ગુજરાતમાં (Gujarat) ધીરે ધીરે ચોમાસું (Monsoon 2022) જામી રહ્યું છે. જેમાં હવામાન વિભાગ દ્વારા આગામી 05 થી 10 જુલાઇના પાંચ દિવસ દરમ્યાન રાજ્યમાં ભારે વરસાદની(Rain)આગાહી કરી છે. જેમાં આગામી દ્વારકા, પોરબંદર અને વલસાડમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેની માટે ગાંધીનગર ખાતે આજે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં IMDના અધિકારી મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે તેમજ તા. 05 જુલાઈ થી 10 જુલાઈ-2022 સુધી દ્વારકા, પોરબંદર,વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે તા.૦4/07/2022 સુધીમાં અંદાજિત 30,20,616 હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે તથા ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 40,53, 982 હેક્ટર વાવેતર થયું હતું. જ્યારે સિંચાઇ વિભાગના જણાવ્યા અનુંસાર સરદાર સરોવર જળાશયમાં 1,44,070 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહશકિતના 43.12 ટકા છે. રાજ્યનાં 206 જળાશયોમાં 1,87,269 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના 33.61 ટકા છે. હાલમાં રાજ્યમાં એક જળાશય હાઇ એલર્ટ પર તેમજ એક જળાશય વોર્નિંગ પર છે.
ચર્ચા દરમિયાન રાહત કમિશનરએ NDRF અને SDRFની ટીમોને ડીપ્લોય કરવા માટે રાજ્યમાં આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ કચ્છ જિલ્લામાં એક NDRFની ટીમ ડીપ્લોય કરવા સૂચના આપી હતી. આ અગાઉ ગિરસોમનાથ, નવસારી, બનાસકાંઠા, વલસાડ, સુરત અને ભાવનગરમાં એક તથા રાજકોટમાં બે એમ કચ્છ સહિત કુલ 09 NDRFની ટીમો તથા પોરબંદર જિલ્લા ખાતે SDRFની એક ટીમ ડીપ્લોય કરવામાં આવેલ છે. રાહત કમિશનરએ બેઠક દરમિયાન આગામી સપ્તાહમાં થનાર વરસાદની આગાહીને ધ્યાને લઈ હાજર રહેલ તમામ વિભાગના અધિકારીશ્રીઓને તથા સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું.
આ બેઠકમાં ઉર્જા, માર્ગ અને મકાન, GSRTC,સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, પંચાયત વિભાગ, ફિશરીઝ, પશુપાલન, ફોરેસ્ટ, GMB,GSDMA સહિતના અઘિકારીઓ હાજર રહ્યાં હતાં.