જિલ્લા પંચાયત (Jilla Panchayat) હસ્તકના આરોગ્ય કર્મચારીઓ ફરી એકવાર હડતાળ (Strike) પર ઉતરશે. જિલ્લા હસ્તકના આરોગ્ય કર્મચારીઓએ (Health Workers) તેમની હડતાળ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘે સરકારને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યુ છે કે 30મી ઓગષ્ટે સરકાર સાથે બેઠક બાદ હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. પરંતુ કર્મચારીઓમાં અસંતોષ યથાવત છે. કર્મચારીઓને સમજાવ્યા છતા તેઓ માન્યા નહીં અને હડતાળ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
આરોગ્ય કર્મચારી મહામંડળ સંઘના પ્રમુખે ચીમકી ઉચ્ચારી છે કે સમયમર્યાદા રદ્દ કરી સરકાર પરિપત્ર જાહેર કરશે, ત્યારબાદ જ હડતાળ પરત ખેંચીશુ. સરકાર 10 દિવસમાં ઠરાવ કરે તો કર્મચારીઓ હડતાળ પરત ખેંચવા અંગે વિચારશે.
ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યુ કે 30 ઓગસ્ટે થયેલી વાટાઘાટો દરમિયાન અમે નિવેદન આપ્યુ હતુ કે આરોગ્ય કર્મચારી મહાસંઘની હડતાળ પરત ખેંચાશે , એ નિવેદનને હું પરત લઉ છુ. આ દરમિયાન તેમણે દિલગીરી વ્યક્ત કરતા જણાવ્યુ કે હાલ અમારી હડતાળ યથાવત જ છે અને સરકારના પરિપત્ર બાદ જ હડતાળ પરત ખેંચાશે. તેમણે માગ કરી કે સરકાર સમય મર્યાદા રદ્દ કરી જલ્દીથી પરિપત્ર કરી અમારા પ્રશ્નનો ઉકેલ લાવે તો અમે હડતાળ પૂર્ણ કરીશુ તેવી માગ કરી છે.
આપને જણાવી દઈએ કે 5 મંત્રીઓની રચાયેલી કમિટીમાં સહમતી સધાતા આરોગ્યકર્મીઓએ હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યમાં વિવિધ કર્મચારી સંગઠન દ્વારા ચાલી રહેલા આંદોલનોને શાંત પાડવા પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જેમાં પાંચ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં જીતુ વાઘાણી, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, બ્રિજેશ મેરજા, અને નિમીષાબેન સુથારનો સમાવેશ કરાયો છે. આ પાંચ મંત્રીઓની કમિટીએ આરોગ્યકર્મીઓની વિવિધ માગણી સંદર્ભે વિગતે ચર્ચા કરી હતીઅને આગામી એક મહિનામાં હકારાત્મક નિર્ણય કરવાની હૈયાધારણા આપી હતી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ 30 ઓગસ્ટે થયેલી વાટાઘાટો દરમિયાન જણાવ્યુ હતુ કે પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય કર્મીઓ દ્વારા જે માંગણીઓ કરાઈ છે, જેમાં તેમને ટેકનિકલ ગણવા, ફેરણી ભથ્થું તથા કોરોના કાળ દરમિયાન રજામાં બજાવેલ ફરજોનો પગાર આપવા માટેની જે મહત્વની માગણીઓ હતી તે તમામ માગણીઓ સ્વીકારી તે સંદર્ભે રાજ્ય સરકાર આગામી એક માસમાં હકારાત્મક રીતે નિર્ણય લેશે. એટલે સૌ કર્મીઓને હડતાલ પાછી ખેચીને જનસેવામાં જોડાવવા અપીલ કરતા એસોસીએશને હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ આજે ફરી પંચાયતના આરોગ્ય કર્મીઓએ હડતાળ યથાવત રાખવાની જાહેરાત કરી છે.