GANDHINAGAR : સોમવારથી રાજ્યભરની કોલેજોમાં પ્રથમ વર્ષના શૈક્ષણિક વર્ગખંડ શરૂ કરાશે
GANDHINAGAR : રાજયમાં ધીરેધીરે શૈક્ષણિક સંકુલો શરૂ થઇ રહ્યાં છે. જેમાં 8 ફેબ્રુઆરીથી કોલેજમાં એફવાયના ઓફલાઇન વર્ગો શરૂ થશે.
GANDHINAGAR : રાજયમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. ત્યારે રાજયમાં ધીરેધીરે શૈક્ષણિક સંકુલો શરૂ થઇ રહ્યાં છે. જેમાં 8 ફેબ્રુઆરીથી કોલેજમાં એફવાયના ઓફલાઇન વર્ગો શરૂ થશે.
રાજ્ય શિક્ષણ વિભાગે આગામી સોમવાર તા.૮ ફેબ્રુઆરીથી રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષના વર્ગખંડ પુન: શરૂ કરવાની જાહેરાત કરી છે.
શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે ઠરાવમાં જણાવાયું છે કે બે વિદ્યાર્થીઓ વચ્ચે સેઇફ સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ, સ્ટેગર્ડમેનરમાં ગોઠવવાની રહેશે.
રાજ્ય સરકારે અગાઉ તા.૧૧ જાન્યુઆરીથી પ્રથમ તબક્કામાં તમામ પોસ્ટ ગ્રેજ્યુએટ, પી.એચ.ડી, એમ.ફિલ અભ્યાસક્રમો તેમજ મેડીકલ, પેરામેડિકલના અને અન્ય સ્નાતક અભ્યાસક્રમોના ફાયનલ ઇયર-અંતિમ વર્ષના વર્ગખંડો ભૌતિક રીતે શરૂ કરેલા છે.
હવે, શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની સંયુકત બેઠકમાં ચર્ચા-પરામર્શ બાદ રાજ્ય સરકારે તા.૮ ફેબ્રુઆરી-ર૦ર૧ સોમવારથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પણ વર્ગખંડ-ભૌતિક શિક્ષણ આપવા કોલેજો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માએ એમ પણ કહ્યું કે ફાયનલ ઇયર અંતિમ વર્ષ અને ફર્સ્ટ ઇયર-પ્રથમ વર્ષના વર્ગ પૂન: શરૂ કર્યાની સ્થિતિ અને અન્ય જરૂરી ચર્ચા-વિચારણા સમીક્ષા પછી દ્વિતીય વર્ષના વર્ગખંડો શરૂ કરવા પણ રાજ્ય સરકાર યોગ્ય સમયે નિર્ણય કરશે.
જયારે ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષા 13 ફેબ્રુઆરીથી શરૂ થશે. જેમાં 50 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ સાથે માસકોપી અને ગેરરીતિ અટકાવવા ઓનલાઇન પરીક્ષા પદ્ધતિમાં સુધારા કરાયા છે. માસકોપી અટકાવવા તમામ વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રશ્નો પુછાશે. જવાબના વિકલ્પો પણ બદલી નાખવામાં આવશે. જનરલ ઓપશનને બદલે 50 માર્કના 50 પ્રશ્નો જ પુછાશે. ચાલુ પરિક્ષાએ વિદ્યાર્થીઓ ઉભો નહીં થઈ શકે. ડિવાઇસની સ્ક્રીન મિનિમાઇઝ કરશે તો ગેરરીતી ગણાશે તેમ પણ જણાવાયું છે.