વિધાનસભાની ચૂંટણી (Election) પહેલા રાજ્યના આદિવાસી (Tribal Community) સમુદાયને રિઝવવાની રાજ્યની ભાજપ સરકારે કવાયત શરૂ કરી છે. જે અંતર્ગત આવતીકાલથી 9 ઓગષ્ટથી સરકારનું મિશન આદિવાસી (Mission Adivasi) શરૂ થવા જઈ રહ્યું છે. આવતીકાલે એટલે કે 9મી ઓગષ્ટે રાજ્ય સરકાર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરશે. જે અંતર્ગત તમામ પ્રધાનો આદિવાસી વિસ્તારમાં જશે અને આદિવાસી સમુદાયના લોકોને મળશે, તેમની સાથે ચર્ચા કરશે, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે તેમને માહિતગાર પણ કરવામાં આવશે. સાથે જ દેશને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળવા અંગે પણ વાતચીત કરશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 27 આદિવાસી અનામત બેઠકો આવેલી છે ત્યારે આ તમામ બેઠકો પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના મંત્રીઓ જશે. દરેક મંત્રીને એક-એક બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. જેમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ખુદ દાહોદના ઝાલોદ જવાના છે.
આવતીકાલથી શરૂ થઈ રહેલ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંદર્ભે મુખ્યમંત્રી ઝાલોદ જશે જ્યારે વિધાનસભાના અધ્યક્ષ નિમા આચાર્ય ખેડબ્રહ્મા જશે, જીતુ વાઘાણી અરવલ્લીના ભીલોડામાં મોરચો સંભાળશે તો પ્રદિપ પરમાર નિઝર અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી માંગરોળ જવાના છે. આ રીતે તમામ 27 બેઠકો પર રાજ્યના મંત્રીઓ આદિવાસી દિવસની ઉજવણીમાં સામેલ થશે અને આદિવાસીઓને રિઝવવાનો પ્રયાસ કરશે. આ કાર્યક્રમ અંતર્ગત અનેક વિકાસકામોનુ લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરવામાં આવશે ઉપરાંત સરકારની અનેક યોજના અંતર્ગત સહાય વિતરણ પણ કરવામાં આવશે. જેમા 90 કરોડ રૂપિયાના 75 આવાસોના ચેકનું વિતરણ કરવામાં આવશે, વન અધિકારી અધિનિયમ અંતર્ગત 1100 અધિકાર પત્રિકાઓનું વિતરણ કરવામાં આવશે, સિકલ સેલના 6 હજાર દર્દીઓને 3.6 કરોડ રૂપિયાની સહાયનું વિતરણ કરવામાં આવશે, ઉપરાંત 12 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ અને શિષ્યવૃતિના 160 કરોડ રૂપિયાની સહાયનું વિતરણ કરવામાં આવશે.
રાજ્યમાં વિધાનસભાની 182માંથી 27 બેઠકો આદિવાસી અનામત બેઠકો છે, અને રાજ્યની 40 વિધાનસભા બેઠકો પર આદિવાસી મતદારોનુ પ્રભુત્વ છે ત્યારે આ વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓ આદિવાસી વોટબેંક સાધવા માટે ફરી સક્રિય થઈ છે. જેમા ભાજપે અગાઉથી જ તૈયારીઓ શરૂ કરૂ દીધી છે.
અગાઉ PM મોદી પણ આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદમાં રેલી કરી હજારો કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યુ હતુ. તો કોંગ્રેસ દ્વારા આદિવાસી સંમેલન શરૂ કરાયુ હતુ. જેમા રાહુલ ગાંધીએ દાહોદમાં સત્યાગ્રહ સભા સંબોધી હતી, જેમા પંચમહાલ, વડોદરા, ભરૂચ, તાપી, છોટાઉદેપુર, દાહોદ અને મહિસાગર જિલ્લાના આદિવાસીઓએ હાજર રહ્યા હતા તો ભાજપે પણ નવસારીના ચીખલીમાં આદિવાસી ગૌરવ સંમેલન યોજ્યુ હતુ જેનુ નામ બદલીને પાછળથી સમરસતા સંમેલન કરી દેવાયુ હતુ. આદિવાસી મતબેંકને રિઝવવામાં આમ આદમી પાર્ટી પણ ક્યાંય પાછળ નથી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં BTP એ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યુ જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યુ છે.
આ ચૂંટણીમાં આદિવાસી વોટબેંક પર સહુ કોઈની નજર છે ગઈકાલે 7 ઓગષ્ટે જ અરવિંદ કેજરીવાલે છોટાઉદેપુરના બોડેલીમાં ચૂંટણી સભા કરી હતી જેમા આપની સરકાર બનશે તો બંધારણના 5 શેડ્યુલમાં આદિવાસીઓ માટે જે અલગ વ્યવસ્થા છે તેમને સંપૂર્ણપણે લાગુ કરશે તેમજ પેસા કાનુન (PESA ACT) લાગુ કરવાની જાહેરાત કરી હતી.
ઈનપુટ ક્રેડિટ- કિંજલ મિશ્રા- અમદાવાદ