Gujarat : ગુજરાત કોંગ્રેસમાં નવાજુની થવાના એંધાણ, 14 જુલાઈએ સોનિયા ગાંધીને મળશે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ
ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) ના કેટલાક સિનિયર નેતાઓએ કોંગ્રેસના નેતા નરેશ રાવલના ઘરે મિટિંગ કરી હતી. મિટિંગમાં જે ચર્ચાઓ થઈ, તેના મુદ્દાઓને સંકલિત કરીને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી (Sonia Gandhi) ને પત્ર લખવામાં આવ્યો હતો.
Gujarat : ગુજરાતમાં પહેલા 2019 ની લોકસભા ચૂંટણી, ત્યારબાદ 8 બેઠકોની વિધાનસભા પેટાચૂંટણી, અને ત્યારબાદ 6 મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ હવે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) માં નવાજુની થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.
કોંગ્રેસ નેતાઓએ બેઠક કરી સોનિયા ગાંધીને લખ્યો પત્ર ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) ના કેટલાક સિનિયર નેતાઓએ કોંગ્રેસના નેતા નરેશ રાવલના ઘરે મિટિંગ કરી હતી. મિટિંગમાં જે ચર્ચાઓ થઈ, તેના મુદ્દાઓને સંકલિત કરીને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી (Sonia Gandhi) ને પત્ર લખવામાં આવ્યો હતો. પત્રમાં ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં કોંગ્રેસની હારના કારણો અને હાલની સાંપ્રત સ્થિતિ અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા પાછલા વર્ષોમાં ચૂંટણી દરમિયાન કરવામાં આવેલી ભૂલો અને ભાજપ પાર્ટીને થયેલા ફાયદા અંગેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જો કે આ મીટીંગમાં થયેલી ચર્ચાઓમાંથી સૂત્રો સાથે ચર્ચા થયા મુજબ કોઈ એક વ્યક્તિ ઉપર હારનું ઠીકરું ફોડવામાં આવ્યું હોય એમ નથી. જવાબદારી સૌની છે, એમ માનીને કોંગ્રેસ પાર્ટી હવે શું કરી શકે એ બાબતની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. જેમાં કઈ કઈ બાબતોને ધ્યાને લઈને કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં નિર્ણય કરે એ બાબતની ચર્ચા થઈ જેનો ઉલ્લેખ સોનિયા ગાંધી (Sonia Gandhi) ને લખાયેલા પત્રમાં કરવામાં આવ્યો છે.
2022 વિધાનસભાની સાથે 2024 લોકસભાની તૈયારીઓ નરેશ રાવલના ઘરે યોજાયેલી મિટિંગમાં ભેગા થયેલા સિનિયર નેતાઓએ સાથે મળીને વિચાર વિમર્શ કર્યો છે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં જીતવું કોંગ્રેસ માટે જરૂરી તો છે જ, પરંતુ 2024ની લોકસભા ચૂંટણીનું પ્લાનિંગ કરીને પાર્ટી મેદાનમાં ઉતરે એ વધુ મહત્વનું છે.
પરંતુ વિરોધી પાર્ટીઓ કરતાં પણ કોંગ્રેસ પાર્ટીમાં આંતરીક યુદ્ધ વધારે સમસ્યા ઉભી કરે છે, રાજસ્થાન હોય કે પંજાબ કે પછી ગુજરાત. ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી અને ત્યારબાદ 2024ની લોકસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ પાર્ટી કયો દાવ ખેલશે એ જોવાનું રસપ્રદ બની રહેશે
ગુજરાત કોંગ્રેસના નેતાઓ પહોચ્યાં દિલ્હી ગુજરાત કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીને લખેલા પત્રના અનુસંધાને સોનિયા ગાંધીએ 14 જુલાઈએ મળવાનો સમય આપ્યો હોવાની વાત સામે આવી રહી છે, જેને લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યાં છે. કેટલાક નેતાઓ બારોબાર અન્ય સ્થળેથી તેમજ બીજા નેતાઓ આવતીકાલે દિલ્હી જવા રવાના થશે.