લમ્પી વાયરસને (Lumpy virus) લઈ રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) કૃષિપ્રધાન રાઘવજી પટેલ સાથે બેઠક યોજશે. જ્યારે મુખ્યસચિવ કૃષિ વિભાગના (Department of Agriculture)ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે. આ બેઠકમાં રાજ્યમાં લમ્પી વાયરસની સ્થિતિ અંગે ચર્ચા કરાશે. સત્તાવાર આંકડા પ્રમાણે, રાજ્યમાં 2 લાખ 94 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. એક હજારથી વધુ ગામડામાં 40 હજારથી વધુ પશુઓ અસરગ્રસ્ત થયા છે. જ્યારે 40 હજારથી વધુ પશુઓને સારવાર આપવામાં આવી છે.
રાજ્યમાં પશુધનમાં લમ્પી વાઈરસનો ચેપ અત્યંત ઝડપથી પ્રસરી રહ્યો છે. કચ્છ, પોરબંદર, રાજકોટ, જામનગર સહિત અનેક જિલ્લાઓમાં પશુઓમાં લમ્પી સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ છે. પશુઓમાં લમ્પી વાયરસનું પ્રમાણ વધવાના કેસ સામે આવતા રાજ્ય સરકાર હવે એકશનમાં છે. પશુઓમાં વધતુ આ સંક્રમણ અટકાવવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કૃષિપ્રધાન રાઘવજી પટેલ સાથે બેઠક યોજવાના છે.જ્યારે મુખ્યસચિવ કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે. આ બેઠકમાં પશુઓમાં વધતા આ વાયરસને અટકાવવા ઝડપી અને વધુમાં વધુ રસીકરણ પર ભાર અપાશે. સાથે જ પશુઓના નિષ્ણાંત તબીબો પશુઓની સારવાર માટે વધુમાં વધુ વિસ્તારોમાં પહોંચે તે માટે ચર્ચા કરવામાં આવશે.
ગુજરાતના 14 જિલ્લાના 880 ગામમાં પશુધનમાં લમ્પીનું સંક્રમણ ફેલાયું છે. રાજ્યના પશુપાલન વિભાગના પ્રધાન રાઘવજી પટેલે કહ્યું કે અસરગ્રસ્ત 37,121 પશુને ઝડપી સારવાર આપી છે. રાજ્યમાં લમ્પીના સંક્રમણથી અત્યાર સુધીમાં 999 પશુનાં નિધન થયા છે. તો બીજી તરફ પશુપાલન વિભાગે 2.68 લાખથી વધુ પશુઓનું યુદ્ધના ધોરણે રસીકરણ કર્યું છે. લમ્પી વાઈરસરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં 152 પશુચિકિત્સા અધિકારી અને 438 પશુધન નિરિક્ષકોએ સરવે, સારવાર અને રસીકરણના કામમાં જોડાયા છે.
આ ઉપરાંત પ્રધાન રાઘવજી પટેલે માહિતી આપી કે, પશુપાલકોને તાત્કાલિક માહિતી મળી રહે માટે ટોલ ફ્રી હેલ્પલાઈન 1962 કાર્યરત કરાયો છે. સાથે જ ગુજરાતની રજૂઆતને પગલે દિલ્લીથી નિષ્ણાત તબીબોની એક ટીમ ગુજરાત આવશે. આજે રાજ્યના મુખ્ય સચિવે લમ્પી વાયરસની સ્થિતિની સમીક્ષા કરવા એક બેઠક બોલાવી છે. જ્યારે મંગળવારે મુખ્યપ્રધાને આ મુદ્દે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
રાજ્યમાં કેર વર્તાવનારા લમ્પી વાયરસને લઈ હવે રાજકારણ ગરમાયું છે. લમ્પી વાયરસ બાબતે સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવતા કિસાન કૉંગ્રેસે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. કિસાન કૉંગ્રેસ સેલના ચેરમેન પાલ આંબલિયાનો આક્ષેપ છે કે સરકાર પશુઓના મોતના આંકડા છૂપાવી રહી છે. મૃત્યુ પામેલા કુલ પશુઓના ફક્ત 4 ટકા જ દર્શાવવામાં આવે છે. તેમણે આક્ષેપ કર્યો કે રસીકરણનો આંકડો પણ છૂપાવવામાં આવે છે.
તેમણે કહ્યું કે ખાનગી સંસ્થાઓ દ્વારા કરાયેલા રસીકરણનો જશ સરકાર લઈ રહી છે. મે મહિનાથી લમ્પી વાયરસની શરૂઆત થઈ હતી અને સરકાર જૂન મહિનામાં પરિપત્ર કરે છે. 21 તારીખે કૉંગ્રેસની ટીમે ભુજપના ડીડીઓને રજૂઆત કરી હતી. તે સમયે તેમણે 14 ડૉક્ટર દ્વારા 80 હજાર પશુઓના રસીકરણનો દાવો કર્યો હતો. જે શક્ય જ નથી.. તેમ છતાં સરકારના માહિતી ખાતાએ 90 હજારથી વધુ પશુઓના રસીકરણનો આંકડો દર્શાવ્યો છે. જે સાબિત કરે છે કે સરકાર ખોટા આંકડા રજૂ કરે છે. આ સરકાર આંકડાઓની સરકાર છે.. તેમણે આક્ષેપ કર્યો કે ચૂંટલો ભરીએ ત્યારે જ સરકાર જાગે છે.
Published On - 3:34 pm, Mon, 25 July 22