Gir Somnath: સોમનાથ યાત્રાધામમાં મંદિરની આસપાસ ઘણા લોકો પોતાનું જીવન ગુજારવા અને રોજી રોટી માટે નાના મોટા ધંધા ચલાવતા જોવા મળે છે. આ સાથે જ મંદિર આજુબાજુ ભિક્ષુકો (Beggar) પણ જોવા મળે છે. ભિક્ષુકો આપણને લગભગ દરેક ધાર્મિક સ્થળ આજુબાજુ જોવા મળતા હોય છે. જો તમે ધ્યાનથી જોયું હોય તો આ ભિખારી ઘણીવાર માનસિક રીતે અસ્વસ્થ (Mentally handicapped) લાગતા હોય છે. ભિક્ષુકો કોણ છે ક્યાંથી આવે છે તેની કોઈને ખબર હોતી નથી, પરંતુ ચોંકાવનારો કિસ્સો સોમનાથ યાત્રાધામથી સામે આવ્યો છે.
સોમનાથ યાત્રાધામમાં અનોખી ઝુંબેશ
વાત જાણે એમ છે કે સોમનાથ યાત્રાધામમાં હાલ એક ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશ છે મંદિરની આસપાસના વિસ્તારમાં ફરહ્તા અને રહેતા ભિખારીઓ તેમજ જે માનસિક રીતે વિકલાંગ છે તેમને યોગ્ય જગ્યાએ મોકલવાની અને મંદિર પરિસર અને આજુબાજુના વિસ્તારને આનાથી મુક્ત બનાવવાની ઝુંબેશ. આ ઝુંબેશ તાજેતરમાં જ શરૂ કરવામાં આવી છે.
30 હજારના પેન્શનરો માગતા હતા ભીખ
આ ઝુંબેશ દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એક ભિખારી એવો હતો કે જે સરકારી પેન્શન મેળવે છે. એ પણ સામાન્ય પેન્શન નહીં પરંતુ કે 30 હજારથી વધુ સરકારી પેન્શન મેળવતા લોકો પણ અહીં ભીખ માંગતાં હોય એવા દાખલા સામે આવ્યા છે. અહેવાલ અનુસાર 2 ભિખારી એવા છે કે જેઓ સરકારી અધિકારી હતા. અને હાલ 30 હજારથી વધુનું તેઓ પેન્શન મેળવે છે. તેમ છતાં અહીં ભીખ માંગવા આવ્યા છે.
નિરાધારને અપાયો આધાર
આ ઝુંબેશ વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહી છે. હકીકતમાં આ અભિયાન દ્વારા મંદિર વિસ્તારને ભિખારી મુક્ત જ નથી બનાવી રહ્યું, સાથે સાથે આવા નિરાધારોને આધાર પણ મળી રહ્યો છે. નિરાધારને આધારની આ ઝુંબેશમાં પાલિકાના શેલ્ટર હોમમાં લઇ જવામાં આવી રહ્યા છે. તો માનસિક વિકલાંગને નિરાધારનો આધાર આશ્રમ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. આ આશ્રમ ટોલનાકા પાસે આવ્યો છે. જેમાં 4-5 માનસિક વિકલાંગ લોકોને મોકલવામાં આવ્યા છે.
શેલ્ટર હોમમાં સુવિધા
તો જ્યાં શેલ્ટર હોમમાં આ નિરાધારોને રાખવામાં આવ્યા છે, ત્યાં તેમને અનેક સુવિધા પણ આપવામાં આવી રહી છે. શેલ્ટર હોમમાં આ ભિખારીઓને ન્હાવા માટે, ચા-પાણી અને નાસ્તા માટેની સુવિધા છે. આ સાથે દિવસમાં બે સમય જમવા માટે પણ આપવામાં આવે છે. અહેવાલ પ્રમાણે નગરપાલિકાના પ્રમુખનું કહેવું છે કે સોમનાથ વિસ્તારને ભિખારીઓ અને માનસિક વિકલાંગ લોકોથી મુક્ત બનાવવા અને એમને આશરો આપવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Gandhinagar : આખરે 11 દિવસ બાદ ઇસુદાન અને ગોપાલ ઇટાલિયા સહિત AAPના 55 નેતાઓને શરતી જામીન મળ્યા
Published On - 2:09 pm, Thu, 30 December 21