Gujarat : રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હાલમાં રાજયમાં રસીના અછતના સમાચારો વચ્ચે નાયબ મુખ્યપ્રધાનનું નિવેદન સૂચક માનવામાં આવી રહ્યું છે. નાયબ મુખ્યપ્રધાને કહ્યું છેકે કેન્દ્ર સરકાર દ્વારા રાજયમાં રોજ 3થી 4 લાખ વેક્સિનના ડોઝ મોકલવામાં આવે છે.
અમદાવાદ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા નાયબ મુખ્યપ્રધાને રસીની અછતના મુદ્દે આ સ્પષ્ટતા કરી હતી. અને, તેમણે રાજય સરકાર પાસે રસીનો પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું છે. રાજયમાં કોઇપણ લોકો રસી વગર રહી નહીં જાય તેમ પણ પટેલે ઉમેર્યું હતું. આ સાથે જ નીતિન પટેલે રસી મુદ્દે કોઇને ધક્કો ખાવો પડયો હોય તો તેઓ દિલગીર હોવાનું કહ્યું છે.
ગુજરાતમાં આપ પક્ષની કોઇ નોંધ પણ લેતું નથી : નીતિન પટેલ
આ સાથે જ પત્રકારોના સવાલના જવાબમાં નીતિન પટેલે જણાવ્યું કે કોઇ પક્ષ ગુજરાતમાં આવે કે જાય કોઇ ફેર પડતો નથી. મતદારો આપ પક્ષની નોંધ પણ લેતા નથી તેમ તેમણે જણાવ્યું. તેમણે કહ્યું કે અમે ગુજરાતની જનતાની દરેક પરીક્ષામાંથી પાસ થઇને સત્તા પર આવ્યા છીએ. આપનો દબદબો માત્ર રાજધાની દિલ્લીમાં જ છે. દિલ્લીની લોકપ્રિયતાની જાહેરાતો જ આપ પક્ષ દ્વારા ગુજરાતમાં કરવામાં આવી રહી છે.
આ મુદ્દે તેમણે કહ્યું કે ભૂતકાળમાં પાટીદાર આંદોલન સમયે પણ ભાજપ પક્ષ અને ભાજપના નેતાઓ વિરૂદ્ધ ઘણા અપપ્રચારો થયા હતા. પરંતુ, તેની સામે ગુજરાતની જનતાએ હંમેશા ભાજપનો જ સાથ આપ્યો છે. ત્યારે આપ પક્ષની ગુજરાતમાં એન્ટ્રીને તેમણે ગૌણ લેખાવી હતી. અને, આપ પક્ષ દ્વારા ખોટા ખર્ચા કરવામાં આવી રહ્યા હોવાનું નીતિન પટેલે કહ્યું હતું.
Published On - 5:44 pm, Sun, 27 June 21