ઉદ્યોગો ગુજરાતમાં તો CSR ફંડ રાજ્ય બહાર કેમ? મહેસુલ ચિંતન શિબિરમાં કલેક્ટરોને હર્ષ સંઘવીની કડક ટકોર

ગાંધીનગર ખાતે ચિંતન શિબિરમાં હર્ષ સંઘવીએ કલેક્ટરોને તેમની ભૂમિકા જમીન સુધારણા કે મહેસૂલ પૂરતી મર્યાદિત ન રાખવા જણાવ્યું. તેમણે કલેક્ટરોને નાગરિકો સાથે સીધો સંવાદ સાધવા, ટુરિઝમ, ઉદ્યોગ અને સ્પોર્ટ્સ ક્ષેત્રે જિલ્લા વિકાસની સંભાવનાઓ વિચારવા, અને નાના ઉદ્યોગકારોને સ્થાનિક સ્તરે જ સુવિધાઓ પૂરી પાડવા ભાર મૂક્યો.

ઉદ્યોગો ગુજરાતમાં તો CSR ફંડ રાજ્ય બહાર કેમ? મહેસુલ ચિંતન શિબિરમાં કલેક્ટરોને હર્ષ સંઘવીની કડક ટકોર
| Edited By: | Updated on: May 07, 2026 | 5:41 PM

ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગ દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત વિવિધ જિલ્લાના કલેક્ટરોને તેમની ભૂમિકાને વધુ વ્યાપક બનાવવા માટે સ્પષ્ટ અને મજબૂત સંદેશ આપ્યો હતો. સંઘવીએ જણાવ્યું હતું કે કલેક્ટરનું કાર્ય માત્ર જમીન સુધારણા, મહેસૂલ એકત્રીકરણ કે પ્રોટોકોલની વ્યવસ્થા સુધી સીમિત ન રહેવું જોઈએ. તેમણે અધિકારીઓને નાગરિકોના પ્રશ્નોને ગ્રાઉન્ડ ઝીરો સુધી પહોંચીને સમજવા અને તેમની સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

મંત્રી સંઘવીએ કલેક્ટરોને તેમના જિલ્લામાં ટુરિઝમ, ઉદ્યોગ અને સ્પોર્ટ્સ ક્ષેત્રે રહેલી અઢળક સંભાવનાઓ વિશે ઊંડાણપૂર્વક વિચારવા જણાવ્યું. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે જો કોઈ ટ્રાયબલ ડિસ્ટ્રિક્ટ હોય અને ત્યાં સીધી ઇન્ડસ્ટ્રીઝ સ્થાપિત કરવી મુશ્કેલ હોય, તો ત્યાં ટુરિઝમ સેક્ટરનો વિકાસ કેવી રીતે કરી શકાય તે અંગે આયોજન થવું જોઈએ. કલેક્ટરોએ સાથે મળીને પોતાના જિલ્લામાં આ ત્રણેય ક્ષેત્રોના વિકાસ માટેની નવી યોજનાઓ અને પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

વધુમાં, હર્ષ સંઘવીએ નાના અને મધ્યમ ઉદ્યોગકારો (MSME)ને પડતી મુશ્કેલીઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કલેક્ટરોને ટકોર કરતા કહ્યું કે શા માટે નાના ઉદ્યોગકારોને તેમના કામ માટે ગાંધીનગર સુધી ધક્કા ખાવા પડે? તેમણે સૂચવ્યું કે ઉદ્યોગ વિભાગ સાથે યોગ્ય સંકલન સાધીને કલેક્ટરે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે મોટાભાગના કામ જિલ્લા સ્તરે જ પૂર્ણ થઈ શકે. જો મેગા ઇન્વેસ્ટર ગાંધીનગર આવે તો તે સમજી શકાય છે, પરંતુ MSME એકમોને સ્થાનિક સ્તરે જ સપોર્ટ મળવો અનિવાર્ય છે.

હર્ષ સંઘવીના મતે, જિલ્લામાં ઉપલબ્ધ તમામ વ્યવસ્થાઓ અને ડેસ્કનો ઉપયોગ કરીને કલેક્ટરોએ ટુરિઝમ સેક્ટર, ઇન્ડસ્ટ્રીઝ અને સ્પોર્ટ્સ એક્ટિવિટીઝને કેવી રીતે વધારી શકાય તે દિશામાં ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ અને નક્કર પગલાં લેવા જોઈએ. આ દ્રષ્ટિકોણ અપનાવીને જ જિલ્લાનો સર્વાંગી અને ઝડપી વિકાસ શક્ય બનશે.

મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ

Published On - 5:40 pm, Thu, 7 May 26

Follow Us