ગુજરાતમાં(Gujarat) ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રના આર્કિયોલોજી વિભાગ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ત્રિ-દિવસીય વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ- 2022 (Vadnagar International Conference 2022) યોજાઇ રહી છે. જેમાં મીડિયા રિપોર્ટના આધારે આ કોન્ફરન્સના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ જાહેરાત કરી હતી કે વડનગરમાં યોજાતા તાનારીરી મહોત્સવને(Tana Riri Festival) હવે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહોત્સવ તરીકે ઉજવવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વડનગરના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા વડનગરને લેન્ડમાર્ક હેરિટેજ ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વડનગરમાં તાના-રીરી મહોત્સવની શરૂઆત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં કરી હતી. સંગીત સામ્રાજ્ઞી તાના-રીરીની યાદમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા મહોત્સવ કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે. તાના-રીરી મહોત્સવ સંદર્ભે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત વર્ષ 2010માં રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ વર્ષ 2010માં પ્રથમ વર્ષે ખ્યાતનામ સંગીત બેલડી લતા અને ઉષા મંગેશકરને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
વડનગરની સંગીતના નિપુણ બે બહેનો તાના રીરીના ઇતિહાસની વાત કરીએ તો જ્યારે અકબરના દરબાર ગાયક, ઉસ્તાદ તાનસેનના ગુરૂનું અવસાન થયું, ત્યારે તેમણે ‘દીપક’ રાગ ગાયો હતો. આ રાગ ગાવાને પરિણામે ગાયકને તેના શરીરમાં અસાધ્ય ગરમીની લાગણી થવા લાગે છે. તે જ પ્રમાણે તાનસેન દીપક રાગની દાઝથી પ્રભાવિત થયો હતો, અને તેના શમન અર્થે તે આખા ભારતમાં ફરી વળ્યો. તે સમય દરમ્યાન અકબરની સેનાનો સેનાપતિ ઈઝાદખાન વડનગર આવ્યો અને તેને તાના અને રીરી નામની બે બહેનો વિશે જાણવા મળ્યું, કે જેઓ નિપુણ ગાયકો હતી અને રાગ મલ્હાર ગાઇને તાનસેનના દાહને શમાવી શકતી હતી.
જ્યારે તેઓને અકબરના દરબારમાં ગાવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેઓએ આવવાની ના પાડી કારણ કે નાગરો તરીકે તેમનું વ્રત હતું કે તેઓ ગામના દેવની મૂર્તિની સામે જ ગાઈ શકે. દરબારનો પ્રસ્તાવ ન માનતા તેમના શહેરમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા હતી. આથી તેમણે દરબારમાં જઈ ગાવાને બદલે તેઓ કૂવામાં ડૂબીને આત્મહત્યા કરવાનો વિકલ્પ પસંદ કર્યો. બાદમાં જ્યારે અકબરને આ વાતની ખબર પડી ત્યારે તેણે તેમના પિતા પાસે માફી માંગી અને તાનસેનને તાના-રીરીના માનમાં નામ આપેલા નવો સંગીત રાગ વિકસાવવા કહ્યું.જે ગ્રામજનો અકબરની સેના દ્વારા હુમલો ભયને પરિણામે વાણિયા બન્યા તેઓ હવે દશનાગર તરીકે ઓળખાય છે.
Published On - 5:09 pm, Thu, 19 May 22