યારે ત્રણ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘટના સ્થળેથી નક્સલીઓ પાસેથી AK-47 અને LMG જેવા ઓટોમેટિક હથિયારો મળી આવ્યા છે. એન્કાઉન્ટર બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
ભરૂચ લોકસભા મતવિસ્તારના આપના ઉમેદવાર અને આપના ધારાસભ્ય ચૈતર વસાવાને 6 મહિના બાદ ડેડીયાપાડા વિધાનસભા વિસ્તારમાં પ્રવેશની હાઇકોર્ટે શરતી મંજૂરી આપી છે. દેવમોગરા માતાના દર્શન કરીને ભરૂચ કલેક્ટર ઓફીસ ખાતે ઉમેદવારી પત્ર ભરવા જશે. 19 તારીખ થી ડેડીયાપાડા વિધાનસભામાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે. અત્યાર સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી હતી જે હવે કોર્ટે શરતોને આધીન દૂર થઈ છે. અત્યાર સુધી તેમના ધર્મ પત્ની પ્રચાર કરતા હતા હવે ચૈતર વસાવા જાતે ડેડીયાપાડા વિધાનસભામાં પ્રચાર કરશે.
ભાવનગર શહેરમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય સામે ક્ષત્રિય સમાજે વિરોધ કરી પૂતળાનું દહન કર્યું હતું. ક્ષત્રિય સમાજે વિરોધની રણનીતિ બદલીને ભાજપ કાર્યાલય સામે વિરોધ કર્યો હતો. ક્ષત્રિય સમાજના 50 થી વધુ યુવાનો દ્વારા ઉગ્ર સૂત્રોચાર સાથે પૂતળાદહન કરીને પરશોત્તમ રુપાલાનો વિરોધ કરાયો હતો.
હેમા માલિની પર અયોગ્ય ટિપ્પણીના મામલામાં ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે સુરજેવાલાને આજે સાંજે 6 વાગ્યાથી આગામી 48 કલાક માટે રેલીઓ અને જાહેર સભાઓને સંબોધવા પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રચાર પ્રતિબંધના આ સમયગાળા દરમિયાન તેઓ કોઈપણ પ્રકારની જાહેર સભા, રોડ શો, ઈન્ટરવ્યુ કે જાહેર નિવેદન આપી શકશે નહીં.
બિહારની 40 બેઠકોમાંથી મોટાભાગની બેઠકો પર એનડીએ આગળ રહેવાની ધારણા છે. અહીં સર્વેમાં NDAને 31 બેઠકો મળતી જોવા મળી રહી છે, જ્યારે ઈન્ડિ એલાયન્સને 8 બેઠકો મળવાની સંભાવના છે અને 1 અન્ય પક્ષ બેઠક જીતી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે, બિહારની પૂર્ણિયા સીટ અપક્ષના ખાતામાં જતી દેખાઈ રહી છે. એટલે કે પપ્પુ યાદવ અહીંથી જીતતા દેખાય છે. સૌથી મોટી વાત એ છે કે સર્વેમાં લાલુની બંને દીકરીઓ બિહારમાં હારતી જોવા મળી રહી છે. જો વોટ ટકાવારીની વાત કરીએ તો NDAને અહીં લગભગ 41.88 ટકા વોટ મળી શકે છે.
પંજાબમાં 13 સીટોના સર્વેમાં આમ આદમી પાર્ટી વધુમાં વધુ 8 સીટો જીતી શકે છે, અહીં ભાજપની બેઠકોમાં વધારો થઈ શકે છે. અહીં ભારતીય જનતા પાર્ટી 4 સીટો જીતી શકે છે. જ્યારે કોંગ્રેસની અહીં પણ ક્લીન સ્વીપ જોવા મળી રહ્યી છે. શિરોમણી અકાલી દળ એક બેઠક જીતી શકે તેમ છે. ખાસ વાત એ છે કે, જલંધર બેઠક પરથી બીજેપી જીતતી દેખાઈ રહી છે, અહીં કોંગ્રેસે પૂર્વ મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્નીને પોતાનો ઉમેદવાર બનાવ્યા છે.
રાજસ્થાનની 25 લોકસભા બેઠકોના સર્વેમાં 19 લોકસભા બેઠક ભાજપના ખાતામાં જઈ રહી છે, 2 બેઠક કોંગ્રેસના ખાતામાં, જ્યારે 01 RLTPના ખાતામાં અને 1 CPIના ખાતામાં, 1 BAPના ખાતામાં અને એક લોકસભા બેઠક અન્યના ખાતામાં જઈ શકે છે.
ગત વખતે અહીં ભાજપે 24 બેઠકો જીતી હતી. સર્વે અનુસાર આ વખતે એનડીએને 48.59 ટકા વોટ શેર મળી શકે છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સને 39.19 ટકા વોટ શેર મળી શકે છે. જો અહીં મોટી બેઠકોની વાત કરીએ તો ગંગાનગરથી ભાજપ જીતી શકે છે, જ્યારે દૌસાથી કોંગ્રેસ પ્રભુત્વ મેળવી શકે છે.
