
ગુજરાત વિધાનસભામાં આજે નાણાપ્રધાન કનુ દેસાઈએ વર્ષ 2026-27 માટેનું વાર્ષિક બજેટ રજૂ કરીને નવો ઈતિહાસ રચ્યો છે. કનુ દેસાઈએ સતત પાંચમી વખત ગૃહમાં બજેટ રજૂ કર્યું છે, જે ગુજરાતના ઈતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટા કદનું બજેટ છે. ચાલુ વર્ષે બજેટનું કદ 4 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું છે, જે ગત વર્ષના 3.70 લાખ કરોડના બજેટની સરખામણીએ 10 થી 15 ટકાનો માતબર વધારો દર્શાવે છે.
કનુ દેસાઈના જણાવ્યા અનુસાર, માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીએ જનસેવક તરીકે જનસેવાના અવિરત 24 વર્ષ પૂર્ણ કરી ગુજરાત અને દેશના વિકાસને નવી દિશા આપી છે. સુશાસન અને જનકલ્યાણના કાર્યો દ્વારા જન અપેક્ષાઓને સાકાર કરી વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે અને એ સાથે ભારતને વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા બદલ ગુજરાતની સમગ્ર જનતા વતી હું તેમને અભિનંદન પાઠવું છું.
માનનીય વડાપ્રધાનના વિકસિત ભારત@2047 અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ ધપાવતાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસયાત્રા આગળ વધી રહી છે.
માનનીય વડાપ્રધાનના નેતૃત્વમાં જી.એસ.ટી.માં કરેલ ઐતિહાસિક સુધારાથી સામાન્ય નાગરિકની જીવન જરૂરિયાત વસ્તુઓની ખરીદશકિતમાં વધારો થયેલ છે, જે બદલ માનનીય વડાપ્રધાનનો રાજ્યના તમામ નાગરિકો વતી હું આભાર માનું છું. વધુમાં, શ્રમ અધિનિયમમાં કરેલ સુધારાઓથી કામદારોની સામાજિક સુરક્ષા, રોજગારીની તક સાથે તેમના સન્માનમાં વધારો થયો છે.
આપને જણાવતાં આનંદ થાય છે કે, આપણને કોમનવેલ્થ ગેમ્સ 2030 ની યજમાની મળી છે, તેનો સંપૂર્ણ યશ ખેલમહાકુંભની શરૂઆત કરાવનાર ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને આપણા યશસ્વી વડાપ્રધાન મોદીજીને જાય છે.
માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ‘વિકસિત ગુજરાત@2047’ના સંકલ્પને સાકાર કરવા અમારી સરકાર કટિબદ્ધ છે. ગુજરાતની સ્થાપનાનાં 75 વર્ષ સને 2035 માં પૂર્ણ થઇ રહ્યાં છે. આ અમૃતકાળના સોનેરી અવસરે વિકસિત ગુજરાત@2047ની વિકાસ યાત્રાને વેગ આપવા ગુજરાત@2035ના રોડમેપ સાથે અમે આગળ વધી રહ્યાં છીએ.
“સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ” સાથે વિકસિત ભારત@2047ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC) દ્વારા અત્યાર સુધીમાં 6 અહેવાલો રજૂ કરવામાં આવ્યા છે. આમાં નાગરિક-કેન્દ્રિત સેવા, વહીવટી સુધારા તેમજ માનવ સંસાધન જેવા વિષયો પર અસરકારક ભલામણો આપવામાં આવી છે. આનું અમલીકરણ સુશાસન અને કાર્યક્ષમ વહીવટની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે.
‘વિકાસમાં કોઈ પાાછળ ન રહે અને વિકાસથી કોઈ વંચિત ન રહે’ની ભાવના સાથે આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાજીની 150મી જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવે. આ અવસરે માનનીય વડાપ્રધાને જનજાતિ સમુદાયના વિકાસ માટે જનજાતિય કલ્યાણ યોજના અંતર્ગત આગામી પાંચ વર્ષમાં ₹2 લાખ કરોડના અઢળક વિકાસ કાર્યોના આયોજનની જાહેરાત કરેલ છે.
અમારી સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં કરેલ અસરકારક કામગીરીના ફળ સ્વરૂપે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન(PM JANMAN) હેઠળ સમગ્ર દેશમાં ગુજરાતને “બેસ્ટ પર્ફોમિંગ રાજ્ય” તરીકેનો એવોર્ડ મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા વર્ષ 2025માં એનાયત કરવામાં આવ્યો છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 2003થી શરૂ કરાયેલ વાઇબ્રન્ટ સમિટથી રાજ્યની આર્થિક પ્રગતિને એક નવી જ ઉડાન મળી છે, જેને આગળ વધારતાં રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનો (VGRC) શરૂ કરેલ છે. આનો મુખ્ય ધ્યેય રોજગારીનું સર્જન કરવું અને દરેક નાગરિકની માથાદીઠ આવક વધારવાનો છે.
Published On - 1:18 pm, Wed, 18 February 26