
અમદાવાદના પ્લેન ક્રેશ બાદ મૃત્યુ પામેલા લોકોની ઓળખ એક મોટો પડકાર બની હતી. મૃતદેહ એટલા બળીને ખાખ થઈ ગયા હતા કે ઓળખ શક્ય નહોતી. આવા સમયમાં ડીએનએ મેચિંગ માટે દેશની સૌથી અદ્યતન લેબના રૂપમાં ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)એ વિશેષ ભૂમિકા ભજવી છે.
યુનિવર્સિટીએ કુલપતિ ડો. જે.એમ. વ્યાસના માર્ગદર્શન હેઠળ એક ખાસ સોફ્ટવેર વિકસાવ્યું છે, જે દેશમાં માત્ર ગાંધીનગરની લેબમાં ઉપલબ્ધ છે. આ સોફ્ટવેરના કારણે એકસાથે 250થી વધુ ડીએનએ સેમ્પલ ઝડપથી મેડચ કરી શકાય છે. પહેલાં જ્યારે હાથથી મેન્યુઅલી કામ થતું હતું, ત્યારે દરેક સેમ્પલને મેચ કરવામાં લાંબો સમય લાગતો હતો, જેના કારણે આખા 250 સેમ્પલની પ્રોસેસમાં 10 દિવસ જેટલો સમય લાગી જતો. હવે આ નવી ટેકનોલોજીથી ગણતરીના કલાકોમાં પરિણામ પ્રાપ્ત થઈ જાય છે.
વિમાન દુર્ઘટનામાં વધુ તાપમાન હોવા છતાં દાંત પર તેનું અસર કરતી નથી. તેથી મૃતદેહમાંથી મોટા ભાગના ડીએનએ સેમ્પલ દાંત અને હાડકાંમાંથી લેવામાં આવ્યા. દાંતને પાઉડર બનાવ્યા બાદ તેને ખાસ કેમિકલ સાથે મશીનમાં મુકવામાં આવ્યું અને ત્યારબાદ તે ડીએનએ પ્રોફાઇલિંગ માટે મોકલવામાં આવ્યું.
શુક્રવારના દિવસે જ્યારે સેમ્પલ યુનિવર્સિટીમાં આવ્યા, ત્યારે લેબના વિશેષજ્ઞોએ આરામ કર્યા વગર 36 કલાક સતત કામ કર્યું. ઘણા સ્ટાફના પોતાના પરિવારજનો પણ બીમાર હતા છતાં તેમણે રાતદિવસ એક કરીને મૃત્યુ પામેલાઓના પરિવારજનોને સાચો સત્ય પ્રાપ્ત થાય એ માટે કામગીરી જારી રાખી.
આ દુર્ઘટનામાં, જ્યાં દરેક ક્ષણ અમુલ્ય હતી, ત્યારે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો આ ટેક્નોલોજીકલ અભિગમ દેશના માટે માર્ગદર્શક બન્યો છે. આ નવી પદ્ધતિ ભવિષ્યમાં પણ મોટી દુર્ઘટનાઓ બાદ ઓળખ કરવાની પ્રક્રિયામાં આશીર્વાદરૂપ સાબિત થશે.