Saurashtra Rain: રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલીમાં ભારે વરસાદ, ડેમો છલકાયા અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા
ઉપરવાસમાં વરસાદના કારણે અમરેલી જિલ્લાના ખોડિયાર ડેમમાં પણ પાણીની આવક થઈ છે. 7 હજાર ક્યુસેક કરતા વધારે પાણીની આવક થતાં ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે.
Saurashtra Rain : ભારે વરસાદને પગલે રાજકોટનો આજી-2 ડેમ ઓવરફલો થયો છે. અવિરત વરસાદને કારણે ડેમમાં નવા નીરની આવક થઇ રહી છે.
ગોંડલના ડૈયા ગામમાં ફસાયેલા લોકોને ધારાસભ્યના પુત્રએ રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવ્યા છે. પરપ્રાંતીય લોકો પાણીના પુરમાં ફસાયા હતા. 20 જેટલા લોકો ફસાયા હોવાની માહિતી હતી. ગોંડલ પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ, ધારાસભ્યના પુત્ર ગણેશભાઈ તેમજ ગોંડલ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું.
નોંધનીય છેકે વહેલી સવારથી જ ગોંડલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અને, વહેલી સવારથી જ મેઘરાજાએ ગોંડલમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
રાજકોટમાં કોઝવે પર પાણીનો રૌદ્ર પ્રવાહ જોવા મળ્યો હતો. જામનગર રોડ ઉપરના પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. રામપરથી સરપદડ જતા કોઝવે ઉપર ત્રણ ફુટ પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો.
રાજકોટના કોલીથડની સિવિલ હોસ્પિટલમાં પાણી ઘુસ્યા હતા. કોલીથડ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ગામને જોડતો મુખ્ય પુલ પણ ધરાશાય થયો હતો. ગામમાં અનેક વૃક્ષો પણ ધરાશાય થયા હતા. કોલીથડ ગામમાં વીજળી પણ ગુલ થઇ હતી.
રાજકોટ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેમાં ખીરસરા ગામ પાસે આવેલા છાપરા ગામ નજીક પેલિકન ફેક્ટરીના માલિકની i 20 કાર પાણીના વહેણમાં તણાઈ હોવાનાં દૃશ્યો સામે આવ્યાં છે. જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, પોરબંદરથી નેવીની ટીમની મદદ માંગવામાં આવી છે. અને આ માટે નેવીની ટીમ રાજકોટ આવવા રવાના થઇ છે. ઉલ્લેખનીય છે કે કારમાં કુલ 3 લોકો સવાર હતા જેમાંથી 2 લોકોની હજુ સુધી શોધખોળ ચાલુ છે.
હાલ પ્રાંત અધિકારી, SDRF અને NDRFની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ડ્રોનની મદદથી પણ સર્ચ કરવામાં આવ્યું હતું છતાં કાર અંગેની વિગત મળી નથી. ઉલ્લેખનીય છે કે કારમાં કુલ ત્રણ લોકો સવાર હતા, જે પૈકી એક વ્યક્તિને કારમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવી છે, જ્યારે કારની અંદર રહેલી અન્ય બે વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ તરફ પોરબંદરના કુતિયાણામાં ભાદર ડેમના પાણી ફરી વળ્યા છે. ભાદર ડેમ છલકાતા જ દરવાજા ખોલવાની ફરજ પડી. અને કુતિયાણાના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. જોકે ભાદરના પાણી સાથે વરસાદ વરસતા ઘરોમાં પાણી ઘૂસે તેવી ભિતી સર્જાઇ છે. તો સ્થિતિ વધુ ન વકરે તે માટે સ્થાનિક તંત્રએ 224 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. હાલ કુલ 8 ગામોમાં સ્થળાંતરની કામગીરી ચાલી રહી છે.
ગીરસોમનાથમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ગીરસોમનાથનો હીરણ-2 ડેમ 40 ટકા ભરાયો છે. ડેમની જળસપાટી હાલ 431 ફૂટે પહોંચી છે. મહત્વનું છે કે પાછલા 24 કલાકમાં ડેમની સપાટીમાં 5 ફૂટનો વધારો નોંધાયો છે. જેના પગલે પાણીનું સંકટ દૂર થયું છે.
જૂનાગઢ પંથકમાં ધોધમાર વરસાદ પડતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે. ભારે વરસાદના કારણે માણાવદરમાં પાણી ભરાઈ ગયા છે. માણાવદરથી પોરબંદર જતા સરાડીયા હાઈવે પર પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાયો. તો ભાદર નદીમાં પુર આવતા માણાવદરથી પોરબંદર તરફ જતો રસ્તો પણ બંધ થઈ ગયો છે. રોડ પર પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. જૂનાગઢમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. તો કેટલાક વિસ્તારોમાં દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે.
ઉપરવાસમાં વરસાદના કારણે અમરેલી જિલ્લાના ખોડિયાર ડેમમાં પણ પાણીની આવક થઈ છે. 7 હજાર ક્યુસેક કરતા વધારે પાણીની આવક થતાં ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે.નવા નીરના કારણે ડેમ છલોછલ થઈ જતાં અમરેલી અને ભાવનગર જિલ્લાના નીચાણવાળા 43 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.