
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનુભાઈ દેસાઈએ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા જુલાઈ-2025થી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટે 15 પૈસા ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણયની અસર તા. 01.07.2025થી કરેલા વીજ વપરાશ ઉપર તમામ શ્રેણીના વીજ ગ્રાહકો પાસેથી ફ્યુઅલ સરચાર્જ હવે પ્રતિ યુનિટ રૂ. 2.30ના ઘટાડેલા દરે વસૂલાત કરવામાં આવશે.
વીજ નિયમન આયોગ (GERC) દ્વારા કોઈ ફેરફાર ના થાય ત્યાં સુધી આ દર યથાવત રહેશે. ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1 કરોડ 75 લાખ ગ્રાહકોને જુલાઈથી સપ્ટેમ્બર-2025 દરમિયાન વીજ વપરાશ ઉપર આશરે રૂ. 400 કરોડથી વધુનો લાભ થશે.
જાન્યુઆરી 2024થી અમલમાં આવતા ફ્યુઅલ સરચાર્જના દરને પ્રતિ યુનિટ 50 પૈસા ઘટાડીને રૂ.3.35 થી રૂ. 2.85 કરવામાં આવ્યો હતો. આ રાહતને વધુ વિસ્તૃત કરતા ઓક્ટોબર-2024થી ફ્યુઅલ સરચાર્જના દરને વધુ 40 પૈસા ઘટાડીને રૂ. 2.45 પ્રતિ યુનિટ કરવામાં આવ્યો હતો. વર્ષ 2025-2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલથી જૂન-2025 દરમિયાન ફ્યુઅલ સરચાર્જના દરને રૂ. 2.45 પ્રતિ યુનિટ જાળવી રાખવામાં આવ્યો હતો.
વધુ વિગતો આપતાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, ગ્રાહકોને સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને અનુરૂપ તાજેતરના વર્ષોમાં ફ્યુઅલ અને પાવર પરચેઝ પ્રાઈસ એડજસ્ટમેન્ટ (FPPPA)માં નોંધપાત્ર ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે, જે વીજ ખરીદ ખર્ચના અસરકારક સંચાલન અને ગ્રાહકો પરનો બોજ હળવો કરવા માટે રાજ્ય સરકારનું સક્રિય અભિગમ દર્શાવે છે.
Published On - 5:11 pm, Tue, 2 September 25