Girsomnath : પ્રાચિતીર્થમાં કિસાન મોરચા દ્વારા 51 વૃક્ષનું રોપણ, ન્યાયની માગ સાથે એક ખેડૂત સાયકલ પર ગાંધીનગર જવા રવાના
કિસાન મોરચા દ્વારા પ્રાચિના પ્રસિધ્ધ મોક્ષ પીપળાના પુજન બાદ અહીં 51 પીપળાના છોડનું વૃક્ષારોપણ કરાયું છે. ગીરસોમનાથ જિલ્લામાં વાવડી ગામના ખેડુત અરસીભાઈ બીજી વખત ન્યાય માટે સાયકલ પર ગાંધીનગર જવા રવાના થયા.
Girsomnath : પીપળામાં ભગવાન કૃષ્ણનું નિવાસ છે. એવું શાસ્ત્રોમાં કહેવાયું છે. ત્યારે કિસાન મોરચા દ્વારા પ્રાચિના પ્રસિધ્ધ મોક્ષ પીપળાના પુજન બાદ અહીં 51 પીપળાના છોડનું વૃક્ષારોપણ કરાયું છે. પ્રક્રૃતિનું જતન કરવાનો કિસાનોએ અથાગ પ્રયાસ કર્યો છે.
વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગની વચ્ચે કુદરતી સંકટો મહામારીઓ તેમજ અનિયમિત વરસાદ સહીતની આફતોથી સમગ્ર વિશ્વ જ્યારે ચિંતીત બન્યું છે. સાથે ગીરસોમનાથ જીલ્લામાં આવેલ પ્રસિધ્ધ તીર્થધામ પ્રાચિતીર્થ ખાતે મોક્ષ પીપળા ખાતે ભારતીય કીસાન મોરચાના યુવાનો દ્વારા આજે અનોખો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં સૌપ્રથમ ઢોલના ધબકારે સૌ કોઇએ મોક્ષ પીપળાનું પુજન અને પ્રદક્ષિણા કરી હતી. બાદમાં ભાગવતના કથન મુજબ પીપળામાં ભગવાન કૃષ્ણનો નિવાસ મનાય છે. તેમના 51 છોડનું ભુદેવોના વેદમંત્રો સાથે પુજન કરાયું હતું. ત્યારબાદ મોક્ષ પીપળા નજીક 51 પીપળાના છોડનું વૃક્ષારોપણ કરાયું હતું.
અહીં, સૌ-કોઇએ પ્રકૃતિના જતનનો સંકલ્પ કરી વધુ વૃક્ષોનું વાવેતર કરાય સાથે તેમનું જતન પણ કરાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. કોરોના ગાઈડ લાઈન મુજબ સૌએ ડીસ્ટન્સ સાથે મહાપુજા કરી હતી.
વાવડી ગામના ખેડુત અરસીભાઈ બીજી વખત ન્યાય માટે સાયકલ પર ગાંધીનગર જવા રવાના
ગીરસોમનાથ જિલ્લામાં વાવડી ગામના ખેડુત અરસીભાઈ બીજી વખત ન્યાય માટે સાયકલ પર ગાંધીનગર જવા રવાના થયા.જો ગાંધીનગર ન્યાય નહીં મળે તો સાયકલ પર દિલ્લી જશે. પરંતુ ન્યાય મેળવ્યા વગર પરત ઘરે નહી આવવાની જાહેરાત કરી.
સુત્રાપાડામાં રહેતા અને પાટણના કુકરાસ ગામે ખેતીની જમીન ધરાવતાં અરસીભાઈની કૌટુંબિક સગાઓની સંયુક્ત ખેતીની જમીન કુકરાસ ગામે આવેલી હતી. જેમાં સુત્રોની વાત માનીએ તો 2000ની સાલમાં અરસીભાઇના કૌટુંબિક સગા કાળા ભાઈએ ભાગીદારોના નામો કમી કરી ખોટા સહી સિક્કા કરી આ જમીન ખાનગી કંપનીને વેચી માર્યાની ફરીયાદ અરસીભાઇની છે.
જોકે હાલ આ જમીનનો કબ્જો અરસી પાસે જ હોવાનું સુત્રો જણાવે છે અને તેમાં જુવારનો પાક પણ લે છે. ત્યારે પોતા પાસે કબ્જો છે પરંતુ પોતાની જાણ બહાર વેચી દીધાની અનેક ફરીયાદો સ્થાનિક તંત્રને કરી છે. અરસીભાઇ સાયકલ પર વાવડી થી 450 કીમી ગાંધીનગર મુખ્યમંત્રી પાસે ન્યાય માંગવા પહોંચ્યા હતા.અને મુખ્યમંત્રીએ આ બનાવની તાકીદે તપાસ કરવા પણ આદેશ કર્યા હતો.
ગત નવેમ્બર માસમાં મુખ્યમંત્રીની ઓફીસથી ન્યાયિક તપાસ ની ખાત્રી મેળવ્યા બાદ અરસીભાઈ પરત આવ્યા હતા.બાદ છ માસ સુધી કોઈ કાર્યવાહી ન થતાં તેઓ ફરી દિલ્લી સાયકલ પર ન્યાય મેળવવા નીકળ્યા હતા. પરંતુ તાલાળા પોલીસે તેમને સમજાવી પરત ઘરે મોકલી આપ્યા હતા. ત્યારે હજુ ન્યાય ન મળતાં તેઓ આજે ફરી ભાલકાતીર્થથી સાયકલ પર ગાંધીનગર ન્યાય મેળવવા તેમજ મંત્રી કૌશિક પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહને રૂબરુ રજુઆત કરવા ગાંધીનગર રવાના થયા છે.