રખડતા ઢોરને (Stray cattle) લઇને રાજ્ય સરકારે (State Govt) મહત્વનો નિર્ણય લીધો છે. પશુઓને અને પ્રજાને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન થાય એ પ્રકારની વ્યવસ્થા માટેનો નિર્ણય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નિર્ણય મુજબ પશુપાલકો તેમના પશુઓને મનપાના ઢોરવાડામાં મુકી શકશે.આ ઢોર વાડામાં પશુઓ માટે શેડની , પીવાના પાણીની, ઘાંસચારાની આ તમામ વ્યવસ્થા પણ નગરપાલિકા કે મહાનગરપાલિકા દ્વારા પુરી પાડવામાં આવશે. જો ત્યાં જગ્યા ઓછી પડે અને વધારાના જગ્યાની જરુર હોય તો તે પ્રકારના ઢોરવાડા પણ તાત્કાલિક હંગામી ધોરણે બનાવવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ સમગ્ર નિર્ણય અંગે સરકારના પ્રવક્તા જીતુભાઇ વાઘાણી (Jitubhai Vaghani)તરફથી માહિતી આપવામાં આવી હતી.
કેબિનેટની બેઠક બાદ રખડતા ઢોરના પ્રશ્નને હલ કરવા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જે પશુપાલકો પાસે પશુઓને રાખવા માટેની યોગ્ય વ્યવસ્થા ન હોય તેઓ પાલિકા કે નગરપાલિકાના ઢોરવાડામાં પોતાના પશુઓ મુકી શકશે. રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો પોતાના પશુઓને ઢોરવાડામાં મુકી જઇ શકે તે માટેનો ટ્રાન્પોર્ટેશન ખર્ચ પણ મનપા દ્વારા ઉઠાવવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. પશુપાલકો અહીં તેમના પશુઓને વિનામુલ્યે મુકી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઢોરવાડામાં પશુઓને જરુરી તમામ સગવડોનું ધ્યાન રાખવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, રાજ્યમાં રખડતા ઢોરના કારણે છેલ્લા કેટલાય સમયથી અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. તો અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. એટલુ જ નહીં થોડા દિવસ પહેલા તો ખુદ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને પણ ગાયે અડફેટે લીધા હતા. જેમાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. આ સિવાય પણ અનેક નવ યુવાનો પણ આ રખડતી રંજાડોના અડફેટે આવી ચુક્યા છે. ત્યારે આ બાબતે હાઇકોર્ટે ગંભીર નોંધ લઇને રાજ્ય સરકારને આ મામલે યુદ્ધના ધોરણે પગલા લેવા ટકોર કરી હતી. ટુંકમાં હાઇકોર્ટ દ્વારા સરકારને કડક શબ્દોમાં આદેશ આપવામાં આવ્યો હતો કે આજે સાંજ સુધીમાં સરકાર રખડતા ઢોર મામલે કોઇ ચોક્કસ નિર્ણય લે નહીં તો તેના ઉપર કોર્ટ આકરો હુકમ કરશે. ત્યારે હવે રાજ્ય સરકારે રખડતા ઢોરને લઇને મહત્વનો નિર્ણય લીધો છે.
Published On - 4:31 pm, Wed, 24 August 22