
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન અને સુરતના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ, ગુજરાત સરકારે પૂરગ્રસ્ત સુરત માટે જાહેર કરાયેલા આર્થિક મદદ માટેના રાહત પેકેજની વિગતો જાહેર કરી હતી. હર્ષ સંઘવીએ, આજે મળેલ કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જણાવ્યું કે, પૂરથી નુકસાન વેઠનાર નાના રેકડી-લારીવાળાથી લઈને 15 લાખથી વધુનુ ટર્ન ઓવર ધરાવનારા ઈન્ડસ્ટ્રીઝ માટે વિવિધ પ્રકારની આર્થિક સહાય અને મદદ જાહેર કરવાનો નિર્ણય ભૂપેન્દ્ર પટેલની સરકારે લીધો છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે 15 જુલાઈના રોજ મળેલ કેબિનેટની બેઠકમાં, ચોમાસાને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ગત દિવસોમાં દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીમાં પડેલા ભારેથી અતિભારે વરસાદને પગલે, સર્જાયેલ પૂરની સ્થિતિને લઈને થયેલ નુકસાનથી ઉભરવા માટે રાહત પેકેજને મંજૂરી કેબિનેટની બેઠકમાં આપવામાં આવી છે. ઘરમાં ભરાયેલા વરસાદી પાણીથી ઘરવખરીને થયેલા નુકસાન અંગે, પૂરના પાણી ભરાતા લોકો નોકરી ધંધા અર્થે ના જઈ શક્યા હોય તેવા તમામને સહાય ચૂકવવામાં આવી છે.
સુરતમાં રોજનું કમાઈને ખાનાર વર્ગની પણ ચિંતા ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકારે કરી છે. તો દુકાન કે ઈન્ડસ્ટ્રીઝ ધરાવનારાને થયેલા નુકસાન અંગે પણ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. હમણા સુધી 19,000 નાગરિકોને કેશડોલ્સ, ઘરવખરી ચુકવવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાયા હોય તેવા 19800 નાગરિકોને પણ આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. પહેલા માળે રહેનારા પૂરના પાણીને કારણે નોકરી-ધંધે ના જઈ શકયા હોય તેવા 36,000ને પણ સરકારે નુકસાની ચૂકવી છે.
સરકાર દ્વારા રોજ કમાઈને ખાનારાની ચિંતા કરાઈ છે. મધ્યમવર્ગના લોકો, વેપારીઓ અને નાની મોટી ઈન્ડસ્ટ્રીઝની પણ ચિંતા કરાઈ છે. લારી-રેકડીમાં થયેલ નુકસાન માટે રૂપિયા 7500ની સહાય નક્કી કરવામાં આવી છે. 40 ફૂટ સુધીની નાની કેબિન ધરાવનારાને પૂરના પાણીથી થયેલા નુકસાન માટે 25,000ની સહાય કરવાનો નિર્ણય સહાય પેકેજ અંતર્ગત કરવામાં આવ્યો છે. 40 ફુટથી વધુ મોટી કેબિન ધરાવતાને રૂપિયા 50,000, પાકી દુકાન હોય તેમને 1 લાખની સહાય આપવાનો નિર્ણય કરાયો છે.
3 મહિનામાં જીએસટી ભરેલ પાકી દૂકાનદારોને સરકાર દ્વારા પ્રોગેસિવ વિચાર રાખીને લોન આપવામાં આવશે. આવા કિસ્સામાં લોન લીધાના 3 વર્ષ સુધી સરકાર 7 ટકાના દરે વ્યાજ સહાય ચૂકવશે. જીએસટીમાં 7.5 લાખ ટર્ન ઓવર દર્શાવનારાને થયેલા નુકસાન માટે રૂપિયા 20 લાખની લોન મળશે.
7.5 લાખથી 15 લાખનું ટર્ન ઓવર ધરાવનારાને રૂપિયા 25 લાખની લોન આપવામાં આવશે. જ્યારે 15 લાખથી વધુનુ ટર્ન ઓવર ધરાવનારાઓને થયેલા નુકસાન માટે રૂપિયા 30 લાખની લોન આપશે. જેમાં વ્યાજ સરકાર દ્વારા ભરવામાં આવશે.
આટલું જ નહીં, વરસાદ ખેંચાતા ગુજરાતમાં વરસાદની અછતને ધ્યાને લઈને જ્યા વરસાદ ઓછો પડ્યો હોય તેવા વિસ્તારમાં પશુઘન-ગૌશાળા, પાંજરાપોળ માટે ઘાસચારાની તકલીફ ના પાડે તે માટે જરૂરી નિર્ણય લેવાની સત્તા જે તે જિલ્લા કલેકટરને આપવામાં આવી છે. આથી ઘાસચારાની પ્રક્રિયામાં નિર્યણ લેવા માટે સમય ના વેડફાય.
With input Kinjal Mishra- Gandhinagar