ગુજરાતમાં (Gujarat) કોરોનાનું સંકટ ફરીથી ઘેરાતુ જોવા મળી રહ્યુ છે. છેલ્લા થોડા દિવસથી કોરોનાની (Corona case) સંખ્યામાં રોજ વધારો નોંધાતો જોવા મળી રહ્યો છે. કોરોનાના વધતા કેસોએ સરકારની પણ ચિંતા વધારી દીધી છે. કોરોના સંક્રમણની વધતી સ્થિતિને લઈ આરોગ્ય વિભાગ (Department of Health) એક્શનમાં આવી ગયુ છે. કોરોના સંકટને કાબુમાં લેવા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે (Rushikesh Patel) આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવી હતી.
ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. રોજ રાજ્યમાં 150ની આસપાસ કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે. કોરોના સંક્રમણની વધતી સ્થિતિને લઈ આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યુ છે. રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી છે. જેમાં પ્રધાન નિમિષા સુથાર અને ACS મનોજ અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં રસીકરણ અને કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી.
આ બેઠકમાં કોરોનાના વધતા કેસના પગલે કયા વિસ્તારોમાં કન્ટેઇન્મેન્ટ ઝોન ઊભા કરવા, શાળાઓમાં વેક્સીનેશનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારે શાળાઓમાં કેટલા વિદ્યાર્થીઓને વેક્સીન આપી દેવામાં આવી છે અને જેને ન અપાઇ હોય તેમને વેક્સીન આપવા માટેનો શું એક્શન પ્લાન છે. તેના પર ચર્ચા કરવામાં આવી. બીજી તરઉ PHC અને CHC સેન્ટરને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ તમામ લોકોના વેક્સીનેશન પર ફરી ભાર મુકવામાં આવી રહ્યો છે. આ તમામ બાબતોની સમીક્ષા આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કરવામાં આવી છે.
એક તરફ સરકારે આજથી રાજ્યભરમાં માસ્ક ફરજીયાત કરી દીધા છે. બીજી તરફ આરોગ્ય વિભાગની આ બેઠકમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે આગામી 15થી 20 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે.
મહત્વનું છે કે ગઇકાલે એટલે કે 12 જૂનના રોજ કોરોનાના નવા 140 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધારે 79 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે વડોદરા 21,સુરત 11, ગાંધીનગરમાં 05, મહેસાણા 02, કચ્છ 03, રાજકોટ 02, સાબરકાંઠા 03, અમદાવાદ જિલ્લામાં 02, ભાવનગર 02 , ગીર સોમનાથ 02, સુરત જિલ્લામાં 02, ગાંધીનગર જિલ્લામાં 01, ખેડા 01 અને પાટણમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 778 થવા પામી છે. જ્યારે કોરોના રિકવરી દર 99. 04 ટકા થયો છે. તેમજ કોરોનાથી 66 દર્દીઓ સાજા થયા છે.