રાજ્યમાં આજથી એટલે કે, 5 ઓગષ્ટથી રાજ્યવ્યાપી Td-10 વર્ષ અને Td-16 વર્ષ રસીકરણ(Vaccination Drive) અભિયાનનો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે અભિયાન થકી અંદાજે 26 લાખ જેટલી સગર્ભા માતાઓ- બાળકો અને અંદાજે 50 હજાર જેટલી શાળાઓના લાખો વિદ્યાર્થીઓને વિવિધ 12 જેટલા રોગો સામે સુરક્ષા કવચ આપવામાં આવશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે(Rushikesh Patel) Td-10 અને Td-16 રસીકરણ અભિયાન કાર્યક્રમનો ગાંધીનગર (Gandhinagar)માં સેક્ટર 23માં આવેલ ગુરુકુળથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા કહ્યુ હતુ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનથી રાજ્યની લાખો સગર્ભા માતાઓ, એક વર્ષથી નાની વયના બાળકો અને શાળાના વિદ્યાર્થીને 12 જેટલા ઘાતક રોગોથી સુરક્ષિત કરાશે.
આ રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત સગર્ભા માતાઓને ધનુર અને ડિપ્થેરિયા તેમજ બાળકોને થતા 12 ઘાતક રોગો જેવા કે ઝેરી કમળો, બાળ ટી.બી, પોલિયો, ડિપ્થેરિયા, ઉટાટિયુ, ધનુર, હીબ બેક્ટેરિયાથી થતા રોગો જેવા કે ન્યુમેનિયા અને મગજનો તાવ, ન્યુમોકોકલથી ન્યુમોનિયા, રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી, રૂબેલા જેવા રોગો સામે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ થકી જીવનરક્ષક રસીઓ દ્વારા રક્ષિત કરવામાં આવશે.
રાજ્યમાં દર વર્ષે અંદાજિત 13.50 લાખ સગર્ભા માતાઓ અને 13 લાખ એક વર્ષથી નાની વયના બાળકોને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવામાં આવશે. આ અંગે આરોગ્યમંત્રી વધુ વિગતે જણાવ્યુ કે કોવિડ-19ની વૈશ્વિક મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી શાળાઓ બંધ હોવાથી બાળકોનું Td-ધનૂર અને ડિપ્થેરિયાનું રસીકરણ થઇ શક્યું નહતું. આ રસીકરણ ઝૂંબેશના પ્રથમ તબક્કા દરમિયાન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨૨માં રાજ્યની શાળાઓમાં ધોરણ 5 અને ધોરણ 10ના તમામ બાળકોને ટી.ડી. (ધનૂર અને ડિપ્થેરિયા)ની રસી આપવામાં આવશે.
આ કામગીરી ઈન્જેકટેબલ રસીકરણ માટેનું એક વિશાળ અભિયાન સાબિત થશે, આ અભિયાનમાં 1 હજાર RBSK ટીમ દ્વારા અંદાજે 50 હજાર શાળાઓના અંદાજીત 23 લાખ બાળકોનું રસીકરણ કરવામાં આવશે. ઉપરાંત, આ અભિયાનમાં રહી ગયેલા બાળકોને બીજા તબક્કા દરમિયાન મમતા સેશનમાં પણ આવરી લેવામાં આવશે.
આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યુ કે આ રાજ્યવ્યાપી રસીકરણ ઝુંબેશને સફળ બનાવવામાં શિક્ષણ વિભાગનું મહત્વનું યોગદાન છે. T.D. રસી હાલમાં સરકારી તમામ શાળાઓ પર આપવામાં આવશે. આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમ છતાં પણ કોઈ આડઅસર જણાય તો તેની સારવાર માટે દરેક રસીકરણ સેન્ટર તેમજ સરકારી દવાખાના પર એઇ.એફ.આઈ. કીટ ઉપલબ્ધ છે અને શાળાઓમાં પણ રસીકરણ વખતે આ કીટ ઉપલબ્ધ રાખવામાં આવશે. જેથી ત્વરિત સારવાર આપી શકાય.
ઈનપુટ ક્રેડિટ- જિજ્ઞેશ પટેલ- અમદાવાદ
Published On - 7:47 pm, Fri, 5 August 22