ઉદયપુર ભાજપના ખાતામાં આવી શકે છે, સીકર સીપીઆઈ(એમ) જીતી શકે છે, કોટા પર ભાજપનો કબજો થઈ શકે છે જ્યારે જોધપુર સીટ કોંગ્રેસ કબજે કરી શકે છે. ખાસ વાત એ છે કે અશોક ગેહલોતનો પુત્ર જાલોનથી હારી શકે છે.
TV9, Peoples Insight, Polstrat ના સર્વેમાં ગુજરાત અને મધ્યપ્રદેશમાં વિપક્ષની સ્પષ્ટ હાર જોવા મળી રહી છે. આમાં NDA એટલે કે BJP ગુજરાતની તમામે તમામ 26 બેઠકો ઉપર જીત મેળવતી જણાય છે. ભાજપ ત્રીજીવાર ગુજરાતમાંથી 26 બેઠકો પર વિજય થઈ શકે છે. મધ્યપ્રદેશની તમામ 29 બેઠકો જીતતી દેખાઈ રહી છે. વિપક્ષને અહીં કોઈ તક મળે તેમ લાગતું નથી.
બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર આરોપીઓના 25 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. મુંબઈની કિલ્લા કોર્ટમાં આરોપીઓને હાજર કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓના રિમાન્ડ માગતા કોર્ટે 25 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
બનાસકાંઠાના અંબાજી મંદિરે દર્શન કરવા આવેલા ભક્તે દુકાનદાર પાસેથી પૂજાનો સામાન, ચાંદીનો સિક્કાની ખરીદી કરી હતી. વેપારીએ ભક્ત પાસેથી મોટુ મસ બિલ લઈને નકલી ચાંદીનો સિક્કો પધરાવી દીધો હતો. મંદિરના પ્રવેશ દ્વાર નજીક ચકાસણી કરતા ભક્તને ખબર પડી કે તેની સાથે વેપારીએ છેતરપિંડી કરી છે. જેના પગલે વેપારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
બનાસકાંઠાના અંબાજીમાં સફાઇ કામદારો માટે 10 બાઉન્સર તૈનાત કરાયા છે. જેમાં 5 મહિલા અને 5 પુરૂષ બાઉન્સરો છે. થોડા દિવસ પહેલા જ સફાઇ કામદારો પર હુમલો થયો હતો. હુમલો પણ જૂના સફાઇ કામદારોએ કર્યો હતો. વિસ્તારપૂર્વક વાત કરીએ તો અંબાજીમાં સફાઇ માટેનો જૂનો કોન્ટ્રાક્ટ રદ કરાયો હતો.જેના કારણે જૂના સફાઇ કામદારો પણ છૂટા થયા હતા.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ 2023 ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. UPSC CSEનું પરિણામ મંગળવારે જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું છે, જ્યારે અનિમેષ પ્રધાન બીજા ક્રમે રહ્યો છે. આ પછી, ત્રીજો રેન્ક અનન્યા રેડ્ડીએ અને ચોથો રેન્ક પીકે સિદ્ધાર્થ રામકુમારે હાંસલ કર્યો છે. રૂહાની પાંચમા સ્થાને છે. UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા ગત વર્ષે 28 મેના રોજ લેવામાં આવી હતી.
ભરૂચ શહેરમાં વહેલી સવારથી છવાયેલા વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ ખાબક્યો છે. અસહ્ય ગરમી બાદ કમોસમી વરસાદ ખાબક્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.
ભાવનગરના પાલિતાણામાં દીપડાના હુમલામાં મહિલાનું મોત થયુ છે. આદપુરમાં વહેલી સવારે દીપડાએ મહિલા પર હુમલો કર્યો હતો. મહિલાને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે ખસેડાઇ હતી. સારવાર દરમિયાન તેનું મોત થયુ છે. દીપડાના વધતા હુમલાને લઇ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભાવનગરના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાનો ક્ષત્રિયોએ વિરોધ કર્યો છે. નામાંકન ભરતા પહેલાની સભામાં જ ક્ષત્રિય સમાજે વિરોધ દર્શાવ્યો હતો. મનસુખ માંડવીયાના ભાષણમાં ક્ષત્રિય સમાજના યુવાનો સભા સ્થળે પહોચ્યા હતા. ક્ષત્રિય સમાજે સભા સ્થળે આવીને રૂપાલા વિરુદ્ધ નારા લગાવ્યા હતા. જે પછી ભાજપને થોડી વાર માટે સભા રોકવાની ફરજ પડી હતી. પોલીસનો કાફલો મોટી સંખ્યામાં પહોચ્યો હતો. તમામ ક્ષત્રિય સમાજના યુવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.
સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ચલથાણ કેનાલ રોડ પર ચપ્પુના ઘા ઝીંકી વ્યક્તિની હત્યા થઇ છે. અજાણ્યા શખ્સો હત્યા કરીને ફરાર થયાના અહેવાલ સામે આવ્યા છે. ડિંડોલી પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. મૃતક વ્યક્તિની ઓળખ કરવા તપાસ હાથ ધરાઇ છે.
રાજકોટ લોકસભા બેઠક માટે ભાજપમાંથી પરશોત્તમ રુપાલા આજે ઉમેદવારી નોંધાવાના છે. જો કે ઉમેદવારી નોંધવતા પહેલા તેમણે રાજકોટમાં વિશાળ રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યુ છે.સાથે જ રાજકોટના બહુમાળી ચોકમાં સભાને પણ સંબોધી છે.જેમાં તેમણે ક્ષત્રિય સમાજને સાથ અને સહકાર આપવા કહ્યુ હતુ.
દ્વારકાના રૂપેણ બંદર પાસે દરિયા કાંઠે ચરસ ઝડપાયું છે. સુરક્ષા એજન્સીએ 987 ગ્રામ ચરસ જપ્ત કર્યું છે. બિનવારસી હાલત પડેલા બોક્સમાંથી ચરસ ઝડપાયું છે. વરવાળા પાસેની હોટલ સ્કાય કમ્ફર્ટ બીચ સામેથી ચરસ જપ્ત કરવામાં આવ્યો છે. ઝડપાયેલા ચરસની કિંમત અંદાજિત 44.85 લાખ રુપિયા છે. સમગ્ર મામલે સુરક્ષા એજન્સીએ તપાસ હાથ ધરી છે.
ભારતીય બજારોમાં આજે ફરી ઈરાન-ઈઝરાયેલ તણાવ જોવા મળ્યો હતો. ભારતીય સૂચકાંકો લાલ નિશાનમાં ખુલ્યા છે. બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટીએ પણ લગભગ 150 પોઈન્ટનું નુકસાન દર્શાવ્યું હતું. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં 0.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી ફાયનાન્સિયલ સર્વિસે 0.77 ટકાની નબળાઈ દર્શાવી હતી. જ્યારે નિફ્ટી પીએસયુ બેન્કમાં 0.77 ટકા અને નિફ્ટી સીપીએસઇ ઇન્ડેક્સમાં 0.67 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
2024ના ચોમાસા અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જૂનથી દેશમાં ચોમાસાની શરૂઆત થશે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે આ વખતે ચોમાસુ સામાન્ય કરતા વધુ સારું રહી શકે છે. દેશમાં સરેરાશ 106 ટકા વરસાદ વરસવાનું અનુમાન છે.
ભાજપ અનેક ઉમેદવાર આજે ફોર્મ ભરવાના છે. ઘણા દિવસથી ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજકોટથી પરશોત્તમ રૂપાલા આજે ઉમેદવારી નોંધાવાના છે. ખેડાથી દેવુસિંહ તો બનાસકાંઠાથી રેખા ચૌધરી ફોર્મ ભરશે. વડોદરાથી હેમાંગ જોશી, તો સુરતથી મુકેશ દલાલ ઉમેદવારી નોંધાવશે. અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા, જૂનાગઢથી રાજેશ ચુડાસમાની ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ઉમેદવાર શક્તિ પ્રદર્શન કરશે.
ગાંધીનગરમાં ક્ષત્રિય સંકલન સમિતિ અને સરકાર વચ્ચેની વધુ એક બેઠક નિષ્ફળ રહી છે. સમાધાનની ચર્ચા છતા બેઠકમાં ઉકેલ આવ્યો નથી. ક્ષત્રિય આગેવાનો પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ પર અડગ જોવા મળ્યો છે. ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનોને પણ આ બેઠકમાં આવવા માટેનુ આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.જો કે મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં ક્ષત્રિયો હાજર જ રહ્યા ન હતા. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહપ્રધાન હર્ષ સંઘવી હાજર હતા.જો કે વચગાળાનો રસ્તો કાઢવાની ભાજપના નેતાઓની માંગણી નામંજૂર થઇ છે.
આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં હોસ્ટેલમાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ પકડાયા છે. હોસ્ટેલના રૂમમાંથી દારૂની મહેફિલ માણતા 8 વિદ્યાર્થી ઝડપાયા છે. તમામ વિદ્યાર્થીઓ આણંદ જિલ્લા બહારના હોવાનું સામે આવ્યું છે. જન્મદિવસની ઉજવણીમાં દારૂની પાર્ટી રાખી હોવાનું સામે આવ્યું છે. 8 વિદ્યાર્થી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા બે આરોપીઓની સોમવારે ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના મસીહીના 24 વર્ષીય વિકી સાહેબ ગુપ્તા અને 21 વર્ષીય સાગર શ્રીજોગેન્દ્ર પાલ તરીકે થઈ છે.
Published On - 7:14 am, Tue, 16 April 24