હાલના સમયમાં રાજ્યમાં સરકારી ( Government Employee) કર્મચારીઓના વિવિધ આંદોલનો ચાલી રહ્યા છે સરકાર તરફથી મહત્વની પ્રતિક્રિયા આવી છે અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ (Jitu vaghani) જણાવ્યું હતું કે સરકાર વાતચીતના માધ્યમ દ્વારા પ્રશ્નોના ઉકેલ લાવવા માટે તૈયાર છે. ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મચારીઓ તેમજ માજી સૈનિકો આંદોલન ઉપર (Protest) ઉતરેલા છે તો થોડા દિવસ અગાઉ આંગણવાડીની બહેનોએ પણ પોતાની માંગણીઓ સાથે પ્રદર્શન કર્યું હતું, જ્યારે રાજ્યમાં વન વિભાગના ફોરેસ્ટ ગાર્ડ પણ હડતાળ ઉપર ઉતરેલા છે આવી પરિસ્થિતિમાં રાજય સરકાર તરફથી આવેલી આ મહત્વની પ્રતિક્રિયા માનવામાં આવી રહી છે.
ચૂંટણી પહેલા રાજ્ય સરકારના જુદા-જુદા વિભાગના કર્મચારીઓ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા આંદોલનો કરી રહ્યા છે. જેને લઈ સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે નિયમો કે કાયદાની જોગવાઈઓમાં નાની-મોટી છૂટછાટ કરવા પણ સરકાર તત્પર છે. જેથી આ પ્રકારે વિરોધ ન કરીને વાર્તાલાપ કરવામાં આવે. તેમણે કહ્યું કે- ચર્ચાઓ અવિરત ચાલતી રહેતી હોય છે. સામાન્ય જનતા હોય કે કર્મચારી હોય તમામ સરકારનો પરિવાર છે. તમામને વિનંતી છે કે આ પ્રકારનો વિરોધ ન કરીને વાર્તાલાપને આગળ વધારે ભાજપની સરકારે હંમેશા રસ્તા કાઢ્યા છે.
રાજ્યના હિતમાં, વહીવટના હિતમાં અને પ્રજાના હિતમાં જે નિયમો કે કાયદાની જોગવાઈઓમાં નાની-મોટી છૂટછાટ કરીને પણ જે સરળ કરવા રાજ્ય સરકાર તત્પર છે. તેમણે કહ્યું કે આ પ્રકારનો વિરોધ કરવાની આવશ્યકતા નથી. અપીલ છે કે આવો સાથે બેસીએ, બેઠકોનો દોર સતત ચાલુ જ છે. રાજ્ય સરકાર કડક થવા માગતી નથી.
નોંધનીય છે કે પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આરોગ્યકર્મીઓ આંદોલનના માર્ગે ઉતરી આવ્યા છે અને આજથી 20 સપ્ટેમ્બર સુધી વિરોધ પ્રદર્શનના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. 16 સપ્ટેમ્બર શુક્રવારે ગાંધીનગરમાં રેલીનું આયોજન હતું તો 17 સપ્ટેમ્બર શનિવારે ગાંધીનગરમાં રસ્તા રોકો આંદોલન કરવાના હતા તેવા સમયે રાજય સરકાર તરફથી આ મહત્વનું નિવેદન આવ્યું છે. મહત્વનું છે કે આરોગ્ય કર્મચારી 8 ઓગસ્ટથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે.