આજે ગાંધીનગર (Gandhinagar) માં કેબિનેટની બેઠક (cabinet meeting) યોજાવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) ની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra modi) ના ગુજરાત પ્રવાસ અંગે બેઠકમાં ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત પાણીના પ્રશ્ન અંગે બેઠકમાં ચર્ચા થઈ શકે છે. આગામી શૈક્ષણિક સત્ર, બજેટ એલોકેશન, ઘાસચારાની સમસ્યા અને વિવિધ લાકર્પણ કાર્યક્રમો અંગેની પણ ચર્ચા થઈ શકે છે. મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે તે સૌરાષ્ટ્રનો પ્રવાસ કરી શકે છે તેવી ચર્ચા છે અને તેઓ રાજકોટમાં બની રહેલી એઇમ્સની મુલાકાત લઇ શકે છે. એવી પણ વાત મળી રહી છે કે તેઓ દક્ષિણ ગુજરાતમાં વલસાડનો પ્રવાસ કરી શકે છે ત્યારે આ ગુજરાત પ્રવાસ પર કેબિનેટમાં ચર્ચા થઈ શકે છે.
આ ઉપરાંત ઉનાળાની સીઝન છે અને અત્યારે રાજ્યમાં પાણીની સમસ્યાઓ દેખાવા લાગી છે, ત્યારે એક તરફ જળાશયોને ઉંડા કરવાની કામગીરી ચાલી રહી છે અને બીજી બાજુ ખાસ કરીને બનાસકાંઠા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ છે ત્યાં પાણીની વ્યવસ્થા કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે. પાણીની સમસ્યાને લઈને એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે અને તેનો કઈ રીતે ઉપયોગ થઈ શકે તેની પણ ચર્ચા થઈ શકે છે.
આગામી દિવસોમાં જે લોકાર્પણ અને જાહેર સભાઓ થવાની છે અને વડાપ્રધાનની સભાઓ ઉપરાંત મુખ્યમંત્રીના પણ અનેક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તેથી આ કાર્યક્રમોને લઈને પણ ચર્ચા થઈ શકે છે. રાજ્યમાં કેટલીક જગ્યા પર હજુ પણ ઘાસચારાની સમસ્યા સામે આવી રહી છે ત્યારે મુંગા પશુઓને પુરતો ઘાસચારો મળી રહે તે માટે કેવી વ્યવસ્થાઓ કરવામાં આવી શકે છે તેની પણ ચર્ચા થઈ શકે છે.
સરકાર દ્વારા જે બજેટ એલોકેશન કરવામાં આવ્યું છે તે બજેટ ક્યાં સુધી પહોંચ્યું છે અને કેટલું અને કઈ રીતે એલોકેશન થઈ શકે છે તેની પણ ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત આગામી સમયમાં નવા શૈક્ષણિક સત્ર અંગે પણ ચર્ચા થઈ શકે છે. આમ પાણી, વડાપ્રધાનનો પ્રવાસ, શૈક્ષણિક સત્ર, ઘાસચારો અને બજેટ એલોકેશન સહિતના મુદ્દા પર ચર્ચા થઈ શકે છે.