9મી ઓગષ્ટ -‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે 27 સ્થળોએ રાજ્ય વ્યાપી ઉજવણી કરાશે
ગુજરાતના(Gujarat) અલગ અલગ 26 સ્થળોએ મંત્રીમંડળના સભ્યો અને અન્ય મહાનુભાવોની હાજરીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ યોજાનાર કાર્યક્રમોમાં દાહોદ ખાતે યોજાનાર મુખ્યમંત્રીના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે.
ગુજરાત(Gujarat) સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, તા.૯મી ઓગષ્ટ-વિશ્વ આદિવાસી દિવસની(International Tribal Day) ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે રાજ્યકક્ષાનો સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની(CM Bhupendra Patel) અધ્યક્ષતામાં દાહોદ જિલ્લાના મેલાણીયા ખાતે યોજાશે. આ ઉપરાંત રાજ્યના અલગ અલગ 26 સ્થળોએ મંત્રીમંડળના સભ્યો અને અન્ય મહાનુભાવોની હાજરીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ યોજાનાર કાર્યક્રમોમાં દાહોદ ખાતે યોજાનાર મુખ્યમંત્રીના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે.
મંત્રીએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના આ કાર્યક્રમમાં કુલ રૂ. 1300 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાશે અને વ્યક્તિગત લાભાર્થીઓને જુદી-જુદી યોજના હેઠળ લાભ આપવામા આવશે. જેમાં અંદાજિત રૂ. 1043 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કામો તથા 12 લાખથી વધુ આદિજાતિ વિધાર્થીઓને કુલ 150 કરોડની શિષ્યવૃતિના લાભનું વિતરણ કરવામાં આવશે. તેમજ રાજ્યના 7500 આદિજાતિ કુટુંબોને રૂ. 90 કરોડના ખર્ચે આવાસની મંજૂરી, આદિજાતિ મહિલાઓને સ્વરોજગારી માટે રૂ.20 કરોડના ખર્ચે 3000 દૂધાળા પશુઓના લાભનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત વન અધિકાર અધિનિયમ-2006 હેઠળ 11000 આદિજાતિ ખેડૂતોને વન અધિકારપત્રનું વિતરણ કરાશે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, કુંવરબાઇનું મામેરૂ, તબીબી સહાય યોજના, માનવ ગરિમા યોજના, મંડપ યોજના, ફળાઉ ઝાડના રોપા વિતરણ યોજના સહિતની વિવિધ વ્યકિતલક્ષી યોજનાઓ હેઠળ 14,000 લાભાર્થીઓને રૂ.11 કરોડના લાભોનું વિતરણ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં ‘હર ઘર તિરંગા’કાર્યક્રમ હેઠળ પેમ્ફલેટનું પણ વિતરણ કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.