ગીર સોમનાથ (Gir somnath) જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના રોડ બાદ હવે નેશનલ હાઈવે (national highway) બિસ્માર બન્યા છે.હાઈવે ઓથોરિટીની બેદરકારીના પગલે ગીર સોમનાથ – ભાવનગર નેશનલ હાઈવે અતિ બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.વરસાદ બાદ હાઈવે (highway) પર મસમોટા ખાડા પડવાથી એમ્બ્યુલન્સ અને બિમાર વ્યકિતઓને ટ્રાફિકમાં કલાકો સુધી ફસાવવું પડે છે. ઉલ્લેખનીય છે કે, સોમનાથથી ભાવનગર સુધી ફોર ટ્રેક સીસી રોડ છેલ્લા પાંચ વર્ષથી બની રહ્યો છે. આ મુદ્દે લોકસભામાં સાંસદ રાજેશ ચુડાસમાએ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને (Nitin Gadakri) સવાલ પૂછયો હતો. જયાં વાતનો સ્વીકાર કરાયો હતો કે, સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે સમય મર્યાદામાં પૂરો થયો નથી.
ખખડધજ હાઈવેના કારણે ઉનાથી વેરાવળ જતા લોકો 20ની સ્પીડે વાહન (Vehicle) ચલાવવા મજબૂર બન્યા છે.અતિશય ખરાબ રોડથી વાહનચાલકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને શ્રાવણ મહિનો નજીક હોવાથી સોમનાથ ઉના સુધીનો રોડ તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી માગ કરી હતી.ત્યારે અહીં તંત્ર સામે સવાલ થાય છે કે, સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર ખાડા કયારે પૂરાશે ? મસમોટા ખાડામાંથી વાહનચાલકોને મુક્તિ કયારે મળશે ? લોકો કયાં સુધી ખાડાઓની સમસ્યાથી હેરાન થશે ? આ ખાડામાં કોઈનો જીવ જશે પછી તંત્ર ખાડા પૂરશે ?