ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) રાજ્યમાં 28 માર્ચથી શરુ થઇ રહેલી ધોરણ 10 અને 12ની બોર્ડની વાર્ષિક પરીક્ષામાં(Board Exam) બેસનારા સૌ વિદ્યાર્થીઓને સફળતા ની શુભેચ્છાઓ પાઠવી છે.સમગ્ર રાજયમાં તા.28 માર્ચ એટલે કે સોમવારથી પરીક્ષા ની મૌસમનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. તા.28 માર્ચે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10-12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા 28 મી માર્ચથી શરૂ થનારી ધો.10ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં કુલ 9,46,529 જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં 4,25,834 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 95,982 વિદ્યાર્થીઓ (students) પરીક્ષા આપનાર છે. સોમવારથી શરૂ થતી પરીક્ષામાં ચેકિંગ સ્કવોડ, સીસીટીવી કેમેરા, પરીક્ષા કેન્દ્રો આસપાસ કડક પ્રબંધો કરવામાં આવ્યા છે.
ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ સ્તરે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ધો. 10 અને 12ની પરીક્ષાની હોલ ટીકીટનું પણ વિતરણ કરવામાં આવ્યુ છે. બોર્ડની પરીક્ષામાં ન્યાયીક રીતે લેવાય તે માટે અને પેપર લીકની ઘટના ન બને તે માટે સીસીટીવી સામે પરીક્ષાના પ્રશ્નના બોકસ ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે. બોકસ ખોલતા પહેલા ખંડ નીરીક્ષક અને સ્થળ સંચાલકની સહી કરવાની સુચના આપવામાં આવી છે.
ગુજરાતના અમુક જીલ્લાઓમાં શિક્ષણ બોર્ડ દ્વારા આચાર્ય અને શિક્ષકોની એક વિજીલન્સ ચેકીંગ સ્કવોડ બનાવવામાં આવી છે. જે વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર નજર રાખશે. ઉપરાંત શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્ર સંચાલકોને સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે ધો.10-12ની પરીક્ષા દરમિયાન શાળાના ટ્રસ્ટીઓ કે અન્ય હોદ્દેદારો ઉપસ્થિત નહિં રહેવા અને માત્ર પરીક્ષાની કામગીરી સંભાળતા શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓ અને પરીક્ષાની કામગીરીની છૂટ આપવામાં આવી છે.
ધો.10-12ની પરીક્ષાની વ્યવસ્થા માટે ગુજરાતભરના જીલ્લા મથકોએ પરીક્ષાની વ્યવસ્થા માટે પરીક્ષા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જીલ્લા મથકોએ પ્રશ્નપત્રો, સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા છે. શિક્ષણ બોર્ડની પરીક્ષાનો વિદ્યાર્થીઓમાં કોઈ ડર ન રહે તે માટે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધે તે માટે સ્વાગત કરવામાં આવશે.
પેપર ફુટવાની કે લીક થવાની ઘટનાને કોઈ અવકાશ ન રહે તે માટે બોર્ડ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. સ્ટ્રોંગરૂમમાં પ્રશ્નપત્રો પહોંચી ચુક્યા છે. જ્યાં હથિયાર ધારી સુરક્ષા કર્મીની નજર હેઠળ આ પ્રશ્નપત્રો રાખવામાં આવ્યા છે. પરીક્ષામાં કોઈ ખામી ન સર્જાય તેને લઈ બોર્ડ પરીક્ષા તંત્ર એલર્ટ બન્યું છે. અહીં ત્રણ સુરક્ષા જવાનો ઉપરાંત બે મદદનીશ ઝોનલ ઓફિસર પણ પરીક્ષાના પેપરો પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા વ્યવસ્થામાં રોકાયેલા છે.
આ પણ વાંચો : સરકારે શિડ્યુલ દવાઓના ભાવમાં વધારો કર્યો, દવાઓ મોંઘી થતા ગુજરાતીઓને મોટી અસર
આ પણ વાંચો : Gir somnath : ઉમિયાધામ સીદસર નિર્મિત ઉમા અતિથી ગૃહનું કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ
Published On - 11:52 pm, Sun, 27 March 22