ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) નજીક આવી રહી છે. તેમ તેમ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. ચૂંટણીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) પણ અત્યાર સુધીમા અનેક વાર ગુજરાતની મુલાકાત લીધી છે. ત્યારે આ મહિનામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે વાર ગુજરાતની મુલાકાત લેવાના છે. માહિતી મુજબ 10 સપ્ટેમ્બરે એટલે કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat visit) ગુજરાત આવશે. તો એ પછી પણ પ્રથમ નોરતે એટલે 26 સપ્ટેમ્બરે વડાપ્રધાન ગુજરાત મુલાકાતે આવશે. PM મોદી નવરાત્રિના પહેલા દિવસે જનતાને મેટ્રો ટ્રેનની ગિફટ આપશે.
વડાપ્રધાન મોદીના 10 સપ્ટેમ્બરના કાર્યક્રમોની વાત કરીએ તો અમદાવાદમાં (Ahmedabad) સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી પરિષદનું ઉદ્ઘાટન PM ના હસ્તે કરવામાં આવશે. તો 2 દિવસીય યોજાનાર આ પરિષદમાં તમામ રાજ્યોના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રીઓ અને સચિવો પણ ભાગ લેશે. તો બીજી તરફ વડાપ્રધાન મોદી શહેરીજનોને નવરાત્રિના પહેલા દિવસે મેટ્રો ટ્રેનની ગિફટ આપશે. વસ્ત્રાલ-થલતેજ, APMC અને મોટેરા મેટ્રો રુટ તૈયાર થઇ ગયો છે. 3 કોચ સાથે મેટ્રો ટ્રેન પ્રતિ કલાક 80 કિ.મી.ની ઝડપે દોડશે. મેટ્રો ટ્રેનમાં રોજ સરેરાશ 40 હજાર મુસાફરો સફર કરી શકશે. અત્યારે ટ્રેનને એક સ્ટેશનથી બીજા સ્ટેશને પહોંચતા માત્ર દોઢ મિનીટ થશે. અત્યારે વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન ચાલુ છે.
મહત્વનું છે કે,આ પહેલા ગુજરાતની મુલાકાતે આવેલા PM નરેન્દ્ર મોદીએ કચ્છને (Kutch) વિકાસની ભેટ આપી.તેમણે કચ્છના ભુજમાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું. જે બાદ પીએમ મોદીએ કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધિત કરી હતી.આ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે સ્મૃતિવન (Smriti van) એ સમગ્ર દેશની વેદનાનું પ્રતિક છે. વર્ષ 2001ના વિનાશકારી ભૂકંપ બાદ કચ્છ ક્યારેય ઉભું નહીં થાય તેવું ઘણાએ કહ્યું હતું પરંતુ ભૂકંપ બાદ કચ્છનો અકલ્પનીય વિકાસ થયો, જે સમગ્ર વિશ્વ માટે રિસર્ચનો વિષય છે. કચ્છના ખમીરવંતા લોકોએ અહીંની તસવીર બદલી નાખી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર (modi govt) એક્શન મોડમાં આવી છે. અગાઉની મુલાકાત દરમિયાન તેમણે કમલમ ખાતે બેઠક યોજી કોર કમિટીના સભ્યોને માર્ગદર્શન તેમજ જીતનો મંત્ર આપ્યો હતો. કમલમમાં આસરે બે કલાક સુધી વડાપ્રધાને કોર કમિટીના સભ્યો સાથે મંથન કર્યું હતુ. 5 મહિના બાદ વડાપ્રધાને કમલમ કાર્યાલયની મુલાકાત લીધી હતી. બેઠકમાં વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વની રણનીતિની ચર્ચા કરાઈ હતી. પીએમ મોદી સરકાર અને સંગઠનને જીતની રણનીતિ આપી તો રાજ્યમાં સક્રીય વિરોધ પક્ષોની તાકાતને ખાળવા પણ રણનીતિ ઘડી.
Published On - 11:11 am, Fri, 9 September 22